પાઠ- 12 ધંધાકીય પર્યાવરણ

0
1189

પ્રસ્તાવના  (Introduction):- 

ધંધાકીય પર્યાવરણ

  • કોઈ પણ ધંધો એ સમાજના વિવિધ પરિવર્તનશીલ પરિબળો જેવાં કે, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક,ટેકનોલોજીકલ, રાજકીય, ધારાકીય સાથે કે સમૂહ જેવા કે ગ્રાહકો, હરીફો, માલ પૂરો પાડનારાઓ, કર્મચારીઓ વગેરે સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલા હોય છે.
  • દા. ત., ધંધો ગ્રાહકોને પેદાશ કે સેવાનું વેચાણ કરે છે.
  • કર્મચારીઓને રોજગારી પૂરી પાડે છે. કાચો માલસામાન વિવિધ પુરવઠાકારો પાસેથી ખરીદે છે. હરીફોની સાથે પોતાની પેદાશ કે સેવા સતત હરીફાઈ કરે છે વગેરે.
  • આમ, કોઇ પણ ધંધો એ સમાજથી અલગ રહીને કાર્ય કરી શકતો નથી. ધંધા ઉપર આસપાસનાં અનેક પરિબળો અસરકર્તા હોય છે. આ પરિબળોના સમુહને ધંધાકીય પર્યાવરણ (Business Environment) કહે છે.

અર્થ (Meaning):- 

   આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક , ટેકનોલોજીકલ, રાજકીય, ધારાકીય વગેરે પરિબળોનો ધંધાકીય પર્યાવરણમાં  સમાવેશ થાય છે. આ ઉપરાંત

કેટલાંક સમૂહો (જૂથો) જેવાં કે ગ્રાહકો, કર્મચારીઓ, હરીફો, માલ પૂરો પાડનારાઓ વગેરેનો સમાવેશ પણ ધંધાકીય પર્યાવરણમા થાય  છે.

 

ધંધાકીય પર્યાવરણ ના સુત્રો:
  • “ધંધાકીય પર્યાવરણ એ બધી જ પરિસ્થિતિઓ બનાવો અને અસરોનો સમૂહ છે જે ધંધા ની આજુ બાજુ હોય છે અને તેને અસર કરતી હોય છે”-  કીથ ડેવિસ
  • “ભારતના વડાપ્રધાન પી.વી.નરસિંહરાવ તેમજ નાણામંત્રી મનમોહનસિંહના નેતૃત્વ નીચે 1991માં બનેલી નીતિ એ આપણા દેશમાં નવા ધંધાકીય પર્યાવરણ ના માર્ગે એક સીમાચિહ્નરૂપ હતી”.
  • “ધંધાકીય પર્યાવરણ સાથે તાલમેલ સાધનાર ધંધાકીય એકમજ સફળતા પ્રાપ્ત કરી શકે છે”.
  • “ધંધાકીય પર્યાવરણ માં સામાન્ય રીતે છે તેના પર કોઇ વ્યક્તિ કે સંસ્થા નું નિયંત્રણ હોતું નથી તેવા તમામ પરિબળો અને અંકુશોનો સમાવેશ થતો હોય છે”

ધંધાકીય પર્યાવરણનુ મહત્વ:-

(1) પ્રથમ પ્રવેશનો લાભ :

ધંધાકીય પર્યાવરણના અભ્યાસને કારણે એકમો અગાઉથી ધંધાકીય તકોને ઓળખી શકે છે અને તે અનુસાર પેદાશને બજારમાં મૂકી શકે છે 

જેથી હરીફો આવી તકનો લાભ લે તે અગાઉ તેઓ પ્રથમ રજૂઆતનો લાભ મેળવી શકે છે. દા.ત., દ્વિચક્રી  વાહનોમાં વર્ષો સુધી ભારતમાં સ્કુટરની મહત્ત્વતા સ્વીકારાઈ હતી અને મોટરસાયકલનુ વેચાણ ખૂબ જ ઓછું હતું.

ભારતની એક સાયકલ  બનાવતી કંપની એ ભવિષ્યમાં મોટરસાયકલની માંગ વધશે તેવું અનુમાન કરીને વિદેશી કંપની સાથે મોટરસાયકલની ટેકનોલોજી માટે સંયોજન કરી ભારતીય બજારમાં મોટરસાયકલ પ્રચલિત કરી. 

(2) સંચાલકોની સંવેદનશીલતા : 

ધંધાકીય પર્યાવરણનાં પરિબળોના કારણે સંચાલકો સંચાલનના કાર્ય માટે વધુ સંવેદનશીલ બન્યા છે. દા.ત., ભારતમાં વર્ષો સુધી કેમેરા ઉત્પાદનમાં પહેલો નંબર ધરાવતી કંપનીએ કેમેરા ઉત્પાદન સાથે પ્રિન્ટર અને કોપિયર મશીનનું ઉત્પાદન કરવાનો નિર્ણય લીધો અને પોતાની ઉત્પાદન ક્ષમતાને વધારીને  નફાકા૨ક્તા વધારવા પ્રયત્નશીલ બની.

(3) તક ઝડપવી : 

કેટલીક વખત ધંધાકીય પર્યાવરણ એવી તક પૂરી પાડે છે કે જેનો લાભ લેવામાં આવે તો ફાયદો થાય છે. આ માટે પર્યાવરણ સમજવું જરૂરી છે. દા. ત., આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધતા પેટ્રોલ અને ડીઝલ સતત મોંઘાં થતાં ગયાં તેથી પણ કાર્યક્ષમ વાહનોની માંગ વધવા લાગી. ઘણા બધા વાહન ઉત્પાદકોએ  પોતાના વાહનમાં લોખંડનો ઉપયોગ ઘટાડી તેની જગ્યાએ વજનમા હલકા છતાં મજબૂત તેવા ફાઈબર મટીરિયલનો ઉપયોગ વધાર્યો, આમ, વાહન બનાવતી કંપનીઓને બજારમાં વધુ લાભ મળ્યો.

(4) ભયસ્થાનોની ઓળખ :

સતત બદલાતુ ધંધાકીય પર્યાવરણ કેટલાક ભય સ્થાનો ધરાવે છે. દાંત, ભારતમાં રેડિયોની પ્રચલિતતા શરૂઆતના વર્ષોમાં ખૂબ સારી હતી પરંતુ રંગીન ટેલિવિઝનના આગમન પછી રેડિયોનુ મહત્વ ઘટવા લાગ્યું હતું. રેડિયોની સેવામાં પરિવર્તન લાવવામાં આવ્યું. હાલમાં રેડિયોની સેવા એફ. એમ.(ફ્રિકવન્સી મોડ્યુલેશન -Frequency Modulation) બેન્ડ દ્વારા પ્રાપ્ય બની છે.

એફ.એમ.રેડિયોની વિવિધ ચેનલોના ઉદઘોષક પોતાને  RJ( રેડિયો જોકી -Radio Jockey)  કે MJ ( મ્યુઝીક જોકી -Music Jockey)   તરીકે ઓળખાવે છે અને તેમણે પોતાની ઉદઘોષણામાં પણ ભારે ફેરફાર કર્યા જે પારંપરિક ઉદઘોષણાથી જુદા પડે છે અને તેના કારણે ફરીથી એફ.એમ. બેન્ડ રેડિયો તેની વિવિધ ચેનલો દ્વારા પ્રચલિત બન્યો છે.


