પાઠ–7 વસ્તી

1
1910
CLASS 12 ECONOMICS

પ્રસ્તાવના (Introduction)

વર્તમાન સમયમાં વિશ્વની વસ્તી સાત અબજને પાર કરી ગઈ છે. જ્યારે ભારતની વસ્તી સવા અબજ ને પહોંચવા આવી છે ત્યારે વધતી વસ્તી વિશે ચર્ચા કરવી અનિવાર્ય બની જાય છે.

કારણ કે વધતી વસ્તી અને તેની આવશ્યક જરૂરિયાતની પૂર્તિ દરેક સરકાર માટે પાયાની બાબત છે. આ માટે દરેક દેશમાં કુદરતી સંસાધનો ખૂબ જ મહત્વ ધરાવે છે.

કારણ કે કુદરતી સંસાધનો ની મદદથી આર્થિક વિકાસ શક્ય બને છે. અહીં વસ્તી અને કુદરતી સંસાધનો વચ્ચે બે બાબતો મહત્ત્વની છે : (1) વસ્તી વધવાથી સીમિત કુદરતી સંસાધનોનો નાશ  ઝડપથી થશે જે લાંબા ગાળે ભાવિ પેઢી માટે ખતરો બનશે (2) ઓછી કેળવાયેલી વસ્તી વધવાથી કુદરતી સંપત્તિનો ઇષ્ટતમ ઉપયોગ થશે નહિ જે કોઈ પણ દેશના આર્થિક વિકાસ માટે બાધારૂપ નીવડશે.

આમ, દેશના અર્થતંત્રમાં વસ્તી નો અભ્યાસ કરવો અતિ આવશ્યક બની જાય છે. કારણ કે મોટા ભાગની સમસ્યાઓના મૂળમાં વસ્તી-વધારો જવાબદારી જોવા મળે છે.

વસ્તી-વિસ્ફોટ નો અર્થ 

  • ભારતમાં મૃત્યુ-દર ઝડપથી ઘટવાની  સામે જન્મદર ઝડપથી ને ધટવાથી ચોખ્ખો વસ્તીવધારો ઊંચા દરે થયો જેને  વસ્તી-વિસ્ફોટ કહેવામાં આવે છે.
  • વિશ્વની અનેકવિધ  સમસ્યાઓ પૈકીની એક મોટી અને મહત્ત્વની સમસ્યા જ વસ્તીવધારાની છે.
  • વિશ્વની વસ્તીમાં વર્તમાન સમયમાં જે ઝડપથી વધારો થઈ રહ્યો છે તેટલો વધારો અગાઉ ક્યારેય થયો નથી તેમાં ભારત પણ અપવાદ નથી.
  • ભારતમાં 1931 થી 2011 સુધી ભારતની વસ્તીમાં સતત  વધારો થઈ રહ્યો છે.
  • 1951માં ભારતની વસ્તી 36.1 કરોડ હતી તે 2011ના વર્ષ માં વધીને 121. 02 કરોડ થઈ એટલે કે 60 વર્ષમાં 84. 92 કરોડનો વધારો થયો  તેમજ ભારતમાં સરેરાશ વસ્તીવૃદ્ધિ નો દર 2.5 ટકાની આસપાસ રહ્યો છે.

આમ, વધુ વસ્તી અને વસ્તી વૃદ્ધિ ના ઉંચા  દરને કારણે વસ્તીમાં ખાસ કરીને 1970 પછી જે ઝડપી વધારો થયો જેને “વસ્તી વિસ્ફોટ” તરીકે ઓળખવામાં આવે છે.

ભારતમાં વસ્તીના વલણો (Profiles of Indian Population)

વસ્તીના વલણો એટલે વસ્તીનું કદ, વસ્તી વૃદ્ધિદર, જન્મ-દર, મૃત્યુ-દર, શહેરી વસ્તી, ગ્રામીણ વસ્તી  સ્ત્રી-પુરુષ પ્રમાણને લગતી આંકડાકીય માહિતી મેળવી તેનું અર્થઘટન કરવું.

ભારતમાં સૌપ્રથમ વસ્તી-ગણતરીની શરૂઆત 1871માં જમશેદજી તાતાએ કરી. ત્યાર બાદ ભારતમાં  વ્યવસ્થિત વસ્તી ગણતરી 1891 માં થઈ હતી.ભારતમાં 1891 પછી દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. સ્વતંત્રતા પછી પહેલું વસ્તી ગણતરીનું પત્રક 1951માં તૈયાર થયું.

ભારતમાં વસ્તી નું કદ અને વૃદ્ધિ-દર (Size of Indian Population and growth rate)

વસ્તી નું કદ એટલે જુદાં-જુદાં વર્ષો દરમિયાન ભારતની કુલ વસ્તી અથવા તો પ્રમાણને વસ્તીનું કદકહે છે. વસ્તી માં થતા વધારાની ટકાવારીને વસ્તી વૃદ્ધિ-દર કહે છે. 

