પાઠ 6 જૈવિક ક્રિયાઓ

0
2052
STD 10 VIGNAN LESSION 6

ખાસ વિનંતી: હવેથી તમે આ ચેપ્ટર ના વિડીયો જોવા માટે  સીધો જ વેબસાઇટનો ઉપયોગ કરી શકો છો.

વિડીયો સાઈટ ઉપર જ જોવા મળશે. www.1clickchangelife.com ઓપન કરો., અને તેમાં પાસવર્ડ માગે ત્યારે

પાસવર્ડ:jayho6

આપશો એટલે પાઠ ખુલી જશે. ક્યાં તમે આ ચેપ્ટર ને લગતા લાઇવ વિડિયો પણ જોઈ શકશો.

                                 પાઠ-6 જૈવિક ક્રિયાઓ

પ્રશ્ન 1 :જૈવિક ક્રિયા એટલે શું? સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયા ટૂંક માં સમજાવો

 

સજીવના રક્ષણનું કાર્ય નિરંતર થવું જોઈએ આ કાર્ય ત્યારે પણ થાય છે જ્યારે કોઈ ચોક્કસ કાર્ય થતું ન હોય, જ્યારે આપણે સૂતા હોઈએ છીએ અથવા વર્ગખંડમાં બેઠા હોઈએ ત્યારે પણ આ  રક્ષણ નું કાર્ય થતું રહે છે તેવી બધી જ ક્રિયાઓ કે જે સામૂહિક રૂપમાં જાળવણીનું કાર્ય કરે છે તેને જૈવિક ક્રિયાઓ કહેવાય છે

 

સજીવો માટે અગત્યની જૈવિક ક્રિયા :

(1) પોષણ : શરીરમાં ઇજા કે તૂટવાની ક્રિયાને રોકવા માટે જાળવણીની  ક્રિયાની આવશ્યકતા હોય છે. જેના માટે ઉર્જાની આવશ્યકતા હોય છે સજીવના શરીરમાં આ ઉર્જા બહારથી આવે છે જેથી ઊર્જાના સ્ત્રોત ને બહારથી સજીવના શરીરમાં સ્થળાંતર કરવા માટે કોઈ ક્રિયા થવી જોઈએ. આ ઉર્જાના સ્ત્રોત ને આપણે ખોરાક કે આહાર કહીએ છીએ તે શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહેવાય.

 

(2) શ્વસન : શરીરની વૃદ્ધિ માટે ઉપયોગી આવશ્યક અણુઓનું નિર્માણ થવું જરૂરી છે તેના માટે શરીરની અંદર રાસાયણિક ક્રિયાઓની એક શૃંખલાની જરૂરિયાત હોય છે.શરીરની બહાર થી ઓક્સિજનને ગ્રહણ કરી અને કોષોની આવશ્યકતા કે જરૂરિયાતને અનુલક્ષીને ખાદ્ય સ્ત્રોતનો ઉપયોગ કરવાની ક્રિયાને શ્વસન કહેવાય.

 

(3) વહન :ખોરાક તેમજ ઓક્સિજનનું અંતઃગ્રહણ કેટલાક ચોક્કસ અંગો દ્વારા થાય છે. પરંતુ તેની જરૂરિયાત શરીરના બધા ભાગોને હોય છે. આ ખોરાક તેમજ ઓક્સિજનને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જવા માટે વહનતંત્રની આવશ્યકતા હોય છે

 

(4) ઉત્સર્જન : જ્યારે રાસાયણિક પ્રક્રિયાઓમાં કાર્બન સ્ત્રોત અને ઓક્સિજનનો ઉપયોગ ઉર્જા પ્રાપ્તિ માટે થાય છે ત્યારે એવી નીપજો કે ઉત્પાદકો પણ બને છે જે શરીરના કોષો માટે માત્ર બિનઉપયોગી જ નહીં પણ તે હાનિકારક પણ હોઈ શકે છે આ નકામા ઉત્પાદનો કે નીપજોને શરીરમાંથી બહાર કાઢવા અતિ આવશ્યક હોય છે. આ ક્રિયાને ઉત્સર્જન કહેવાય છે .

 

પ્રશ્ન 2 : શા માટે આપણા જેવા બહુોષીય સજીવોમાં ઑક્સીજનની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રસરણ અપૂરતી ક્રિયા છે?

