Parishram ej parasmani essay in gujarati

1
9218
Parishram ej parasmani essay in gujarati
Parishram ej parasmani essay in gujarati

પરિશ્રમ એ જ પારસમણિ/. શ્રમ નુ મહત્વ

Parishram ej parasmani essay in gujarati
Parishram ej parasmani essay in gujarati

ગુજરાતીમાં જાણીતી પંક્તિ છે.” સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નહાય” કવિ અહીં મહેનત નો મહિમા વર્ણવે છે જે વ્યક્તિ મહેનત કરે છે  તેને સફળતા હંમેશા પ્રાપ્ત થાય છે કેમકે સફળતાનો કોઈ શોર્ટકટ હોતો નથી. કઠોર પરિશ્રમ નો બીજો કોઈ વિકલ્પ જ નથી હોતો જેની પાસે પરિશ્રમ રૂપી પારસમણિ હોય છે તેને જ સફળતા રૂપી સોનુ પ્રાપ્ત થાય છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ પરિશ્રમનો મહિમા ગવાયો છે. ગીતા કહે છે કે મનુષ્ય અે  શ્રમ યજ્ઞ કર્યા વગર કદી ખાવું જોઈએ નહીં પરિશ્રમ તો કરવો જ પડે છે. બાઈબલ પણ કહે છે કે મનુષ્ય એ મહેનત કર્યા વિના ખાવું ન જોઈએ. સદીઓથી પુરુષાર્થ નો મહિમા ગવાતો આવ્યો છે. આપણા પૌરાણિક ધર્મગ્રંથો શાસ્ત્રો વેદો પુરાણો માં પણ પરિશ્રમ ની વાત કરવામાં આવી છે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ શ્રમને પોતાના જીવનમાં ઉતાર્યો છે તેનું જીવન જ શ્રમ મય હતું.

ભારતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત રિલાયન્સ ના સ્થાપક શ્રી ધીરુભાઈ અંબાણી એક સમયે ઘરે-ઘરે સાયકલ પર કાપડના તાકા વેચતા હતા તથા નિરમા કંપનીના માલિક કરસનભાઈ પટેલ પણ સાયકલ પર જઈને નાની કોથળી માં ડિટર્જન્ટ પાવડર વેચતા હતા પોતાની મહેનત અને ધગશથી તેમણે સફળતાના શિખરો સર કર્યા એવી જ રીતે આપણા ભૂતપુર્વ રાષ્ટ્રપતિ અને દેશના ટોચના વૈજ્ઞાનિક શ્રી એ.પી.જે.અબ્દુલ કલામ નાનપણમાં તેમના અભ્યાસમાં જ પૂરો કરવા ઘરે ઘરે છાપા નાખવાનું કામ કરતાં તેમણે પણ પોતાની મહેનતને શસ્ત્ર બનાવીને જીવનમાં ઉચ્ચ સ્થાન અને સિદ્ધિઓ પ્રાપ્ત કરી

એટલે જ તો કહેવાય છે ને કે જે મહેનત કરે છે તેને નસીબ પણ સાથ આપે છે કેમકે “પુરુષાર્થ આગળ પ્રારબ્ધ પાંગળું છે”.

સંસ્કૃતમાં એક સુભાષિત છે: उद्यमेन हि सिध्यंति कार्याणि ना मनोर थै। नहीं सुप्तस्य सिंहस्य प्रविशंती मुखे मृगा:।।

 જંગલના રાજા સિંહ ને પણ શિકાર કરવા જવું પડે છે તો પછી મારી અને તમારી શું વિસાત! યાદ રાખો : No Pain No Gain

મતલબ કે મહેનત વગર કઈ મેળવી શકાતું નથી.