વિશ્લેષણ અથવા તારણો ;

(1) 1901 થી 1921 સુધીની સમયગાળા દરમિયાન વસ્તી માં થયેલો વધારો ધીમો હતો.

1901 થી 1911ના દશક  દરમિયાન કુલ વસ્તી માં 5.7 ટકાનો વધારો થયો હતો, જ્યારે 1911 થી 1921 ના દશકમાં વસ્તીમાં -0.03 ટકાનો  ઘટાડો થયો હતો.

વસ્તીમાં થયેલ ઘટાડાનું મુખ્ય કારણ મૃત્યુ-દરમાં થયેલ વધારો હતો.અનેકવાર પડતા દુષ્કાળ   વિવિધ રોગ (કોલેરા, પ્લેગ, ક્ષય, મેલેરિયા અને ઇન્ફ્લું એનજા)ના ઉંચા  પ્રમાણને કારણે મરણ-દર ઊંચા રહેવા પામ્યો હતો.

(2) 1921 ના વર્ષને બાદ કરતા પછીના દરેક વર્ષોમાં ભારતમાં વસ્તી વૃદ્ધિ નો દર ઊંચો રહેવા પામ્યો હતો. આથી વસ્તીવધારાની દૃષ્ટિએ 1921 ના વર્ષને ‘મહાન વિભાજક વર્ષ’ તરીકે ઓળખવામાં આવે છે, 1921 પછીના દરેક દશકમાં વસ્તીવૃદ્ધિ-દરનો દર ઊંચો જોવા મળે છે.

(3) 1951માં ભારતમાં આયોજન આરંભ થયો. આયોજન કાળ દરમિયાન એટલે કે 1951માં દેશની વસ્તી 36. 1 કરોડની હતી તે પાંચ દશકમાં એટલેકે 2001માં 102.7 કરોડ થઈ, એટલે કે વસ્તીમાં 66.6 કરોડનો વધારો નોંધાયો.

(4) પ્રવર્તમાન સમયમાં ભારતમાં વાર્ષિક વસ્તીવધારો લગભગ 170 લાખ જેટલો છે.

(5) વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ ચીન છે. જયારે ભારત બીજા ક્રમે આવે છે. 1911માં ભારતની વસ્તી 25.2 કરોડ હતી તે વધીને એક સૈકાનાં અંતે એટલે કે 2011માં 121.02 કરોડની થઈ.

2011ની વસ્તી ગણતરી અહેવાલ મુજબ 2011થી 2025ના સમયગાળા દરમિયાન ભારતની વસ્તી 139.98 કરોડ થવાનો અંદાજ છે.

ભારતમાં સ્ત્રી અને પુરુષ ની વસ્તી:

ભારતની કુલ વસ્તીમાં જુદાં-જુદાં વર્ષો દરમિયાન સ્ત્રીઓ અને પુરુષોની સંખ્યા કેટલી છે તે સ્ત્રી-પુરુષના  પ્રમાણ દ્વારા જાણી શકાય છે.

ભારતમાં સ્ત્રી પુરુષ ની વસ્તીની  વહેંચણીના વિશ્લેષણ અને તારણો :

(1) 1951થી 2011ના સમયગાળા દરમિયાન પુરુષની કુલ વસ્તી અને સ્ત્રીની કુલ વસ્તીમાં સતત વધારો થયો છે જે ઊંચા વસ્તી વૃદ્ધિ-દર નું પરિણામ છે.

(2) ટકાવારીની રીતે જોઈએ તો 1951માં કુલ વસ્તી માં પુરુષ ની વસ્તી 51.37% હતી તે 2011માં 51.54 ટકા થઈ છે એટલે કે 0. 17 તફાવત નો વધારો સૂચવે છે. જે સ્ત્રીની વસ્તી કરતા પુરુષની વસ્તી વધુ હોવાનો નિર્દેશ કરે છે.

(3) ટકાવારી ની રીતે 1951માં કુલ વસ્તીમાં સ્ત્રીની વસ્તી 48.63% હતી તે 2011માં ધટીને 48.46% થઈ છે એટલે કે -0.17 તફાવતનો ઘટાડો નોંધાયો છે જે પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની ઘટતી જતી સંખ્યાનો નિર્દેશ કરે છે. જે અવારનવાર સમય માટે એક પડકાર ગણાવી શકાય.