ઉત્તર : બહુકોષીય સજીવોમાં બધા કોષો પોતાની આસપાસના પર્યાવરણની સાથે સીધા સંપર્કમાં હોતા નથી આથી બધા કોષોની જરૂરિયાતની પૂર્તિ સામાન્ય પ્રસરણ દ્વારા થતી નથી. આપણી શરીર રચના વધુ જટિલ તેમજ શરીરનું  કદ મોટું છે. આથી સાદા પ્રસરણ દ્વારા બધા કોષોને જરૂરિયાત નો ઓક્સિજન મોકલી શકાય નહીં. એક ગણતરી મુજબ આપણા ફેફસાં માંથી ઓક્સિજનના એક અણુને પગના અંગૂઠા

સુધી પ્રસરણ દ્વારા પહોંચાડવા માટે આશરે 3 વર્ષ જેટલો સમય લાગી શકે છે.આથી આપણા જેવા બહુકોષીય સજીવોમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રસરણ અપૂરતી ક્રિયા છે.

 

પ્રશ્ન 3 : કોઈ વસ્તુ જીવંત છે, તે નક્કી કરવા માટે આપણે ક્યા માપદંડ નો ઉપયોગ કરીશું?

ઉત્તર : સામાન્ય રીતે કોઈ વસ્તુ જીવંત  છે તે નક્કી કરવા માટે હલનચલન, વૃદ્ધિ, શ્વાસોચ્છવાસ, કોષ ની જીવંતતા વગેરે માપદંડ નો આપણે ઉપયોગ કરીશું.

 

પ્રશ્ન 4 : કોઈ સજીવ દ્વારા કઈ બાહ્ય કાચી સામગ્રી નો ઉપયોગ કરવામાં આવે છે ?

ઉત્તર :

બાહ્ય કાચી સામગ્રી નો ઉપયોગ

 

  1. કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ વનસ્પતિ દ્વારા પ્રકાશ – સંશ્લેષણની ક્રિયામાં.
  1. કાર્બન આધારિત ખાદ્ય સ્રોત, તેમજ ઓક્સિજનનો ઉપયોગ જારક સજીવો દ્વારા શ્વસન માં.

 

પ્રશ્ન 5 : .જીવન ટકાવી રાખવા માટે તમે કઈ ક્રિયાઓને જરૂરી ગણશો? 

ઉત્તર : જીવન ટકાવી રાખવા માટે જરૂરી ક્રિયાઓ : પોષણ, શ્વસન, વહન, ઉત્સર્જન, વૃદ્ધિ, અણુઓની ગતિ વગેરે.

 

પોષણ:

સ્વયં પોષી પોષણ: 

  • સ્વયંપોષી સજીવની કાર્બન અને ઊર્જાની જરૂરિયાતો પ્રકાશસંશ્લેષણ દ્વારા પૂરી થાય છે.
  • આ પદાર્થો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીના સ્વરૂપમાં લેવાય છે.
  • જે સૂર્ય પ્રકાશ અને ક્લોરોફિલ ની હાજરી માં કાર્બોદિતોમાં  પરિવર્તિત કરી નાખે છે.
  • વનસ્પતિઓને ઉર્જા આપવા માટે કાર્બોદિત વપરાય છે.
  • વનસ્પતિઓને પણ પોતાના શરીર ના નિર્માણ માટે અન્ય કાચી સામગ્રી ની જરૂરિયાત હોય છે.
  • સ્થળજ વનસ્પતિઓ પ્રકાશસંશ્લેષણ માટે જરૂરી પાણીની પ્રાપ્યતા ભૂમિમાં રહેલા મૂળ દ્વારા ભૂમિમાંથી પાણીનું શોષણ કરીને મેળવે છે.
  • નાઇટ્રોજન, ફોસ્ફરસ ,આયર્ન અને મેગ્નેશિયમ જેવા અન્ય દ્રવ્યો કે પદાર્થો પણ ભૂમિ કે જમીન માંથી મેળવે છે.
  • નાઇટ્રોજન એક આવશ્યક ખનીજ તત્વ છે જેનો ઉપયોગ પ્રોટીન અને અન્ય સંયોજનોના સંશ્લેષણ માં થાય છે.