પુરુષાર્થ એટલે પરિશ્રમ. વ્યક્તિ પોતે પામવા માટે જે કંઈ મહેનત કે પ્રયત્ન કરે છે તેને પુરુષાર્થ કહેવાય છે માનવીને પુરુષાર્થ વિના કશું જ મળતું નથી. પ્રારબ્ધમાં ગમે તે લખાયું હોય પરંતુ એને પામવાનો પ્રયત્ન તો માણસે પોતે જ કરવાનો હોય છે. વળી દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય પોતાના પુરુષાર્થ વડે જ  નિર્માણ કરી શકે છે. પુરુષાર્થ કરનાર મનુષ્ય જ સુખ સંપત્તિ મેળવી શકે છે. સખત મહેનત કરનાર માટે નેપોલિયન એવું કહેલું છે “nothing is impossible in the world”

પરિશ્રમ નુ મહત્વ જેટલું આંકીએ  એટલું ઓછું છે.” Man is the architect of his own future” વ્યક્તિ પરિશ્રમ થકી જ મહાન બની શકે છે પરિશ્રમમાં અદભુત શક્તિ છે. પરિશ્રમ દ્વારા જ વ્યક્તિ જીવનના ઉચ્ચતમ શિખરો સર કરી શકે છે વ્યક્તિ પરિશ્રમ થકી જ મોટો બને છે સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠા મેળવી શકે છે જેટલી પણ ભૌગોલિક અને વૈજ્ઞાનિક શોધખોળો થઈ છે અદ્યતન યંત્રનું નિર્માણ થયું છે અને સુખસગવડના સાધનો બન્યા છે આ બધું જ પરિશ્રમના બળથી જ શક્ય બન્યું છે.

“પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે” પરિશ્રમ તો એક અનન્ય શક્તિ છે માણસ ઊર્જા અને શક્તિ નો અક્ષય ભંડાર છે માનવી ધારે તે કરી શકે છે ઈતિહાસ સાક્ષી છે કે પુરુષાર્થના પ્રતાપે આજનો માનવી ક્યાંથી ક્યાં સુધી પહોંચી ગયો છે.માનવીએ  આજે પ્રગતિના સોપાનો સર કર્યા છે ખરેખર “પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે”.

જીવનના કોઈ પણ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો મહેનત એકમાત્ર વિકલ્પ છે .એક શ્રમજીવી સાંજ પડે ને રોટલો ત્યારે જ મેળવી શકે છે જ્યારે તે આખો દિવસ કાળી મજૂરી કરે છે એક મધ્યમ વર્ગનો માણસ પોતાના બે છેડા ત્યારે ભેગા કરી શકે છે જ્યારે તે નોકરીમાં તનતોડ મહેનત કરે છે એવી જ રીતે પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરવા તેમજ સિદ્ધિના શિખર પર પહોંચવા વિદ્યાર્થીને કલાકો સુધી અભ્યાસ કરવો પડે છે શ્રમજીવી થી લઈને શ્રીમંત સુધી સમાજનો કોઈ પણ વર્ગ હોય મહેનત કર્યા વગર તેને કંઈ પ્રાપ્ત થતું નથી માત્ર પ્રારબ્ધ ના જોડે બેસી રહેલા ની સફળતા લાંબો સમય ટકતી નથી.

“શ્રમનું ગૌરવ” કેવળ વાતો કરવાથી શબ્દોથી કે ભાષણોથી ન વધે તેના માટે તો આચરણ એ જ શ્રેષ્ઠ ઉપાય છે. બાળકો શાળાજીવન દરમિયાન જ શ્રમ કરવાથી ટેવાય  એ જરૂરી છે શ્રમ પ્રતિ ક્યારેય સૂગ ના રાખવી જોઈએ. શ્રમ માત્ર ભાષણમાં નહીં પરંતુ આ ચરણમાં હોવું જોઈએ મધર ટેરેસા, મહાત્મા ગાંધીજી, વિનોબા ભાવે, સરદાર પટેલ આ બધા મહાનુભવોએ આચરણ દ્વારા જ શ્રમ નું ગૌરવ વધાર્યું છે.

દુનિયાના તમામ માણસો પોત પોતાના ક્ષેત્રમાં કંઈ ને કંઈ કામ કરે છે ખેડૂત, મજૂર, શિક્ષક, ઉદ્યોગપતિ, અધ્યાપક, વૈજ્ઞાનિક તમામ લોકો પરિશ્રમ કરે છે આપણી પાસે એવી કોઈ જાદુઈ તાકાત નથી કે “ખૂલ જા સીમસીમ” કહેતા દરવાજા ખુલે અને જરૂરી વસ્તુ હાજર થઈ જાય.