ભારતમાં જાતિ-પ્રમાણ (દર 1000 પુરુષોએ સ્ત્રીની સંખ્યા):

  • દેશની વસ્તીમાં પ્રતિદરે 1000 પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યાને સ્ત્રી-પુરુષનું પ્રમાણ અથવા લિંગ-પ્રમાણ અથવા જાતિ-પ્રમાણ (Sex Ratio) તરીકે ઓળખવામાં આવે છે.
  • વસ્તીના અભ્યાસમાં જાતિ નું પ્રમાણ ખૂબ અગત્યનું સ્થાન ધરાવે છે. દર 1000 પુરષોએ ધટતી જતી સ્ત્રીઓની સંખ્યા દેશમાં કેટલીક વિષમતા સર્જે  છે.
  • સ્ત્રી-પુરુષ પ્રમાણ વચ્ચે વધારે વિષમતા હોય તો લગ્ન, કુટુંબ, પ્રજનન, અર્થવ્યવસ્થા વગેરેમાં અનેક પ્રશ્નો ઉભા થાય છે. 
  • ભારતમાં એકમાત્ર કેરળને બાદ કરતા અન્ય વિસ્તારોમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા ઓછી હતી. કેરળમાં 2011માં દર હજાર  પુરૂષોએ સ્ત્રીઓની સંખ્યા 1084 હતી.
  • સ્ત્રી-પુરુષના પ્રમાણ-વિષમતા માટે કેટલાક સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક કારણો જવાબદાર હોવાનું જણાય છે.
  • ભારતીય સમાજમાં પ્રાચીન સમયથી સ્ત્રીઓનું સ્થાન  નીચું રહ્યું છે. દીકરીઓને પોષણયુક્ત આહાર, સ્વાસ્થ્ય, શિક્ષણ. સંભાળ વગેરે માં પૂરતું ધ્યાન આપવામાં આવતું ન હતું. તેમજ દહેજપ્રથાને કારણે પણ દીકરીઓ પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવે છે. 
  • આ ઉપરાંત કન્યાઓની નાની વયે લગ્ન, વધારે પડતી પ્રસૂતિઓ તેમના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરે છે, તેના કારણે કન્યાઓનો બાળ-મરણ અને પુખ્ત વયની સ્ત્રીઓનો મરણ-દર ઊંચો રહે છે.

જેના કારણે ભારતીય સમાજમાં કુલ વસ્તીમાં પુરુષો કરતા સ્ત્રીઓનું પ્રમાણ ઓછું રહે છે.

વિશ્લેષણ અને તારણો :

(1) 1901 થી 1991 દરમિયાન ભારતમાં દર 1000 પુરુષોએ  સ્ત્રીઓની સંખ્યા ઘટતી જતી જોવા મળે છે. પરંતુ 2001 અને 2011 ના વર્ષ દરમિયાન દર 1000 પુરુષોએ  સ્ત્રીઓની સંખ્યામાં નજીવો સુધારો જોવા મળે છે. જે દેશમાં ચાલી રહેલા ‘બેટી બચાવો’ અભિયાન તેમજ દીકરી-જન્મ ને મળતા પ્રોત્સાહન ને આભારી છે.

(2) ગુજરાતની વાત કરીએ તો 1901થી 2011ના સમય દરમિયાન દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા સતત ઘટતી જતી જોવા મળે છે.

 પુત્ર પ્રાપ્તિ ની ઘેલછાને કારણે આધુનિક યુગમાં તબીબી સાધનો સ્ત્રી ભૃણ હત્યા માં સહાયક બન્યા છે.

આ પરિસ્થિતિને અટકાવવા માટે સરકારે કાયદાકીય પ્રતિબંધ જરૂર બનાવ્યા છે.પરંતુ આ કાયદાઓનો અમલ મોટા ભાગે કાગળ પર જ રહી જાય છે. પંજાબ, હરિયાણા અને ગુજરાત  જેવા આર્થિક રીતે સમૃદ્ધ રાજ્યમાં સ્ત્રી-પુરુષ પ્રમાણની અસમતુલા વધુ જોવા મળે છે.

વયજૂથ પ્રમાણે ભારતની વસ્તી :

  • ભારતની વસ્તીમાં વયજૂથ અનુસાર વહેચણી એટલે દેશની વસ્તીનું વિવિધ વય-જૂથોમાં વિભાજન, દા.ત., 0 થી 14 વર્ષની વયની વ્યક્તિઓનું કુલ વસ્તીમાં પ્રમાણે (ટકાવારી). વય-જૂથલક્ષી વિભાજન દ્વારા કામ કરતી વસ્તી અને કામ નહિ કરતી વસ્તી વગેરેનો ખ્યાલ આવે છે.

વિશ્લેષણ અને તારણો :

વય અનુસાર વસ્તીની વહેંચણીને મૃત્યુદર અને પ્રજનન-ક્ષમતામાં આવતા ફેરફારો અસર કરે છે. 