પ્રશ્ન 6 : વિષમ પોષી પોષણ વિશે સંક્ષિપ્ત સમજૂતી લો અથવા ટૂંક નોંધ લખો : વિષમપોષી પ્રકાર નું પોષણ

 

ઉત્તર : પ્રત્યેક સજીવ પોતાના પર્યાવરણ સાથે અનુકૂલિત હોય છે ખોરાક કે આહાર ના સ્વરૂપને આધારે તેમજ પ્રાપ્યતા ના આધારે પોષણની રીતે વિવિધ પ્રકારની હોઈ શકે છે.

   

 આહાર(ખોરાક)ના સ્વરૂપ, તેની પ્રાપ્યતા તેમજ ખોરાક ગહણ કરવાની રીત આધારે વિષમપોષી પોષણ વિવિધ પ્રકારના હોય શકે .

 

(1) ખોરાકનો સ્રોત અચળ કે સ્થિર હોય છે. જેમ કે, ઘાસ. ઘાસ ઉપયોગ ગાય કરે છે.

(2) ખોરાક નો સ્રોત ગતિશીલ પણ હોય છે, જેમ કે, હરણ. તેનો ખોરાક તરીકે ઉપયોગ  વાઘ અને સિંહ કરે છે.

 

સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને તેનો ઉપયોગ કરવાની વિવિધ પ્રયુક્તિઓ :

(1) કેટલા સજીવ પોષક પદાર્થો નું શરીરની બહાર વિઘટન કરે છે અને ત્યારબાદ તેનું શોષણ કરે છે. દા. ત., તંતુમય ફૂગ (Bread moulds), યીસ્ટ અને મશરૂમ જેવી ફૂગ તેમના ઉદાહરણો છે.

 

(2) કેટલાક સજીવો જટિલ ખોરાક અંતઃગ્રહણ કરી, તેનું પાચન પોતાના શરીરની અંદર કરે છે.

 

ખોરાક અંતઃગ્રહણ તેમજ તેનું પાચન કરવાની રીત સજીવના શરીરની સંરચના અને કાર્યપદ્ધતિ પર આધારિત છે.

 

(i) તૃણાહારી પ્રાણીઓ ફક્ત વનસ્પતિઓનો આહાર તરીકે ઉપયોગ કરે છે. દા. ત., ગાય, સસલું

 

(ii) માંસાહારી ફક્ત પ્રાણીઓનો આહાર તરીકે ઉપયોગ કરે છે. દા. ત., વાઘ, સિંહ

(iii) મિશ્રાહારી વનસ્પતિ અને તેના ઉત્પાદન તેમજ અન્ય પ્રાણીઓ અને તેમનાં ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. દા. ત., 

મનુષ્ય.

 

(3) કેટલાક સજીવો વનસ્પતિ અને પ્રાણીઓને મારી નાખ્યા વગર તેમના માંથી પોષણ પ્રાપ્ત કરે છે.તેને  પરોપજીવી પોષણ કહે છે 

જે ઘણા સજીવો દ્વારા દર્શાવાય છે. દા. ત., અમરવેલ, ઉધઈ, જળો, પટ્ટીકૃમિ.

 

પ્રશ્ન 7 : પાચનનળી કે પાચન ગુહા એટલે શું?

ઉત્તર : મુખ થી મળ દ્વાર સુધી લંબાયેલ લાંબી નળી ને પાચનનળી કે પાચન ગુહા કહે છે.

 

પ્રશ્ન 8 : આપણા શરીરમાં પ્રવેશતા ખોરાક નું શું થાય છે? મનુષ્યમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે ?

ઉત્તર :