(5) નીતિ વિષયક નિર્ણયોમાં ઉપયોગી : 

કેટલાક નીતિ વિષયક નિર્ણયો લેતી વખતે ધંધાકીય પર્યાવરણની સમજ અને વિશ્લેષણ ધંધાર્થીઓને અન્ય ધંધાર્થી  કરતાં આગળ મૂકી દે છે. દા.ત., ભારતનો વીમા ઉદ્યોગ.આઝાદી પછી વીમા ઉઘોગનું રાષ્ટ્રીયકરણ થયું અને 1991 પછી આર્થિક નીતિઓમાં ફેરફારના ભાગરૂપે ખાનગી ક્ષેત્રે વીમા કંપનીનું અસ્તિત્વ પણ સ્વીકારાયું. 

(6) સતત અભ્યાસ : 

ધંધાકીય પર્યાવરણ એ સંચાલકોને સતત નવું શીખવા માટે એક આધાર પૂરો પાડે છે. ધંધાકીય પર્યાવરણના સતત અભ્યાસના કારણે ધંધાનું  કદ અને નફો સતત વધતા રહે છે, મૂડી બજારની પરિસ્થિતિ, ધંધાની પેદાશની ભાવિ માંગ વગેરે જાણી શકાય છે. જેના કારણે ધંધાકીય એકમ પોતાનું આયોજન નક્કી કરી શકે છે.

દા. ત., કમ્પ્યુટર ક્ષેત્રે સતત નવા સોફ્ટવેર તેમજ હાર્ડવેર શોધાતા રહે છે તેથી આ ક્ષેત્રમાં રહેલા લોકોએ સતત અભ્યાસ  કરતા રહેવું પડે છે અને કયૂટર ક્ષેત્રના ધંધાનો વિકાસ ઉત્તરોત્તર વધતો જ રહ્યો છે.

ધંધાકીય પર્યાવરણ નો અર્થ અને મહત્વ

પ્રથમ પ્રવેશ સંચાલકોની તક  ઝડપવી ભયસ્થાનોની સતત નીતિવિષયક

Short: પ્રથ સંચા તક ભય નીતિ સતત.


(1) ધંધાકીય પર્યાવરણના આંતરિક પરિબળો (Internal Factors) : 

ધંધાકીય પર્યાવરણના આંતરિક પરિબળ એટલે એવા ધંધાકીય પરિબળો કે જેના ઉપર મોટા ભાગે સંચાલકોનો કાબૂ હોય છે. આવાં પરિબળોમાં જરૂરિયાત મુજબ ફેરફાર સંચાલક કરી શકે છે. દા.ત., ધંધાના હેતુઓ,  કર્મચારીઓ, સંચાલકીય માળખું વગેરે.

(2)  ધંધાકીય પર્યાવરણના બાહય પરિબળો (External Factors)

એવાં ધંધાકીય પરિબળો કે જેના ઉપર સંચાલકોનો મોટાભાગે કાબૂ હોતો નથી. આવા પરિબળો અનુસાર ધંધામાં જરૂરી ફેરફાર કરવા પડે છે. આ પરિબળોને આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક,ટેકનોલોજીકલ, રાજકીય, ધારાકીય વગેરે ભાગોમાં વહેંચી શકાય.


ધંધાકીય પર્યાવરણને અસર કરતા આર્થિક પરિબળો: 

કોઈપણ સમાજ કે દેશમાં ધંધાકીય નિર્ણયો ઉપર જે – તે સમાજની કે દેશની આર્થિક  ખાસિયતો કે મર્યાદા સીધી રીતે અસર કરે છે. ધંધાના વિકાસની કક્ષા અને ધંધાના વિકાસનું સ્વરૂપ મોટાભાગે આર્થિક બાબતો ઉપર વિશેષ આધારિત હોય છે જેમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે.

(a) આર્થિક પદ્ધતિ (Economic system) ; 

જે તે દેશની આર્થિક પ્રવૃત્તિનું બંધારણ અને દિશા નક્કી કરવામાં આર્થિક  પદ્ધતિ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. જો મુડીવાદી આર્થિક પદ્ધતિ અમલમાં હોય તો તેનો સીધો  અર્થ ‘મુક્ત વેપાર’ ની નીતિ છે.તેથી વિપરીત “સમાજવાદી’  આર્થિક પદ્ધતિમાં મોટાભાગના નિર્ણયો સરકારને આધીન હોવાથી વ્યક્તિગત પ્રોત્સાહન નામશેષ હોય છે. ભારતે ‘મિશ્ર અર્થતંત્ર’  અપનાવેલ છે 

(b) આર્થિક વિકાસની માત્રા:

દેશ આર્થિક દૃષ્ટિએ વિકસિત છે, વિકાસશીલ  છે કે અલ્પવિકસિત  છે તે પ્રશ્નનો ઉત્તર તે દેશના ધંધાકીય ક્ષેત્રની સાનુકૂળતા કે પ્રતિકુળતા દર્શાવે છે. વિકસિત દેશ એટલે એવો દેશ કે જૅમાં રાષ્ટ્રની કુલ આવક અને માથાદીઠ આવકનું પ્રમાણ ઊંચું હોય.

વિકાસશીલ દેશ એટલે એવો દેશ કે જેમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક સતત વધવાનું વલણ હોય.

અલ્પવિકસિત દેશોમાં આવકનું  પાસુ ખૂબ નબળું હોય છે અને તેનો વૃદ્ધિ દર પણ નબળો હોય છે. 

(C) ક્ષેત્રિય વિકાસ અને આંતરક્ષેત્રિય જોડાણો: 

  દેશના વિકાસમાં કૃષિ ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. 

કોઈ પણ સમાજના વિકાસમાં બધા ક્ષેત્રો  સંયુક્ત રીતે જોડાઈને વિકાસનો દર વધારે છે, દા.ત., ખેતીને સમૃદ્ધ કરવા માટે ખાતર, સારું બિયારણ, યાંત્રિકીકરણ વગેરેની માંગ વધે છે. આ સાધનો કૃષિ ક્ષેત્રે પહોંચાડવા  માટે આનુષાંગિક સેવાઓની જરૂર પડે છે. 

આમ ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર એકબીજા ઉપર આધારીત બને છે અને એક ક્ષેત્રનો વિકાસ એ બીજા ક્ષેત્રના વિકાસ માટે જવાબદાર બને છે. આમ, ક્ષેત્રિય ફેરફારો ધંધાઉદ્યોગ માટે સાનુકૂળ વાતાવરણનું નિર્માણ  કરે છે.

(d) રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક :

જે પ્રમાણમાં આવક વધે તે પ્રમાણમાં જો વસ્તી ન વધે એટલે કે આવકનો વધવાનો દર વસ્તી વધવાના દર કરતા વધુ હોય તો માથાદીઠ આવક વધે છે. આવક વધતાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત માંગ વધે છે. દા.ત., મોજશોખની વસ્તુઓ , બ્રાન્ડેડ કપડાં વગેરે.