(1) ઈ.સ, 2005માં 0-14 વર્ષની વયના લોકો નું પ્રમાણ 32.78 % હતું તે 2014માં ઘટીને 29.21%થયું છે, જે જન્મ-દરમાં ઘટાડો દર્શાવે છે. 

(2) ઈ.સ. 2005માં 15-64 સુધીના વય-જૂથની વાત કરીએ તો આ વય-જૂથમાં 62.44 % જેટલી  વસ્તી હતી તે વધીને 2014માં 65.30 % થઈ છે. આ વય જૂથમાં મોટા ભાગની વસ્તી કામ કરતી વસ્તી છે. કામ કરતી વસ્તી માં થતો વધારો દેશના વિકાસ માટે સારી બાબત ગણી શકાય.

ભારતમાં ગ્રામીણ અને શહેરી વસ્તી :

ભારતની કુલ વસ્તીમાં કેટલા લોકો, ગ્રામીણ વિસ્તારમાં અને કેટલા લોકો શહેરી વિસ્તારમાં રહે છે તેની માહિતી ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ દ્વારા જાણવા મળે છે.

વિશ્લેષણ અને તારણો : 

(1) ભારતમાં તાજેતરના વર્ષો માં  કુલ વસ્તીમાં શહેરી વસ્તીનું  પ્રમાણ ઉતરોતર વધી રહ્યું છે જેના કારણે કેટલીક સમસ્યાઓ પણ સર્જાય છે. 

દા.ત., શહેરોમાં ઝુંપડપટ્ટીમાં વધારો થતા ગંદકીની સમસ્યા ઉભી થાય છે. અપૂરતી આંતરમાળખાકીય સગવડોને કારણે વ્યવસ્થાતંત્ર વીજળી, વાહનવ્યવહાર, પાણી જેવી પાયાની સેવાઓ પૂરી પાડવામાં નિષ્ફળ જાય છે.

કચરાના નિકાલની વ્યવસ્થા ન થતા પ્રદૂષણનો પ્રશ્ન  ઊભા થાય છે. ઉપરાંત ગુનાખોરી, લૂંટફાટ જેવા સામાજિક દૂષણ નું પણ સર્જન થાય છે.

(2) 1901 માં ગ્રામીણ વસ્તી 21.2 કરોડ (89.1 %) હતી તે 2011 માં 83.02 કરોડ (68.0 %) થઈ. ટકાવારી ની રીતે  ઘટાડો નોંધાયો છે.

જેનું કારણ ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીની તકોનો અભાવ તેમજ પ્રચ્છન બેકારી અને અર્ધ બેકારી બહુ મોટા પ્રમાણમાં ગામડામાં જોવા મળે છે. 

(3) 1901 માં શહેરી વસ્તી 2.6 કરોડ (10.9 %) હતી તે 2011માં 38.0 કરોડ (32.0 %) થઈ. એટલે કે દરેક દસકા દરમિયાન શહેરી વસ્તીમાં ટકાવારીની રીતે વધારો નોંધાયો છે.

જેનું કારણ શહેરોમાં અનેકવિધ ભૌતિક સગવડો, જેમ કે વીજળી, શાળા-કોલેજો, સિનેમાધર, સારા રસ્તા, વાહનવ્યવહાર, સંદેશાવ્યવહારનાં, પૂરતાં સાધનો, સાંસ્કૃતિક અને મનોરંજન પ્રવૃત્તિઓ, તબીબી સારવારની સવલતો પૂરતા પ્રમાણમાં મળી રહે છે.

વસ્તી વધારાના કારણો (Causes of Population Increase):

વસ્તી વધારાને અસર કરતા બે પરિબળો છે. જન્મ-દર અને મૃત્યુ-દર. જન્મ-દર અને મૃત્યુદરમાં સર્જાતો તફાવત વસ્તી વધારાનું કારણ બને છે.

જન્મ-દર નો અર્થ : 

  • વર્ષ દરમિયાન દર હજારની  માનવવસ્તીએ જન્મ પામતા બાળકોની સંખ્યાને  જન્મ-દર કહે છે.
  • જન્મ-દર=   વર્ષ દરમિયાન જીવતા જન્મેલા બાળકોની સંખ્યા/કુલ વસ્તી × 1000 
  • જન્મ-દરને ટકાવારીમાં દર્શાવાતો નથી પરંતુ પ્રત્યેક 1000ની વસ્તી દીઠ ગણવામાં આવે છે.
  • વસ્તીમાં કેટલો વધારો થાય છે તે જન્મ-દરના આધારે ખ્યાલ આવે છે. વસ્તીનીતિ નક્કી કરવામાં જન્મ-દરના આંકડા ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે.