  •  આપણે વિવિધ પ્રકારનો ખોરાક ખાઈએ છીએ.જેને આ એક જ પાચનમાર્ગ માંથી પસાર થવાનું હોય છે.
  • જેથી તેઓ નું નાના-નાના સમાન ભાત વાળા કણોમાં રૂપાંતર થાય છે.
  • આપણા દાંતો વડે ખોરાકને ચાવીને આ ક્રિયા કરવામાં આવે છે.
  • પાચન માર્ગનું અસ્તર ખૂબ જ નાજુક હોય છે જેથી ખોરાકને ભીનો કરવામાં આવે છે જેથી તેમનો માર્ગ સરળ બને.
  •  મુખમાં દાંત વડે ખોરાક ચવાતા તેનું નાના ટુકડામાં રૂપાંતર થાય છે.
  • લાળ ગ્રંથિ માં થી સવતા લાળરસ વડે ખોરાક પોચો અને ભીનો બને છે. 
  •  લાળ રસમાં પણ એક ઉત્સેચક હોય છે જેને લાળ રસીય  એમાયલેઝ કહે છે.
  • ખોરાક ચાવવા ની ક્રિયા દરમિયાન માંસલ જીભ ખોરાકને લાળરસ સાથે સંપૂર્ણ રીતે ભેળવી દે છે.
  • પાચનમાર્ગના દરેક ભાગમાં ખોરાક ની  નિયમિત રીતે ગતિ થાય તે જરૂરી છે.આ લયબદ્ધ સંકોચન ગતિ સંપૂર્ણ પાચનમાર્ગના અસ્તર માં સર્જાય છે.
  • આ હલનચલનથી ખોરાક નિયંત્રિત રીતે પાચનનળી માં પસાર થાય છે, તેથી દરેક ભાગમા તેના પર યોગ્ય ક્રિયા થઈ શકે છે. મુખ થી જઠર સુધી ખોરાક અન્નનળી મારફતે જાય છે.

મનુષ્યના પાચનતંત્ર નો વિડિયો ખાસ જુઓ

https://youtu.be/dYYHaPkKqIA

  • જઠરમા પાચન :જઠર એક મોટું અંગ છે જે ખોરાકના આવતાની સાથે વિસ્તરણ પામે છે. જઠરની સ્નાયુની દીવાલ ખોરાકને અન્ય પાચક રસોની સાથે મિશ્ર કરવામાં મદદરૂપ થાય છે.
  •  જઠર ગ્રંથિઓ હાઇડ્રોક્લોરિક એસિડ, એક પ્રોટીન પાચક ઉત્સેચક pepsin અને શ્લેશ મનો સ્ત્રાવ કરે છે.
  • હાઇડ્રોક્લોરિક એસિડ એસિડિક માધ્યમ તૈયાર કરે છે જે પેપ્સીન ઉત્સેચક ની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે.
  • સામાન્ય પરિસ્થિતિઓમાં શ્લેશમને લીધે જઠરના આંતરિક અસ્તરને એસિડ ની સામે રક્ષણ મળે છે.
  • જઠરમાંથી ખોરાક હવે થોડા થોડા જથ્થામાં નાના આંતરડામાં પ્રવેશે છે જે મુદ્રિકા સ્નાયુપેશી દ્વારા નિયંત્રિત થાય છે.


મનુષ્યના પાચનતંત્ર નો વિડિયો

https://youtu.be/CiTgITL8wDA

નાના આંતરડા માં પાચન : નાનું આંતરડું પાચનમાર્ગ નું સૌથી લાંબામાં લાંબુ અને ખૂબ જ ગૂંચળા મય અંગ છે. તે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી ના પૂર્ણ પાચન માટેનું અંગ છે.

 

જઠર માં થી એસિડિક ખોરાક નાના આંતરડામાં પ્રવેશે છે. નાનું આંતરડું યકૃત માંથી પિત્ત રસ અને સ્વાદુપિંડ માંથી સ્વાદુરસ મેળવે છે.

(1) પિત્ત રસ નું કાર્ય : જઠર માંથી આવતો  એસિડિક ખોરાક ને સ્વાદુપિંડના ઉત્સેચકો ની ક્રિયા માટે  પિત્ત તેઓને આલ્કલી બનાવે છે. 

  • તેથી સ્વાદુરસના ઉત્સેચકો કાર્ય કરી શકે છે. પિત્તક્ષારો ચરબી ના મોટા ગોલકોને વિખંડિત કરી નાના ગોલકોમાં રૂપાંતરિત કરે છે. તેને તૈલોદીકરણ કહે છે. આ ક્રિયાથી ઉન્સેચકોની ક્રિયાશીલતામાં વધારો થાય છે.

 

(2) સ્વાદુરસનું કાર્ય : સ્વાદુપિંડ સ્વાદુરસનો સાવ કરે છે. 