(e) રાષ્ટ્રીય આવકની વહેંચણી  : રાષ્ટ્રીય આવકની વહેંચણી એ સમાજના જુદા જુદા વર્ગો વચ્ચેની આર્થિક ભેદરેખા સ્પષ્ટ કરે છે. જેમ રાષ્ટ્રીય આવકની વહેંચણી અસમાન તેમ  સગવડ વધારતી અને પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુઓ અને સેવાની માંગમાં વધારો થાય છે. 

(f) નાણાકીય નીતિ  : 

નાણાકીય નીતિમાં વ્યાજના દરોમાં ફે૨ફા૨, ફુગાવાનો દંર, શાખ સર્જન, શાખ પ્રાપ્યતા વગેરેનો સમાવેશ થાય છે. દા.ત., મકાન માટેની લોનના વ્યાજના દરોમાં ઘટાડો થવાના કારણે મકાનોની માંગ વધે છે અને આ સાથે સંકળાયેલા અન્ય ઉદ્યોગો જેવા કે સીમેન્ટ, સ્ટીલ, ફર્નિચર, રેતી, કપચી, ઈંટો વગેરેની માંગમાં પણ વધારો થાય છે..

(g) રાજકોષીય નીતિ (Fiscal Policy) : 

રાજકોષીય નીતિ કરવેરાના માળખા અને સરકારી ખર્ચ સાથે સંકળાયેલી છે.

રાજકોષીય નીતિના મુખ્ય હેતુઓ નીચે મુજબ હોય છે:

(i) સાધન-સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરવો. (ii) ઝડપી વિકાસ માટે સાધન- સંપત્તિની શ્રેષ્ઠતમ ફાળવણી કરવી. (iii) આવકની વહેંચણીમાં શક્ય હોય તેટલી સમાનતા લાવવી. (iv) ચીજવસ્તુઓ અને સેવાઓની કિંમતમાં સ્થિરતા લાવવી.

રાજકોષીય નીતિના  બે મહત્વના પાસાં જોવા મળે છે : (i) કરવેરાનું માળખું વ્યક્તિને, એકમને અને સમગ્ર  ઉદ્યોગોને કેવી રીતે અસરકારક થાય છે. (ii) સરકારી ખર્ચના કારણે આર્થિક પ્રવૃત્તિઓ ઉપર કેટલી અસર થાય છે

(h) અન્ય પરિબળો  : 

અન્ય પરિબળો જેવાં કે કાચો માલ અને તેનો પુરવઠો, યંત્રસામગ્રી , નાણાકીય સગવડો, માનવશક્તિ અને ઉત્પાદકતા વગેરે પણ ધંધાકિય પર્યાવરણનાં અગત્યનાં આર્થિક પરિબળો છે  ધંધા પર હકારાત્મક કે નકારાત્મક અસર સર્જે છે.

ધંધાકીય પર્યાવરણ ને અસર કરતા આર્થિક પરિબળો:

 

આર્થિક પદ્ધતિ વિકાસ ની માત્રા ક્ષેત્રીય વિકાસ આંતર જોડાણ કરી રાષ્ટ્રીય આવક માથાદીઠ આવક માંથી રાષ્ટ્રીય આવકની વહેંચણી કરવી તેમજ નાણાં નીતિ રાજનીતિ નક્કી કરી અન્ય પરિબળ DHP  આર્થિક સમજવા.

 

Short: આપ આવિમા ક્ષેવિ આંજો રામાઆવક રાવહે નાની રાની અન્ય ધંધાકીય આ પરિબળો.

 

ધંધાકીય પર્યાવરણને અસર કરતા સામાજિક પરિબળો  :

  • કોઈ પણ ધંધાકીય પ્રવૃત્તિનું સર્જન, વૃદ્ધિ અને અંત  સમાજમાં જ આવે છે. ધંધાકીય પ્રવૃત્તિને સમાજથી અલગ કરીને વિચારવાનું શક્ય નથી.
  • સમાજ એટલે માનવ સમુદાય, સામાજિક સંસ્થાઓ, સામાજિક પરંપરાઓ વગેરે. સમાજ સતત ગતિશીલ હોય છે
  •  લોકોની સમાજમાં રહેવાની  રીતભાત, જીવનશૈલી કાયમ માટે એક સરખી રહી શકે નહીં તેથી તેમાં આવતાં પરિવર્તનો ધંધાકીય પરિબળને પણ અસર કરે છે.
  • સમાજમાં રહેતા લોકોની માન્યતા, જીવનનો અભિગમ ક્યારેય એક સરખા હોઈ શકે નહીં.
  • મોટા ભાગના લોકો તેના વિકાસને લગતા નિર્ણયોમાં તેમની માન્યતા અને રીતિ-રિવાજોને પ્રાધાન્ય આપે છે. કઈ આર્થિક  પ્રવૃત્તિ કરવી ? કેટલા પ્રમાણમાં કરવી ? કેવી રીતે કરવી ? વગેરે નિર્ણયમાં તેમના ધર્મ, જ્ઞાતિ, સંપ્રદાય, આપ્તજનોનુ વર્તુળ વગેરે અસરકર્તા હોય છે.
  • જે દેશોમાં સામાજિક સંસ્થાઓનું પ્રભુત્વ છે ત્યાં આવું વલણ વધારે જોવા મળે છે. આપણા સમાજમાં પણ કેટલાક ખાસ પ્રકારના ધંધાઓ સાથે જ્ઞાતિ અને સામાજિક જૂથ સંકળાયેલા  છે. 
  • એકંદરે સામાજિક બંધનોથી જે વર્ગ જેટલા પ્રમાણમાં મુક્ત કે અલિપ્ત રહે છે તે વર્ગમાં વિકાસની માત્રા અન્ય માત્રા કરતાં થોડી વધુ હોય છે અને વિકાસનું સ્વરૂપ વધુ હોય છે.
  • આવો વર્ગ નવી વિચારસરણીને આવકારે છે તેથી ત્યાં ધંધાકીય પ્રવૃત્તિને તેટલા પ્રમાણમાં ઉત્તેજન મળે છે. 

ધંધાકીય પર્યાવરણ ને અસર કરતા સામાજિક પરિબળો: (અતિ સરળ અને ટૂંકમાં)

  • ઉદ્ભવ વિકાસ અને અંત સમાજમાં જ આવે 
  • સમાજથી અલગ પાડી શકાય નહીં 
  • સમજ ગતિશીલ અને પરિવર્તનશીલ છે
  •  રહેણીકરણી અને જીવનશૈલી કાયમ માટે એકસરખી નથી હોતી
  • સમાજમાં લોકોની માન્યતા જીવન જીવવાનો અભિગમ પણ એકસરખા નહીં.
  • મોટાભાગના માન્યતા રીત-રીવાજો થી વિકાસના નિર્ણય લે છે.
  • જે દેશમાં સામાજિક સંસ્થાઓ પ્રભુત્વ ધરાવે ત્યાં આવું વલણ.
  • ખાસ પ્રકારના ધંધા સાથે જ્ઞાતિ સામાજિક જૂથો ગાઢ સંબંધ દા.ત. સોની 
  • જે વર્ગ સામાજિક બંધનો થી મુક્ત તે  વર્ગમાં તેટલો જ વિકાસ વધારે 

આવા પરિબળો ધંધાકીય એકમની નિર્ણય પ્રક્રિયા પર અસર કરે.