વિશ્લેષણ અને તારણો

(1) ભારતમાં 1951માં જન્મદર નું પ્રમાણ 39,9 હતું તે 2011માં ઘટીને 21.8 થયું છે જે ધીમા દરે જન્મ-દરમાં ઘટાડો દર્શાવે છે. જેનાં મુખ્ય કારણોમાં શિક્ષણનું નીચું પ્રમાણ, પુત્રપ્રાપ્તિની. ઘેલછા, આવક નીચી સપાટી વગેરે ગણાવી શકાય.

મૃત્યુ-દર નો અર્થ : 

વર્ષ દરમિયાન દર હજારની માનવવસ્તીએ  મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યાને મૃત્યુ-દર કહે છે.

મૃત્યુ-દર= એક વર્ષ દરમિયાન મૃત્યુ પામતા માણસોની સંખ્યા /કુલ વસ્તી ×1000

વસ્તી માં કેટલો ઘટાડો થાય છે તે મૃત્યુ-દરના આધારે ખ્યાલ આવે છે. વસ્તીમાં વર્ષ દરમિયાન થયેલા કુલ મરણ ને અમુક માપમા રજૂ કરવાથી વસ્તીમાં થતો ધટાડો ચોક્કસ સ્વરૂપે સમજી શકાય છે.

વિશ્લેષણ અને તારણો:

(1) ભારતમાં 1951માં મૃત્યુ દરનું પ્રમાણ 27.4હતું તે 2011માં ઘટીને 7.1 થયું છે. આમ જન્મદરની તુલનાએ મૃત્યુ દરમા વધુ ઘટાડો નોંધાયો છે.

જેનાં મુખ્ય કારણો, દુષ્કાળ પર નિયંત્રણ, જીવનધોરણમાં સુધારો પૌષ્ટિક આહાર, તબીબી સારવારમાં સુધારો, શિક્ષણનો વધતો જતો વ્યાપ, તબીબી વિજ્ઞાન અને શસ્ત્ર ક્રિયાના  ક્ષેત્રે થયેલા નોંધપાત્ર સંશોધનો, ચેપી રોગ પરના નિયંત્રણ વગેરે ગણાવી શકાય.

ઉંચા જન્મદર માટેના કારણો:

ભારતમાં ઉચા જન્મદર માટેના કારણોને ત્રણ વિભાગમાં વહેંચી શકાય:સામાજિક પરિબળો, આર્થિક પરિબળો અને અન્ય પરિબળો.

સામાજિક પરીબળો:

(1) સાર્વત્રિક લગ્નપ્રથા : ભારતમાં લગ્ન એ ધાર્મિક સંસ્કાર છે. લગ્ન  ન કરનાર વ્યક્તિ પ્રત્યે સમાજ શંકાની દૃષ્ટિએ જુએ છે, તેમાંથી બચવા માટે દરેક સ્ત્રી-પુરુષ લગ્નગ્રંથિથી જોડાય છે.

દિવ્યાંગ પણ અપવાદ નથી. વિકસિત દેશોની તુલનામાં ભારતમાં દરેક સ્ત્રી લગ્ન કરે છે, આમ,સાર્વત્રિક લગ્નપ્રથાથી જન્મ-દર ઊંચો જાય છે.

(2) નાની ઉંમરે લગ્ન અને વિધવા પુનઃલગ્ન :

  • દેશમાં બાળલગ્ન અટકાવતો કાયદો હોવા છતા ઘણા  વિસ્તારોમાં નાની ઉંમરે લગ્ન થાય છે. તેમાંય ખાસ કરીને જ્યારે સ્ત્રીઓ નાની ઉંમરે લગ્ન કરતી હોવાથી તેમનો પ્રજનન કાળ ખૂબ જ લાંબો રહે છે. જેથી બાળકોને જન્મ આપવાનું પ્રમાણ વધી  જાય છે.
  • દેશમાં વિધવા પુનઃલગ્નને કાયદા દ્વારા અમલી બનાવાયો  હોવાથી તેને વ્યાપક ટેકો મળેલો છે, જેથી વિધવા પુનઃલગ્ન સામાન્ય થતા જાય છે, જેના કારણે પણ જન્મ-દર પણ જન્મ દર ઉંચો  જોવા મળે છે.

(3) પુત્રપ્રાપ્તિની ઘેલછા : 

ભારતીય સમાજ પુરુષપ્રધાન છે. એક પુત્રી ક૨તા પુત્રને ત્રણ કારણોથી  વધારે મહત્વ આપવામાં આવે છે.

(1) પુ-નામના નર્કમાંથી  તારે તે પુત્ર-કહેવત, (2) વંશવેલાને આગળ વધારવા માટે (3) ધડપણ માં આર્થિક સહારો ઉભો કરવા માટે.