સ્વાદુરસમાં પ્રોટીન ના પાચન માટે ટ્રિપ્સિન, કાર્બોદિતના  પાચન માટે સ્વાદુરસનો એમાયલેઝ અને તેલોદીકૃત ચરબીનુ પાચન માટે લાયપેઝ જેવા ઉન્સેચકો હોય છે.

(3) આંત્રરસનું કાર્ય : નાના આંતરડાની દીવાલમાં આવેલી આંત્રીય ગ્રંથિઓ આંત્રરસનો સ્ત્રાવ કરે છે.

તેમાં  આવેલા ઉત્સેચક પ્રોટીનનું એમિનો એસિડ માં, જટિલ કાર્બોદિતનું  ગ્લુકોઝમાં અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલ માં રૂપાંતર / પાચન કરે છે.

  • પાચિત ખોરાકનું  આંત્રમાર્ગની દિવાલ અભિશોષણ કરી લે છે.
  • નાના આંતરડાના અસ્તર માં અસંખ્ય આંગળી જેવા પ્રવર્ધો હોય છે જેને રસાંકુરો કહે છે.
  • જે ખોરાકનું અભિશોષણ કરીને શરીરના પ્રત્યેક કોષો સુધી ખોરાકને પહોંચાડે છે.
  • અહીં તેમનો ઉપયોગ ઉર્જા પ્રાપ્ત કરવા માટે તેમજ નવી પેશીઓ ના નિર્માણ માટે અને જૂની પેશીઓના સમારકામ માટે થાય છે.
  • હવે પચ્યા વગરનો કે અપાચિત ખોરાક મોટા આંતરડામાં મોકલવામાં આવે છે.
  •  જ્યાં વધુ માત્રામાં આવેલા રસાંકુરો અપાચિત ખોરાકમાંથી પાણી નું શોષણ કરે છે અને બાકીના પદાર્થ ગુદા દ્વારા શરીરની બહાર ત્યાગ કરવામાં આવે છે.
  •  આ ઉત્સર્ગદ્રવ્યોને બહાર ફેંકવાની કે ત્યાગ કરવાનું નિયંત્રણ મળદ્વારના મુદ્રિકા સ્નાયુઓ દ્વારા નિયંત્રિત થાય છે.

પ્રશ્ન 9 : સ્વયંપોષી પોષણ અને વિષમ પોષી પોષણ  વચ્ચે શું તફાવત છે ?

ઉત્તર : 

સ્વયંપોષી પોષણ  વિષમ પોષી પોષણ
1. તે લીલી વનસ્પતિ અને કેટલાક જીવાણુ માં જોવા મળે છે.  1.  તે પ્રાણીઓમાં અને ફૂગમાં જોવા મળે છે.
2. આ પ્રકારના પોષણમાં અકાર્બનિક દ્રવ્ય CO2 અને  
H2O નો ઉપયોગ કરી ખોરાકનું થાય છે.
સંશ્લેષણ થાય છે.
2. આ પ્રકારના પોષણમાં સજીવોમાંથી ખોરાક નો ઉપયોગ થાય છે.
3. આ પોષણ માટે પ્રકાશ સંશ્લેષણ અગત્ય ની પ્રક્રિયા છે. 3. આ પોષણ માટે ખોરાક ની પાચનક્રિયા અગત્યની છે.

પ્રશ્ન 10 : પ્રકાશસંશ્લેષણ માટે આવશ્યક કાચી સામગ્રી વનસ્પતિ ક્યાંથી પ્રાપ્ત કરે છે ?

ઉત્તર : પ્રકાશસંશ્લેષણ માટે આવશ્યક કાચી સામગ્રી :

( 1 ) CO2 : વનસ્પતિ તે વાતાવરણ માંથી પ્રાપ્ત કરે છે.

( 2 ) H20 : વનસ્પતિના મૂળ ભૂમિ માથી શોષણ કરે છે.

(3) ઊર્જા : વનસ્પતિ સૂર્યમાંથી પ્રાપ્ત કરે છે.

 

પ્રશ્ન 11 :  આપણા જઠરમાં એસિડની ભૂમિકા શું છે ? 

ઉત્તર : 

(1) ખોરાક સાથે જઠરમાં દાખલ થયેલા બૅક્ટેરિયા અને અન્ય સૂક્ષ્મ જીવો નો નાશ કરે છે.