ધંધાકીય પર્યાવરણને અસર કરતા સાંસ્કૃતિક પરિબળો  : 

  • સમાજનાં સાંસ્કૃતિક પરિબળો પણ ધંધાકીય પ્રવૃત્તિઓને અસર  કરે છે. આવા પરિબળોમાં પરંપરાઓ, રીતરિવાજો, રહેણી-કરણીની માન્યતાઓ, ટેવો વગેરેનો સમાવેશ થાય છે જે એકમોની નિર્ણય પ્રક્રિયાને અસર કરે છે.
  • ધંધાના સંચાલકો દ્વારા ઘણી વખત સાંસ્કૃતિક પરિબળોને અવગણવામાં આવે છે તેથી વ્યુહરચનાઓ નિષ્ફળ  જવાનું જોખમ વધે છે.
  • સુદ્રઢ સંચાલકો દ્વારા ઉત્પાદિત થયેલી ઘણી બધી પેદાશો સાંસ્કૃતિ પરિબળોની ઉપેક્ષાના કારણે બજારમાં  નિષ્ફળતા મેળવે છે.
  • સામા પક્ષે ઘણી બધી પેદાશો આર્થિક રીતે સ્વીકાર્ય ન હોવા છતા સાસ્કૃતિક પરિબળોના  સ્વીકારના કારણે સફળતા મેળવે છે.
  • સાંસ્કૃતિક પરિબળો સતત પરિવર્તનશીલ હોય છે અને આ પરિવર્તન તબકકાવાર અને સ્થિર રીતે ચાલતા રહે છે.

ધંધાકીય પર્યાવરણ ને અસર કરતા સાંસ્કૃતિક પરિબળો (અતિ સરળ અને ટૂંકમાં)

  • આવા પરિબળોમાં પરંપરાઓ રીતરિવાજો રહેણીકરણી માન્યતા અને ટેવો નો સમાવેશ.
  •  જો સંચાલકો આ પરિબળોની અવગણના કરે તો નિષ્ફળતાનું જોખમ વધી જાય.
  • સંચાલકો દ્વારા સાંસ્કૃતિક પરિબળો અને ઉપેક્ષાને કારણે બજારમાં નિષ્ફળતા મળે છે.
  • જો સાંસ્કૃતિક પરિબળો અને સ્વીકારે તો સફળતા પ્રાપ્ત કરે છે. 

આ પરિબળો પરિવર્તનશીલ હોય છે.

ધંધાકીય પર્યાવરણને અસર કરતા  ટેકનોલોજીકલ પરિબળો  : 

  •  ટેકનોલોજીકલ પરીબળોમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવો તેનો સમાવેશ થાય છે.
  • કઈ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ કરી વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવું તેમજ વસ્તુ કે સેવામાં ક્યાં પ્રકારની ટેકનોલોજી આપવી કે જેથી વસ્તુ કે સેવાનો ઉપયોગ વધુ ને વધુ લોકો સરળ રીતે  કરી શકે.
  • ટેકનોલોજીકલ પરિબળોમાં બહુ ઝડપથી પરિવર્તન થઈ રહયું છે. જે માટે દેશની અંદર થતાં સંશોધનો કે વિકાસ અથવા વિદેશોમાંથી સીધેસીધી થતી આયાત જવાબદાર હોય છે.
  • ભારતમાં એક તબક્કે યંત્રોનો ઓછો ઉપયોગ કરી વધુ રોજગારી ઊભી કરવી જોઈએ તેવી બાબત સ્વીકારાઈ હતી પરંતુ ઉદાર ઔધોગિક નીતિના ભાગરૂપે એવું સ્વીકાર્યું કે યંત્રોનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ.
  • અત્યારે ઘણા ઉદ્યોગો યંત્રમાનવ (Robot)નો ઉપયોગ પણ ગુણવત્તાયુક્ત, જથ્થાબંધ અને સતત ઉત્પાદન માટે કરે છે. 
  • સામાન્ય લોકો બેન્કની સેવાઓનો લાભ વધુ મેળવી શકે તે માટે લગભગ બધીજ બેનકોએ ઈ-બેન્કીંગ  અને એમ બેન્કિંગનો લાભ પોતાના ગ્રાહકોને તે સમજી શકે અને તેનો સરળતાપૂર્વક ઉપયોગ કરી શકે તે પ્રમાણે આપ્યો છે. 
  • ઈ-બેન્કિંગની સેવાનો લાભ ઈન્ટરનેટ કનેક્શન ધરાવતા કોમ્યુટર દ્વારા અને ઈન્ટરનેટ કનેક્શન ધરાવતા સ્માર્ટ મોબાઈલ ફોનથી એમ – બેન્કિંગ દ્વારા પૂરી પાડે છે.

ધંધાકીય પર્યાવરણને અસર કરતા રાજકીય પરિબળો

  • સરકાર સાથે સંકળાયેલા પરીબળો અને જે પક્ષની સરકાર હોય તેની આર્થિક વિચારધારા સાથે સંકળાયેલા પરિબળોને રાજકીય પરીબળો કહે છે.
  • કયા રાજકીય પક્ષની સરકાર છે, સરકારનું ઉધોગો પ્રત્યેનું વલણ, હિત ધરાવતા જૂથો દ્વારા થતો પ્રચાર, કાયદાઓ  બનાવવામાં અને તેનો અમલ કરવામાં સરકારની સક્રિયતા, રાજકીય પક્ષોની પોતાની વિચારધારાઓ વગેરેનો સમાવેશ રાજકીય પરિબળોમાં થાય છે.
  • દા.ત.પશ્વિમ બંગાળના ટાટા ગ્રુપના ટાટા મોટર્સ કંપનીની’ નેનો ‘ મોટરકારના પ્રોજેક્ટ માટે પ્રચંડ વિરોધ થતાં ટાટા ગ્રૂપે પોતાનનો પ્લાન્ટ ખસેડવાનો નિર્ણય લીધો ત્યારે ગુજરાત સરકારે ટાટા મોટર્સને  આ જ પ્રોજેકટ માટે ઘણા બધા પ્રોત્સાહનો પૂરા પાડવાની શરતે સાણંદ નજીક પ્લાન્ટની સ્થાપના કરવા આમંત્રણ આપ્યું હતું.
  • જે ટાટા કંપનીએ સ્વીકારતા, ગુજરાત સરકાર ઉદ્યોગ સાહસિકોને ઉદારતાપૂર્વક સ્વીકારે છે તેવું વાતાવરણ ઊભું થયું હતું જેના કારણે ગુજરાતનો ઔધોગિક વિકાસદર ઝડપથી વધ્યો હતો.

ધંધાકીય પર્યાવરણ ને અસર કરતા રાજકીય પરિબળો (અતિ સરળ અને ટૂંકમાં)

  • જે પક્ષની સરકાર હોય તેની આર્થિક વિચારધારા સાથે સંકળાયેલાં પરિબળો.
  •  સરકારનું  ઉદ્યોગો પ્રત્યેનું વલણ કાયદાનું ઘડતર અને અમલ કરવામાં સરકારની સક્રિયતા. 
  • પશ્ચિમ બંગાળમાં નેનો મોટરકારનો પ્રોજેક્ટ ગુજરાતમાં સાણંદ નજીક સ્થપાયો.
  •  જેના લીધે ગુજરાતની સરકાર નો સારો સંદેશ જતાં ઉદ્યોગિક વિકાસ દર ઝડપથી વધ્યો.