શ્રમ અને પુરુષાર્થથી જ માનવી  સુખ સંપત્તિ અને સત્તા ના શિખરો સર કરી શકે છે પુરુષાર્થના બળે જ માનવી ચંદ્ર અને મંગળ સુધી પહોંચી શકે છે વિશ્વની મહાન સિદ્ધિઓ પણ આવા પુરુષાર્થનું પરિણામ છે. જગતના મહાન નેતાઓ, ચિંતકો, વૈજ્ઞાનિકો પુરુષાર્થ થી જ અમર બન્યા છે.

આપણે હંમેશા શારીરિક અને માનસિક શ્રમ કરતા રહેવું જોઈએ નિષ્ફળતા આવે તો પણ પ્રયત્ન કાયમ રાખવો જોઈએ પ્રકૃતિના બધા તત્વો આપણને પરિશ્રમનું જ મહત્વ સમજાવે છે. સૂર્ય કોઈ દિવસ પોતાના કાર્યથી ચૂકતો નથી કે નદી કોઈ દિવસ વહેવાનું બંધ કરતી નથી. જીવન સાફલ્ય નું રહસ્ય પુરુષાર્થમાં જ રહેલું છે.

ભગવાને મનુષ્યને હાથ પગ, મગજ અને બુદ્ધિ આપ્યા છે. પરિશ્રમ કરવાના આ ઉપયોગી અવયવો પ્રત્યે ઉપેક્ષા રાખીને બેસી રહેનારને ભાગ્ય  પણ મદદ નથી કરતું એટલે જ કહેવાયું છે કે બેઠેલાનું નસીબ બેસી રહે છે. ઊભેલાનું ઉભુ અને ચાલનાર નું નસીબ જ ચાલે છે.અરે! નસીબ પણ પુરુષાર્થની દાસી છે.

ભારત માટે આઝાદીની ચળવળ શરૂ કરનાર મહાત્મા ગાંધી આખું ભારત ગામડે ગામડે જઈને ફર્યા હતા અને તેને સમજ્યા હતા અને પછી તેમાં તેઓ સફળ થયા હતા એટલે જ તો કહેવાય છે ને કે” ફરે તે ચરે ને બાંધ્યું ભૂખે મરે”. આમ આપણા રાષ્ટ્રપિતા નું જીવન શ્રમના એક મહાકાવ્ય જેવું હતું. જાપાન અને જર્મની જેવા દેશોની પ્રજાએ શ્રમ વડે જ થોડા જ સમયમાં પોતાના દેશની અદભુત પ્રગતિ સાધી છે. ખરેખર શ્રમના સાધકો દ્વારા જ નૂતન ભારતનું નિર્માણ થઈ શકશે.

“પુરુષાર્થી લલાટે જે રીતે પ્રસ્વેદ પાડે છે

ઘણા પ્રારબ્ધને જળ છાંટીને એમ જ જગાડે છે”.

આ નિબંધ માં ઉપયોગમાં લઈ શકાય એવી કેટલીક પંક્તિઓ:

“પુરુષાર્થ રેતીના કણને પર્વત અને બિંદુને નદી બનાવી શકે છે”

“કામ કરે એ જીતે રે મનવા કામ કરે જીતે”

“વિપત પડે ન વલખીએ વલખે વિપત ન જાય

વિપતે ઉદ્યમ કીજિયે ઉદ્યમ વિપતને ખાય”.

“Impossible is word found in the dictionary of cowords”

આ નિબંધની સાથે સાથે  વિદ્યાર્થીમિત્રો 15મી ઓગસ્ટના દિવસે ધ્વજ વંદન  ના કાર્યક્રમમાં શાળામાં તમને ખૂબ જ ઉપયોગી થાય તેવી ખૂબ જ સુંદર સ્પીચ  અહીં આપેલી છે. આ સ્પીચ જરૂરથી તૈયાર કરજો.નીચે આપેલી લિંક પર ક્લિક્ કરો.

પંદરમી ઓગસ્ટ નિબંધ

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here