(2) જઠરમાં એસિડિક માધ્યમ જાળવે છે.

(3) પેપ્સીન ઉત્સેચક પ્રક્રિયામાં મદદરૂપ થાય છે.

(4) અદ્રાવ્ય ક્ષારોને ઓગાળે છે.

 

પ્રશ્ન 12 : પાચક ઉત્સેચકો નું કાર્ય શું છે ?

ઉત્તર : પાચક ઉત્સેચકો ખોરાકના  જટિલ ઘટકો નું સાદા, દ્રાવ્ય અને શોષણ થઈ શકે તેવા સ્વરૂપમાં  પાચન કરે છે.

 

પ્રશ્ન 13 : પાચિત ખોરાક કે પદાર્થો ના અભિશોષણ માટે નાના આતરડા(એટલે કે શેષાંત્ર)માં કેવી રચનાઓ આવેલી છે ?

ઉત્તર : નાનું આંતરડું લાંબી નલિકામય રચના છે. તેના અસ્તરમાં આંગળીમય પ્રવ્રધો જેવા રસાંકુરો આવેલો છે. તે અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફ્ળ વધારે છે.

 

પ્રશ્ન 14 : વિવિધ સજીવો માં ખાદ્ય પદાર્થોમાંથી ઊર્જા મુક્ત કરવાની  વિવિધ પદ્ધતિઓ સમજાવો. અથવા ગ્લુકોઝ ના વિઘટન નો વિવિધ પરિપથ સમજાવો.

ઉત્તર : જે ખાદ્ય પદાર્થો નું અંતઃગ્રહણ પોષણ ની ક્રિયા માટે થાય છે કોષો તેઓ નો ઉપયોગ વિવિધ જૈવિક ક્રિયાઓ માટે ઉર્જા પ્રાપ્ત કરવા માટે કરે છે.

(1) કેટલાક સજીવો ગ્લુકોઝના સંપૂર્ણ વિઘટન માટે ઑક્સિજનનો ઉપયોગ કરે છે. તેને જારક શ્વસન કહે છે.

(2) કેટલાક સજીવો ઓક્સિજન નો ઉપયોગ કર્યા વગર ગ્લુકોઝનું અપૂર્ણ વિઘટન કરે છે. તેને અજારક શ્વસન કહે છે.

 

ગ્લુકોઝ  નું વિઘટન : 

  • ઉર્જા મુક્ત કરવાની બધી અવસ્થાઓના પ્રથમ તબક્કામાં ગ્લુકોઝ(છ કાર્બનયુક્ત)ના અણુનું પાયરુવેટ(ત્રણ કાર્બન યુક્ત) અણુમાં વિઘટન થાય છે. 
  • આ ક્રિયા કોષરસ માં થાય છે.
  • હવે, પાયરુવેટ ના ચયાપચય નો આધાર ઓક્સિજન ની હાજરી કે ગેરહાજરી પર રહેલો છે. પાયરુવેટનું ચયાપચય ત્રણ વિવિધ પરિપથ વડે થઈ શકે.

 

પાયરુવેટનું અજારક ચયાપચય:

(1) ઓક્સિજન ની ગેરહાજરીમાં પાયરુવેટનું ઇથેનોલ અને કાર્બન ડાયૉક્સાઈડમાં રૂપાંતર થાય છે. તેને અજારક શ્વસન કહે છે. 

આ ક્રિયા યીસ્ટ માં આથવણ દરમિયાન થાય છે.

 

(2) જ્યારે આપણી સ્નાયુ પેશી માં ઓક્સિજન નો અભાવ કે ઓછું પ્રમાણ હોય ત્યારે પાયરુવેટનું લેક્ટિક એસિડ(ત્રણ કાર્બન યુક્ત)માં રૂપાંતર થાય છે.

 

પાયરુવેટનું જારક ચયાપચય: : ત્રણ કાર્બન ધરાવતા  પાયરુવેટ અણુ નું ઓક્સિજન ની હાજરીમાં ત્રણ અણુ કાર્બન ડાયોક્સાઈડ અને પાણીમાં વિઘટન પામે છે. તેને જારક શ્વસન કહે છે. 

 

ઓક્સિજન નો ઉપયોગ કરી પાયરુ વેટનું વિઘટન કણાભસૂત્રમાં થાય છે.