ધંધાકીય પર્યાવરણને અસર કરતા ધારાકીય પરિબળો  :

  • ધારાકીય પરિબળો એટલે સંસદ કે વિધાનસભા દ્વારા પસાર કરાયેલા કાયદા, ધંધાકીય એકમોએ સંસદ કે વિધાનસભા દ્વારા પસાર કરાયેલા કાયદાનું પાલન કરવાનું ફરજીયાત છે.
  • કોઈ પણ ધંધાકીય  પ્રવૃત્તિ વાસ્તવમાં સમગ્ર સમાજના વિકાસ માટે છે.સમાજના વિકાસને વેગ મળે, કલ્યાણકારી પ્રવૃત્તિમાં વધારો થાય તેવા હેતુઓથી ધંધાકીય પ્રવૃત્તિઓ આકાર ધારણ કરે છે.
  • ધંધાના  વિકાસ અને સમાજ કલ્યાણના પ્રત્યક્ષ સંબંધ છે. તેથી જ ધંધાના વિકાસને વેગ મળે અને તેનાં સારાં પરિણામોની સમાજમાં મહત્તમ વહેચણી થાય. 
  • તેનાં માઠાં પરિણામો સમાજે ભોગવવાં ન પડે તે માટે સરકાર સજાગ હોય છે. ધંધાકીય  નિયમન માટે વિવિધ કાયદાઓ પસાર કરવામાં આવ્યા છે જેવા કે, ઔદ્યોગિક વિકાસ અને નિયમન ધારો-1951 ,  આવશ્યક ચીજવતુઓનો ધારો-1955 ) વગેરે.
  • સમયની જરૂરિયાત અનુસાર જૂના કાયદામાં સુધારો કરવામાં આવે છે અથવા ઘણી વખત તે નાબુદ પણ કરવામાં આવે છે. ઇજારાશાહી અને પ્રતિબંધક વેપારી ધારો-1951માં ફેરફારના કારણે  ઘણી ભારતીય કંપનીઓ પોતાનું કદ વૈશ્વિક ધારાધોરણો અનુસાર વધારી શકી છે.


ઉદારીકરણ, ખાનગીકરણ,વૈશ્વિકકિકરણ (Liberalisation, Privatisation and Globalization):-

 

  ભારત સ્વતંત્ર થયા પછી મિશ્ર અર્થતંત્રની પદ્ધતિ સ્વીકારવામા આવી  પરંતુ તેમાં સંજોગો અનુસાર વારંવાર ફેરફાર કરવામાં આવ્યા. જોઈએ તેવા પરિણામો ન મળવાને  કારણે 1991ના જુલાઈ માસ પછી ભારતીય અર્થતંત્રમાં ઉદારીકરણ, ખાનગીકરણ, અને વૈશ્વિકકિકરણનો તબક્કો શરૂ થયો.

ઉદારીકરણ( Liberalisation):

 

  અર્થ : 1947 થી 1991 સુધીનો સમયગાળો ભારતમાં વ્યાપાર ઉદ્યોગો માટે અંકુશીત વાતાવરણનો રહયો.

  • ઉદારીકરણને સ૨ળ શબ્દોમાં સમજવું હોય તો એમ કહી શકાય કે વ્યાપાર ધંધા માટે એ અંકુશિત અર્થકારણ નો  માર્ગ છોડી તેને મુક્તિના માર્ગ ઉપર પ્રગતિ કરવાનો પ્રયત્ન.
  • 1991ના જુલાઈ માસ સુધી ધંધાકીય અથવ્યવસ્થા ઉપર વિવિધ પ્રકારના બંધનો અથવા પ્રતિબંધો મુક્યાં હતાં.
  • ઉદારીકરણની નવી વ્યવસ્થાના ભાગરૂપે ભારત સરકારે આ અંકુશને ક્રમશઃ  હળવા બનાવવાની શરૂઆત કરી. કેટલાંક ક્ષેત્રોમાં અંકુશને સંપૂર્ણપણે અથવા મહદઅંશે નાબુદ કરવામાં આવ્યા.

 

ઉદારીકરણની  અસરો :

(1) ભારતીય ઉદ્યોગોમાં પરદેશના મૂડીરોકાણ ઉપર પ્રતિબંધ હતો જે હટાવવામાં આવ્યો અને પરદેશી ધંધાર્થીઓ  કે રોકાણકારોએ ભારતીય ઉધોગોમાં રોકાણ કરવું હોય તો તે માટેની મહત્તમ મર્યાદા વધારવામાં આવી છે. પરદેશી ધંધાર્થીઓ અને રોકાણકારોને આકર્ષવા માટે તેમને વિવિધ પ્રકારના આર્થિક અને બિનઆર્થિક પ્રોત્સાહનો અને વિવિધ પ્રકારની આર્થિક છૂટછાટો પણ આપવામાં આવી રહી છે. 

(2) ભારતમાં વધુ વિદેશી રોકાણ શેરબજાર ક્ષેત્રે આવી શકે તે માટે શેરબજારોની શેર ખરીદ વેચાણની પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શી બનાવવા વિવિધ પ્રકારનાં પગલાં લેવાયા. શેરના ભૌતિક સ્વરૂપને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં એટલે કે ડીમેટ સ્વરૂપમાં ફેરવી શકાય છે. 

(3) સરકારે કરમાળખાને વધુ સરળ તથા પારદર્શી બનાવવા માટે પગલાં લેવાનાં શરૂ કર્યા, તાજેતરમાં ભારત સરકારે માલ અને સેવાવેરા (Goods and Service Tax-GST) લાગુ કરવાની પ્રક્રિયા કરી છે જે કરમાળખાને પારદર્શક બનાવવાની દિશામાં અત્યંત મહત્વનું પગલું છે.

(4) ભારતમાં ચલણ-રૂપિયાને નવી સંજ્ઞા     આપવામાં આવી. ભારતીય રૂપિયાની કેટલીક શરતોને આધીન મુક્ત કરવામાં આવ્યો છે.

(5) ભારતમાંથી પરવાના રાજની લગભગ નાબૂદી  કરવામાં આવી છે. ઉદારીકરણ પહેલા લગભગ મોટા ભાગના ઉદ્યોગો પરવાના આધારિત હતા અને હવે  ઉદારીકરણના ભાગરૂપે વર્તમાનમા આ પ્રમાણ નહીંવત્ છે.

(6) ભારતમાંથી નિકાસો વધે તે  માટે સંકલિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારતીય ઉદ્યોગોને નિકાસ માટે હાલમાં વિવિધ પ્રોત્સાહનો પૂરા પાડવામાં આવી રહ્યા છે. આયાત જકાતોના દરમાં પણ ઘટાડો થયો છે.

(7) વિદેશી હૂંડિયામણની પરિસ્થિતિ ભારત માટે સુધરતાં હાલમાં વિદેશ વિનિમય સંચાલન ધારો (Foreign Exchange Management Act-FEMA) અસ્તિત્વમાં છે અને જુનો કાયદો-વિદેશી વિનિમય નિયંત્રણ ધારો (Foreign Exchange  Regulation Act-FERA) ને રદ કરવામાં આવ્યો છે.