ઉપર્યુક્ત ત્રણ  કારણોસર કેટલાક કુટુંબો પુત્રની ઘેલછામાં પણ પુત્રીઓને  જન્મ આપે છે. જેથી કુટુંબના કદમાં વધારો થાય છે.

(4)  સંયુક્ત કુટુંબપ્રથા:

ભારતના ગ્રામીણ વિસ્તારમા સંયુક્ત કુટુંબપ્રથા વ્યાપક પપ્રમાણમાં  છે. પરિણામે અહી બાળ ઉછેરની આર્થિક  જવાબદારી કુટુંબના બધા સભ્યો વચ્ચે વહેચાઈ જવાથી બાળક બોજારૂપ બનતું  નથી પરિણામે જન્મ દર ઉંચો જાય છે.

આર્થિક પરિબળો :

(1) શિક્ષણનું નીચું પ્રમાણ :

  • શિક્ષણ અને વસ્તી વૃદ્ધિ વચ્ચેનો સંબંધ અત્યંત જટિલ છે. આ બાબત સ્ત્રી શિક્ષણ ને  ખાસ લાગુ પડે છે. અપર્યાપ્ત શિક્ષણ ના કારણે નાના કુટુંબની અગત્ય જલદી સમજી શકાતી નથી.
  • પરિણામે કદ મોટું રહેવાનું વલણ જણાય છે. ઉપરાંત સ્ત્રીઓમાં શિક્ષણનાં સ્તર અને બાળકોની સંખ્યા વચ્ચેનો સંબંધ દુનિયાભરમાં જોવા મળ્યો છે. 

નિરક્ષર સ્ત્રીઓની તુલનામાં પ્રાથમિક શિક્ષણ પામેલી સ્ત્રીઓ આછા બાળકોને જન્મ આપતી માલૂમ પડે છે.  દેશમાં નિરક્ષરતા અને અલ્પ શિક્ષણને કારણે જન્મ-દર ઉંચો રહેવા પામે છે.

(2) આવકની  નીચી સપાટી :

કુટુંબની આવક નીચી હોય ત્યારે વધારાના  બાળકનું આગમન જવાબદારી નહિ, પરંતુ અસ્કામત ગણાય છે. ‘ઝાઝા હાથ રળિયામણા’ એ ન્યાયે બાળક પણ ભવિષ્યમાં કુટુંબની આવકમાં વધારો કરશે તેવી  આશા સેવાય છે.

અત્યારે પણ ચાની લારી પર અથવા નાની હોટેલોમાં રોજી રળીને કુટુંબની આવકમાં વધારો કરતા બાળકોને આપણે જોઈએ જ છીએ ને ?

(3) બાળમૃત્યુ-દરનું ઊંચું પ્રમાણ :

“જીવતાં જન્મેલાં દર હજાર બાળકોમાંથી એક વર્ષનું આયુષ્ય પૂરું  પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યા ને બાળમૃત્યુ-દર કહે છે.”

ભારતમાં વિકસિત દેશોની તુલનામાં બાળમરણનું પ્રમાણ ઘણું ઊંચું છે. બાળમૃત્યુ-દર ઊંચો હોવાના કારણોમાં ગરીબી, દીકરીનો જન્મની ઉપેક્ષા, પોષણયુક્ત આહારનો  અભાવ, સ્ત્રીઓને વારંવાર થતી કસુવાવડ, ઉછેર ની જૂની માન્યતા, અપૂરતી આરોગ્યની  સગવડો, બે બાળકો વચ્ચેના ઓછો ગાળો વગેરેને કારણે બાળમૃત્યુ વધારે થાય છે.

અન્ય પરિબળો:

ઊંચો પ્રજનન-દર :

વર્ષ દરમિયાન 15 થી 49 વર્ષની વય ધરાવતી દર 1000 સ્ત્રીઓની કુખે જીવતાં જન્મેલા બાળકની સંખ્યાને પ્રજનનનો દર કહે છે.

1961 માં આ વયજૂથમાં રહેલી મહિલાઓ માટે સરેરાશ જીવિત બાળકોની સંખ્યા 6 જેટલી હતી  જે 2011માં ઘટીને 3 જેટલી થઈ છે.

સરેરાશ જીવિત બાળકોની ઉંચા પ્રમાણ માટે બે પરિબળો જવાબદાર હોઈ શકે:

(1) ભારતમાં નાની વયે થતા લગ્નોને કારણે મહિલાઓમાં માતૃત્વ ધા૨ણ કરી એને સમયગાળો લાંબો જોવા મળે છે અને

(2) માતૃત્વ ધારણ કરી શકે તેવી મહિલાઓમાં અપરણિત મહિલાઓનું પ્રમાણ ઘણું ઓછું છે.