8) ઇજારાશાહી  પ્રતિબંધક વ્યાપાર ધારાની ઘણી બધી કલમોમાં ફેરફાર  કરી ઘણા બધા પ્રતિબંધો હળવા કરાયા છે કે નાબૂદ કરાયા છે. 

(9) રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ભારતમાં બેન્કોને  થાપણો પર અને ધિરાણ પરનો વ્યાજનો દર નક્કી કરવા માટે કેટલી શરતોને આધીન હાલમાં સ્વતંત્રતા આપી છે કે જે અગાઉ મળતી ન હતી.

(10) વસ્તુઓ અને સેવાની આયાત હવે વધુ સરળ બની છે અને તેની ચુકવણી વિદેશી હુંડીયામણમાં કરવી પણ સરળ બની છે. 

ઉપરોક્ત બાબતો એવું સાબિત કરે છે કે ભારતીય અર્થતંત્ર અંકુશોની હારમાળામાંથી ઉદારીકરણનાં સોપાનો તરફ ખૂબ  ઝડપથી આગળ વધી રહેલ છે.

ઉદારીકરણના ભાગરૂપે ભારતમાં કયા પગલાં ભરવામાં આવ્યા?(અતિ સરળ અને ટૂંકમાં)

  • ભારતીય ઉદ્યોગોમાં પરદેશના મૂડીરોકાણ પર પ્રતિબંધ દૂર કરવામાં આવ્યો
  •  વિદેશી રોકાણકારો માટે શેરબજારમાં ખરીદ વેચાણ પ્રક્રિયા પારદર્શી બનાવાઈ.
  • સરકારી કરમાળખાને સરળ બનાવવા પગલાં લીધા.
  • વેચાણવેરો આબકારી જકાતને સરળ બનાવાયા.
  •  કર માળખાના નિયંત્રણો હળવા થયા. 
  • હાલમાં જીએસટી લાગુ પાડવામાં આવેલ છે.
  • ભારતીય રૂપિયાની નવી સંજ્ઞા “” આપવામાં આવી 
  • ભારતમાંથી પરવાના પદ્ધતિ નાબૂદ થઈ આયાત જકાતના દરમાં ઘટાડો કરવામાં આવ્યો
  • FERA ને  રદ કરી FEMA  અસ્તિત્વમાં આવ્યો.
  • ઇજારાશાહી પ્રતિબંધક વ્યાપાર ધારાને હળવો બનાવવામાં આવ્યો 
  • રિઝર્વ બેંકે ભારતમાં બેન્કોની થાપણો અને ધિરાણ ઉપરના વ્યાજદર નક્કી કરવા હાલમાં થોડી સ્વતંત્રતા આપી છે.
  • વિદેશી હૂંડિયામણ દ્વારા ચુકવણી કરવાનું હવે સરળ બન્યું છે.

ખાનગીકરણની  અસરો અને  ઉદભવ

 અર્થ (Meaning) : ખાનગીકરણ એટલે જાહેર સાહસોની માલિકી અને સંચાલન ઉપરનો અંકુશ ખાનગી ક્ષેત્રના  એકમો અથવા કંપનીએ આપવો એટલે કે જાહેર સાહસોનું સંચાલન અને માલિકી ખાનગી એકમોને સોંપવાની પ્રક્રિયા.

ખ્યાલ : 

  • આઝાદી પછી અર્થતંત્રના કેટલાક હેતુઓને  સિધ્ધ કરવા જાહેર ક્ષેત્ર બહુ મહત્વનો ભાગ  ભજવશે તેવું અપેક્ષિત હતું.
  •  આઝાદી પછી ના શરૂઆતના સમયમાં ખાનગી ક્ષેત્ર જ્યાં આગળ અપેક્ષિત વળતર ના મળે ત્યાં મૂડી રોકાણ કરવા તૈયાર ન હતું.
  • સરકારે જાહેર ક્ષેત્રના વિકાસ દ્વારા માળખાગત સુવિધાઓનું સર્જન કરવાનું શરૂ કર્યું અને  અર્થતંત્રમાં જરૂરી માલસામાન અને સેવાઓનું ઉત્પાદન જાહેર ક્ષેત્ર દ્વારા શરૂ થયું. પંચવર્ષીય યોજનાઓમા પણ જાહેર ક્ષેત્રને ખુબ મહત્વ આપવામાં આવ્યું હતું.
  •  1991 પછીનાં વર્ષોમાં આર્થિક નીતિના ભાગરૂપે ખાનગીકરણ પણ સ્વીકાર્યું જેના કારણે જાહેર ક્ષેત્રની ભૂમિકામાં ફેરફાર થયો.
  • સતત નુકશાન  કરતા જાહેર ક્ષેત્રમાં માળખાગત ફે૨ફારો શરૂ થયા અને કેટલાંક જાહેર ક્ષેત્ર બંધ કરાયાં. ઘણાં બધાં જાહેર ક્ષેત્રની ઇક્વિટી મૂડીમાં જાહેર જનતાને ભાગ અપાયો છે.ખાનગી ઉઘોગોને તે વેચવામાં આવ્યા જેને ખાનગીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે.
  • જાહેર ક્ષેત્રનાં એકમો પોતાની મૂડીનો કેટલાક ભાગ જાહેર જનતાને  ખરીદવા માટેની ઓફર કરે તેને વિમૂડીકરણ કે મૂડી વિનિવેશ (Disinvestment) કહે છે.ભારત સરકારે આ માટે ખાસ અલગ મંત્રાલય શરૂ કર્યું છે.
  • સરકારે પોતાનું  વધુ ધ્યાન શિક્ષણ અને માળખાગત સુવિધાઓ ઊભી કરવા તરફ આપવાનું શરૂ કર્યું.
  • જાહેર ક્ષેત્રો દ્વારા  સતત વધતી બિન કાર્યક્ષમતાને કારણે અંદાજીત લક્ષ્ય પૂરા થતા ન હતા તે પણ એક અતિ મહત્ત્વનું કારણ હતું.

જાહેર ક્ષેત્રની બિનકાર્યક્ષમતાના ઘણાં કારણો હતાં જેવાં કે (1) અમલદારશાહી (2) જુની ટેકનોલોજી(૩) લાંચ રૂશ્વતનું વધતું પ્રમાણ (4) જવાબદારીનો અભાવ (3) કર્મચારી યુનિયનોનો સતત વધતો જતો પ્રભાવ(6) રાજકીય દખલગીરી વગેરે.

ખાનગીકરણ નો ઉદ્ભવ: (અતિ સરળ અને ટૂંકમાં)

  • સતત ખોટ કરતા જાહેર ક્ષેત્રને બંધ કરવામાં આવ્યા.
  •  જાહેર ક્ષેત્રની ઇક્વિટી મૂડીમાં જાહેર જનતાને ભાગ
  • ખાનગી ઉદ્યોગોને વેચી ખાનગીકરણ કરાયું
  • જાહેર ક્ષેત્રના એકમો પોતાનો મૂડીભાગ જાહેર જનતાને ખરીદવા ઓફર કરે તેને વિમૂડીકરણ કે મૂડી વિનિવેશ કહેવાય.
  • ભારત સરકારે આ માટે ખાસ અલગ મંત્રાલય શરૂ કર્યું
  •  સરકારે વધુ ધ્યાન શિક્ષણ અને માળખાગત સગવડો ઊભી કરવામાં આપ્યું.
  •  જાહેર ક્ષેત્ર બિનકાર્યક્ષમ હોવાથી લક્ષ્ય સિદ્ધ ન થતા.
  • દાખલા તરીકે અમલદારશાહી, જૂની ટેકનોલોજી, લાંચરૂશ્વત રાજકીય દખલગીરી ને લીધે આ બિનકાર્યક્ષમ હતુ.

 આ બધા કારણોને લીધે ખાનગીકરણ નો ઉદ્ભવ થયો.


ખાનગીકરણની હકારાત્મક અસરો:-

 (1) કાર્યક્ષમતામાં વધારો (2) રાજકીય દબલગીરીનો અભાવ (3) ગુણવત્તાયુક્ત વસ્તુ કે સેવા (4) વ્યવસ્થિત માર્કેટિંગ (5) અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ (6) જવાબદારીના ધોરણોની  સ્થાપના અને તેનો અમલ(7) હરીફાઈના વાતાવરણનું સર્જન (8) નવી શોધખોળનો લાભ (9) સર્જનાત્મકતા અને નવીનતા લાભ (10) ઉત્પાદનના સાધનોનો મહત્તમ ઉપયોગ (11) માળખાગત સુવિધાઓનું સર્જન વગેરે. 

ખાનગીકરણના લાભો 

લાભો: કાર્યક્ષમતામાં રાજકીય ગુણવત્તા વ્યવસ્થિત રાખી અત્યાધુનિક જવાબદારીના હરીફાઇના વાતાવરણનું નવી શોધ સર્જનાત્મકતા અને ઉત્પાદનના સાધનો દ્વારા માળખાગત સુવિધાનું સર્જન ખાનગી ના લાભો છે.

Short: કાર્ય રાજ ગુણ વ્યવહાર અત્યા જવાબ હરી નવી સર્જનાત્મકતા ઉત્પાદન માળખા ખાગી ના લાભો.

ખાનગીકરણની નકારાત્મક અસરો : 

(1) કર્મચારીનું શોષણ (2) ઉચ્ચ સંચાલકો દ્વારા સત્તાનો દુરઉપયોગ (3) આવક  અને સંપત્તિ અસમાન વહેચણી (4) કર્મચારીઓને નોકરીની સલામતીનો અભાવ (5) નફાને  વધુ પ્રાથમિકતા (6) ગ્રાહકોનું શોષણ વગેરે.

ખાનગીકરણની નકારાત્મક અસરો હોવા  છતાં હાલના સમયમાં ખાનગીકરણને વધુ મહત્વ  સરકાર દ્વારા આપવામાં આવ્યું છે. ઘણા બધાં જાહેર ક્ષેત્રનાં એકમો સરકારે ખાનગી ક્ષેત્રને સોપ્યાં છે.

ઘણા બધા એકમોને હજુ 51% ઇક્વિટી મૂડી સરકાર દ્વારા ધારણ કરાયેલી છે પરંતુ સરકારે જાહેર જનતાને પોતાની પાસે રહેલો શેર પૈકી કેટલાક શેરો વેચ્યા છે અને હજુ પણ શેર વેચવાની નીતિ ચાલું છે.

આમ 1951 થી 1991 નો સમયગાળો જાહેર ક્ષેત્ર માટે ખૂબ મહત્ત્વનો રહયો હતો પરંતુ 1991 પછી તેમનું મહત્વ ખાનગીકરણને કારણે સતત ઘટી રહ્યું છે અને ખાનગી ક્ષેત્ર અર્થતંત્રમાં પોતાનું મહત્ત્વ વધારી ૨હ્યું છે.

ખાનગીકરણના ગેરલાભો: 

KRM નું શોષણ, ઉચ્ચ સંચા દ્વારા સત્તાનો દુરુપયોગઆવ સંપની  અસમાન વહેંચણી, KRM ની નોકરી સલાનો અભાવ, નફાને પ્રાથ અને GR નું શોષણ.

વૈશ્વિકીકરણનુ મહત્વ :- 

અર્થ : જયારે કોઈપણ દેશ વિદેશી કંપનીઓને પોતાના દેશમાં ધંધો કરવાની મંજુરી આપે અને પોતાના દેશની કંપનીઓને વિદેશોમાં ધંધો કરવાની મંજૂરી આપે તો તેને વૈશ્વિકીકરણ કહેવાય.

ખ્યાલ :

  • પહેલાના સમયમાં દરેક દેશ પોતાના ધંધા ઉદ્યોગને વિદેશી હરીફાઈ સામે રક્ષણ આપવાની નીતિ સ્વીકારતો હતો અને માટે વૈશ્વિકીકરણની નીતિ ઓછી સ્વીકાર્ય હતી.
  • શરૂઆતમાં વિકસીત દેશોની કંપનીઓએ બીજા દેશોમાં વેપાર કરવાની શરૂઆત કરી અને પછી વિકસિત દેશોએ બીજા દેશોની કંપનીઓને પણ પોતાના દેશમાં ધંધો કરવાની પરવાનગી આપી. 
  • આથી વૈશ્વિકીકરણની શરૂઆત થઈ અને પછી વિકાસશીલ દેશો પણ આ પ્રક્રિયામાં જોડાયા. વૈશ્વિકીકરણ એ હકીકતમાં દ્રીમાર્ગીય પ્રક્રિયા છે.
  • જે દેશમાં બહુરાષ્ટ્રીય કંપનીઓને ધંધો કરવા મંજુરી મળે છે તે દેશમાં રહેલી કંપનીઓને પણ  વિદેશોમાં ધંધો કરવાની મંજૂરી મળે છે. આમ, દેશના ધંધા – ઉદ્યોગોનું આંતરરાષ્ટ્રીયકરણ થતું જોવા મળે છે.
  • સમગ્ર વિશ્વના ધંધા ઉદ્યોગોનો વિકાસ થાય તે માટે વૈશ્વિક ધોરણે એક વ્યવસ્થા તંત્રની રચના જરૂરી બની અને વિશ્વ વ્યાપાર સંગઠન  (World Trade Organisation-WTO)નું સ્વપ્ન સાકાર થયું.
  • આ સંગઠન સમગ્ર વિશ્વમાં ધંધા ઉદ્યોગોનો વિકાસ થાય તે માટે પ્રયત્નશીલ છે. આ સંગઠન  પોતાના સભ્ય દેશોના વૈશ્વિકીકરણના માર્ગમાં આવતા અવરોધોને દૂર કરવાના પ્રયત્નો કરે છે.
  • ભારત આ સંગઠનમાં સ્થાપના થઈ ત્યારથી જ સભ્ય છે તેથી વૈશ્વિકીકરણની પ્રક્રિયા ભારતમાં થોડી વધુ સરળ બની.
  • વૈશ્વિકીકરણની નીતિ સ્વીકારવાના ભાગરૂપે ભારતે વેપાર અને ટેરીફ અંગેનો સામાન્ય કરાર (General Agreene on Trade and Tariff-GATT)નો પણ સ્વીકાર કર્યો અને વિદેશી પેદાશો કે સેવાઓની દેશની અંદર આયાત કરવાની મંજૂરી કેટલીક શરતોને આધીન રહીને આપી. સેવા ક્ષેત્રના અતિ ઝડપી વિકાસ માટે વૈશ્વિકીકરણ જવાબદાર બન્યું છે.
  • બેન્કિંગ, વીમો, પરિવહન, સંદેશાવયવહાર ક્ષેત્રે દેશની રાજકીય સરહદની મર્યાદા દૂર થાય છે અને કંપનીઓ આવી સેવાઓ વિશ્વના મોટા ભાગના દેશો સુધી પહોંચાડી શકે છે. એટલે કે સમગ્ર વિશ્વ એક ગામડું (Global Village) બનેલ  છે.
  • વિશ્વનું ગ્રાહકબજાર વિકાસ પામતું જાય છે અને હવે ભારત પણ આ વ્યવસ્થાનો મહત્વનો ભાગ બનતું જાય છે.