(2) કુટુંબ નિયોજન અંગેની માહિતી નો અભાવ :

“કુટુંબ નિયોજન એટલે આયોજીત માતૃત્વ અને પિતૃત્વ દ્વારા કુટુંબને સમજપૂર્વક મર્યાદિત રાખવું તેમજ બે બાળકો વચ્ચે યોગ્ય સમયમર્યાદા નક્કી કરવી ”

ભારતીય સમાજમાં વ્યાપક ગરીબી, સામાજિક રીત-રિવાજો તથા ધાર્મિક  માન્યતાઓની સાથે શિક્ષણના નીચા પ્રમાણના કારણે કુટુંબનિયોજન સામે અવરોધ  ઊભા થાય છે.

નીચા મૃત્યુ-દરના કારણો :

જીવન ધોરણમાં સુધારો:

  • આર્થિક વિકાસના કારણે લોકોની આવક વધવાથી જીવન ધોરણ માં  સુધારો થયો છે.
  • દેશના લોકો પહેલા કરતા સારી ગુણવત્તાવાળું અનાજ, રહેઠાણ ની  પૂરતી સગવડ આરોગ્યની જાળવણી અને પૂરતું શિક્ષણ પ્રાપ્ત કરતા થયા છે. જેના પરિણામે મૃત્યુ-દર ઘટયો છે.

રોગચાળા પર નિયંત્રણ :

  • 20મી સદીના ઉત્તરાર્ધમાં દેશમાં પ્લેગ, શીતળા, ક્ષય, મેલેરિયા જેવા જીવલેણ રોગોના કારણે મૃત્યુ દર ઉંચો હતો.
  • પરંતુ 20મી સદીના અંતમાં વિકાસના પરિણામે મેડિકલ ક્ષેત્રે અદભૂત પ્રગતિ સાધવાથી તેમજ વિવિધ રોગ-પ્રતિકારક રસીઓનો આવિષ્કાર થવાથી ઉપર્યુક્ત રોગો પર અંકુશ મૂકવામાં સફળતા પ્રાપ્ત થઈ છે જેના પરિણામે મૃત્યુ દર ઘટ્યો છે.

દુષ્કાળ પર અંકુશ :

  •  વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે દુષ્કાળ પર અંકુશ આવ્યો છે. તેથી ભૂખમરા ને  કારણે થતા મૃત્યુને ટાળી શકાય છે.
  • 1966 થી હરિયાળી ક્રાંતિ થવાથી દેશમાં અનાજના પુરવઠામાં નોંધપાત્ર વધારો થયો છે. પરિણામે દેશના કોઇ એક અછત ગ્રસ્ત વિસ્તારમાં છતવાળા વિસ્તારમાંથી સહેલાઇ થી અનાજની હેરફેર  કરી શકાય છે તેથી માનવીને ભૂખમરાને કારણે મોતના મુખમાં જતો બચાવી શક્યા છીએ.

કુદરતી આપત્તિઓ સામે રક્ષણ અને વાહન વ્યવહારની સગવડો (Transportation) :

  •  દેશમાં પહેલાં ધરતીકંપ, ત્સુનામી, ભૂસ્ખલન, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવી કુદરતી હોનારતોથી માનવ મૃત્યુદરનો આંક  ઊંચો હતો.
  • આજે દેશના કોઈ પણ ભાગમાં આ પ્રકારની કુદરતી આપત્તિઓ સર્જાય તો ઝડપી વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહાર ના પરિણામે તાત્કાલિક અનાજ, દવાઓ  અને અન્ય પ્રાથમિક જરૂરિયાતો માનવતાના ધોરણે પ્રાપ્ત થવાથી મૃત્યુ-દરમાં ઘટાડો થયો છે.

વસ્તી-નિયંત્રણ ના ઉપાયો (Measure of Population Control)

લોક શિક્ષણ અને જાગૃતિ :

  • જન્મ-દર ને નીચો  લાવવા માટે નાના કુટુંબ નું મહત્વ લોકો સુધી પહોંચે તે જરૂરી છે.આ માટે લોકોમાં શિક્ષણનો  પ્રચાર કરવો જોઈએ.
  • ખાસ કરીને સ્ત્રીઓના શિક્ષણ અંગે સમાજ વધુ જાગ્રત થાય તે જરૂરી છે. આ માટે સંદેશા-વ્યવહારના વિવિધ માધ્યમો દ્વારા વસ્તીશિક્ષણ પરના ખાસ કાર્યક્રમો પ્રસારિત કરવા જોઈએ.
  • શાળા કોલેજમાં નિષ્ણાત વ્યક્તિઓના વ્યાખ્યાન ગોઠવવા, નાટક, મૂક અભિનય, ગીતો વગેરે દ્વારા જાગૃતિ લાવી શકાય.