વૈશ્વિકીકરણ નું મહત્વ (અતિ સરળ અને ટૂંકમાં)

  • કોઈ દેશ વિદેશી કંપનીઓને પોતાના દેશમાં ધંધો કરવાની મંજૂરી આપે પોતાના દેશની કંપનીને વિદેશમાં ધંધો કરવાની મંજૂરી આપે તેને વૈશ્વિકીકરણ કહેવાય 
  • સમગ્ર વિશ્વના બધા ઉદ્યોગો ના વિકાસ માટે WTO ની સ્થાપના થઈ
  •  આ સંગઠન સમગ્ર વિશ્વના ધંધા ઉદ્યોગના વિકાસ માટે સતત પ્રયત્નશીલ
  •  વૈશ્વિકીકરણના માર્ગમાં આવતા અવરોધો દૂર કરે છે 
  • ભારત સ્થાપના થઇ ત્યારથી જ સભ્ય છે
  •  ભારતે GATT નો સ્વીકાર કર્યો છે 
  • સેવા ક્ષેત્રના ઝડપી વિકાસ માટે વૈશ્વિકીકરણ જવાબદાર છે 
  • વૈશ્વિકીકરણ ને લીધે સમગ્ર વિશ્વ ગામડું બન્યું છે.

 વૈશ્વિકીકરણની હકારાત્મક અસરો: 

(1) મોટા પાયા પર ઉત્પાદન શક્ય બને છે. (2) હરીફાઈમાં વધારો થવાથી ગ્રાહકોના હક્નું રક્ષણ થાય છે. (3) ગ્રાહકોને નવતર અને પરવડી શકે તેવી ટેક્નોલોજી પ્રાપ્ત થાય છે. (4) ગુણવત્તાવાળી વસ્તુઓ કે સેવાઓની કિંમતમાં ઘટાડો થતાં વધુ ગ્રાહકો તેનો ઉપયોગ કરી શકે છે, (5) રોજગારીની તકોનું સર્જન થાય છે. (6) દેશમાં માળખાગત સુવિધાઓનું સર્જન ઝડપી બને છે, (7) શિક્ષણનું મહત્ત્વ વધતાં દેશમાં શિક્ષણનું પ્રમાણ વધે છે. (8) નવા ઉદ્યોગોની સ્થાપના સરળ બને છે. (9) સમગ્ર વિશ્વ એક ગામડું બનતું જાય છે. (10) સરકારી અમલદારશાહી અને તુમારશાહીમાંથી મુક્તિ મળે છે,

વૈશ્વિકીકરણની નકારાત્મક અસરો : 

 (1) બજાર વ્યવસ્થાપનનુ કાર્ય મુશ્કેલ બને છે અને ખર્ચમાં વધારો થાય  છે. (2) મોજશોખની વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન અને વેચાણ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને સેવાઓના ભોગે વધતું જાય છે. (3) લોકોની માનસિકતામાં ધીમો સુધારો નવા પ્રશ્નો સર્જે છે. (4) એક દેશ કે ઉપખંડ કે ખંડની  આર્થિક સ્થિતિની અસર અન્ય દેશો ઉપર ઝડપથી થાય છે. (5) આવક અને સંપત્તિની અસમાનતામાં વધારો થતો જોવા મળે છે. (6) સતત હરીફાઈને કારણે ઘણી વખત નીતિમત્તા ભોગ લેવાય છે. (7) મોટું કદ ધરાવતા એકમોને વધુ  લાભ મળતો જાય છે અને નાના કદના એકમો અસ્તિત્વનો સંઘર્ષ કરે છે. (8) શિક્ષણનો વ્યાપ વિકાસના વ્યાપના પ્રમાણમાં ધીમો રહે તો કર્મચારીઓ સ્પર્ધાત્મક રીતે નબળા પુરવાર થાય છે. (9) બહુરાષ્ટ્રીય કંપનીઓ પોતે જે દેશમાંથી  શરૂ થઈ હોય તે દેશ પ્રત્યે સામાન્ય રીતે વધુ વફાદાર રહેતી જોવામાં આવે છે. (10) વૈશ્વિક સામ્રાજ્ય ધરાવતી કંપનીઓ જે તે દેશની આર્થિક નીતિ પોતાની કંપનીને વધુ અનુકૂળ થાય તે રીતે તે દેશના રાજકીય પક્ષો સાથે ગોઠવણ કરતી હોય છે.

ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ નો તફાવત

 

ઉદારીકરણ: વેપાર પરથી બિનજરૂરી અંકુશ અને નિયંત્રણો દૂર કરવા કે ઘટાડવા 

વૈશ્વિકીકરણ: જ્યારે કોઈ દેશ પોતાની સીમા અને વેપાર-ધંધા માટે મુક્ત કરે તો વૈશ્વિકીકરણ કહેવાય

ઉદારીકરણ :ઉદારીકરણ નો ઉદ્દેશ્ય ઉદ્યોગો માટે વૃદ્ધિ વિકાસ નું વાતાવરણ સર્જવાનો

વૈશ્વિકીકરણ: વૈશ્વિકીકરણ નો ઉદ્દેશ્ય વિશ્વ સાથે સારા સંબંધો જાળવી રાખવાનો.

ઉદારીકરણ:દેશના ઉધોગપતિ અને નાગરિકોને મૂડી રોકાણ કરવાનું પ્રોત્સાહન મળે.

વૈશ્વિકીકરણ: દેશના ઉધોગપતિ અને નાગરિકો ઉપરાંત વિદેશી રોકાણકારોને પણ પ્રોત્સાહન મળે.

ઉદારીકરણ:ઉદ્યોગ ધંધાની આવકમાં થતો વધારાનો લાભ દેશના નાગરિકોને મળે.

વૈશ્વિકીકરણ:ઉદ્યોગ ધંધાની આવકમાં થતો વધારાનો લાભ વિદેશના નાગરિકોને મળે 

ઉદારીકરણ:પેદાશની વિવિધતામાં મર્યાદિત પ્રમાણમાં વધારો થાય છે

વૈશ્વિકીકરણ:પેદાશની વિવિધતામાં વધુ પ્રમાણમાં વધારો થાય છે.

 પાઠ 1 સંચાલનનું સ્વરૂપ અને મહત્વ

પાઠ-૨ સંચાલન ના સિદ્ધાંતો

પાઠ – 11 ગ્રાહક સુરક્ષા

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here