વર્ષ 2000 ની વસ્તીનીતિમાં મહિલા વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. એક વસ્તીશાસ્ત્રીએ કહ્યું છે તે મુજબ “શિક્ષણ એ સંતતિ-નિયમનનું સર્વશ્રેષ્ઠ સાધન છે.”

કુટુંબ નિયોજન કાર્યક્રમની અસરકારકતા :

  • કુટુંબ નિયોજન અંગેના કાર્યક્રમને  વધુ અસરકારક બનાવવા માટે લોકશિક્ષણની સાથે-સાથે કુટુંબનિયોજન સેવાઓ અને સવલતોમાં વધારો કરાયો છે. સંતતિ નિયમનના સાધનો સાદા, સસ્તા અને સુલભ બની રહે તે  જરૂરી છે.
  • 2000 ની વસ્તી નીતિમાં કુટુંબ નિયોજન કાર્યક્રમમાં ફેરફાર કરીને વંધ્યીકરણ ને અપાતા વધુપડતા મહત્વને ઘટાડીને અનૈચ્છિક ગર્ભધારણ ને અટકાવવા માટે અન્ય સલામત પધ્ધતિઓ પર ભાર મૂકવામાં આવ્યો છે.

મહિલાઓની લગ્ન વય અને દરજ્જામાં વધારો :

  • લગ્ન માટેની વયમાં કાયદા દ્વારા વધારો કરી ખાસ મહિલાઓ માટે લગ્નવય વધારીને જન્મ-દરમાં ઘટાડો નિપજાવી શકાય.
  • 2000ની વસ્તીનીતિમાં મહિલાઓ માટે લગ્નની 18 વર્ષની વયના સ્થાને શક્ય હોય, તો 20 વર્ષ થાય તેવા પ્રયત્નો માટે પ્રોત્સાહન અપાયું છે.
  • સમાજમાં સ્ત્રીઓના દરજ્જામાં વધારો કરવામાં આવે તો પણ જન્મ-દ૨ ઘટી શકે છે.

પ્રોત્સાહનો અને બિનપ્રોત્સાહનો :

  • સરકાર તરફથી આપવામાં આવતા પ્રોત્સાહનો અને બિનપ્રોત્સાહનો કુટુંબ નિયોજનમાં અગત્યનો ભાગ ભજવે છે. જેમ કે વંધ્યીકરણનુ ઓપરેશન કરાવનાર દંપતિઓને સરકાર તરફથી આર્થિક વળતર આપવામાં આવે છે.
  • વધતી વસ્તી ને અટકાવવા માટે ચીને બિનપ્રોત્સાહનનો દાખલો વિશ્વ સમક્ષ આપ્યો છે. જેમાં બે બાળકવાળા દંપત્તીઓના મહત્ત્વના લાભો પાછા ખેંચી લેવામાં આવ્યા હતા.

જોકે થોડા સમયથી આમાં છૂટછાટ આપી છે. તેમજ ભારતની વાત કરીએ તો ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બે કરતા વધારે સંતાન હોય તે દંપતી ચૂંટણી લડી શકતા નથી.

તબીબી સેવાઓનો વ્યાપ અને અસરકારકતામાં વધારો : 

  • ભારતમાં મૃત્યુનો દર નીચો હોવા છતાં વિકસિત રાષ્ટ્રને સરખામણીમાં આ દર હજુ ઊંચો જણાય છે.
  • વિજ્ઞાનની મદદ વડે પ્રજનન તથા બાળ આરોગ્યને લગતી સેવાઓ તથા સવલતોમાં વધારો કરવો, રસીકરણ ની સાર્વત્રિક તથા અસરકારક બનાવવી. ‍
  • એઇડ્સ જેવી બાબતો અંગે જાણકારી વધારવી, અન્ય ચેપી તથા જાતીય રોગોના પ્રમાણમાં ઘટાડો કરવો – આ પ્રકારના પગલાં મૃત્યુના દર તથા બાળમૃત્યુના દર નીચી સપાટીએ લઈ જઈ શકે તેમ છે.
  • વિશ્વમાં સૌપ્રથમ વખત વસ્તીને નિયંત્રિત કરવા માટેનો પ્રયત્ન વસ્તીનીતિ દ્વારા ભારતમાં થયો. નવી વસ્તી  નીતિ (2000) માટે સમિતિની રચના ડો. એમ. એસ. સ્વામીનાથનના વડપણ હેઠળ થઈ હતી.

વસ્તી નીતિના વિવિધ પગલાં ને કારણે સમાજકલ્યાણની ઊંચી સપાટી પ્રાપ્ત થઈ શકશે અને વસ્તી વધારા સામે સ્વયં જાગૃતિ આવશે.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here