 અજારક શ્વસન ની તુલનામાં, જા૨ક શ્વસનમાં ખૂબ જ વધારે ઊર્જા મુક્ત થાય છે

 

 કોષિય શ્વસન દ્વારા મુક્ત થતી ઊર્જા ATP ના અણુ ના સંશ્લેષણ માં ઉપયોગમાં લેવામાં આવે છે.

 

પ્રશ્ન 15 : ટૂંકમાં સમજાવો : અજારક શ્વસન

ઉત્તર :

  •  કેટલાક બેક્ટેરિયા, યીસ્ટ અને અન્ય ફૂગ, કેટલાક અંતઃ પરોપજીવીઓ અને કસરત દરમિયાન પ્રાણીઓના સ્નાયુઓમાં ગ્લુકોઝ માંથી ઉર્જા મુક્ત કરવાની ક્રિયા ઓક્સિજન ની ગેરહાજરીમાં થાય છે. 

તેને અજારક શ્વસન કહે છે.

  • સ્નાયુઓ માં ગ્લુકોઝ માંથી ઉર્જા મુક્ત કરવાની 
  • આ ક્રિયા દરમિયાન થીસ્ટમાં ઇથેનોલ અને CO2 મુક્ત થાય છે, 

 

  • જ્યારે પ્રાણીઓના સ્નાયુ કોષોમાં ફક્ત લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. 
  • બંને કિસ્સામાં ગ્લુકોઝના અણુનું અપૂર્ણ ઑક્સિડેશન થાય છે અને ખૂબ જ ઓછી ઊર્જા મુક્ત થાય છે.



ખાસ જાણવા જેવું: જો આપણા શરીરમાં પ્રસરણ દ્વારા ઓક્સિજન વહન પામતો હોય તો આપણા ફેફસાંમાંથી ઑક્સિજનના એક અણુને પગના અંગૂઠા સુધી પહોંચવામાં આશરે ત્રણ વર્ષ જેટલો સમય લાગી શકે છે. આપણને એ બાબતની ખુશી હોવી જોઈએ કે આપણા શરીરમાં હિમોગ્લોબીન છે. જે આ  કાર્ય બખૂબી નિભાવે છે.

 

ખાસ જાણો: તમાકુનો ઉપયોગ મોટાભાગે જીભ, ફેફસાં, હૃદય તથા યકૃતને અસર કરે છે. ગુટખાના સ્વરૂપમાં તમાકુ ચાવવાને લીધે ભારતમાં મુખના કેન્સર ની ઘટનાઓ વધતી જ જાય છે. દુનિયાભરમાં મૃત્યુ માટેના સામાન્ય કારણોમાં એક કારણ ફેફસાનું કેન્સર છે.આ ફેફસાના કેન્સર માટે ધૂમ્રપાન જવાબદાર છે.

પ્રશ્ન 16 : મનુષ્યનું શ્વસન તંત્ર

૧ . નાસિકા માર્ગ: નસકોરા દ્વારા હવા શરીરમાં લેવામાં આવે છે. નસકોરા દ્વારા આવનારી હવા તેના માર્ગમાં આવેલા નાના રોમ જેવા વાળ દ્વારા ગળાય છે. જેથી શરીરમાં આવનારી હવામા આવેલી ધૂળ અને બીજી અશુદ્ધિઓ રહિત હવા બને છે. આ માર્ગમાં શ્લેષ્મ નું સ્તર પણ હોય છે. જે આ પ્રક્રિયામાં મદદરૂપ થાય છે.

૨. ગળામાં આવેલા અંગો: કંઠ નળી,સ્વર યંત્ર અને શ્વાસનળી  હવાના સરળ વહન માટે એક સીધો માર્ગ બનાવે છે.

ગ્રીવા કે કંઠનળી ના પ્રદેશમાં કાસ્થિ ની વલય રચના હાજર હોય છે જેના લીધે હવા નો માર્ગ બંધ થઈ જતો નથી.

 

૩. ફેફસા: ફેફસાની અંદર આ માર્ગ નાની-નાની નલિકાઓમાં વિભાજન પામે છે અને જે અંતમાં ફુગ્ગા જેવી રચનામાં પરિણમે છે જેને વાયુ કોષ્ઠો કહે છે વાયુ કોષ્ઠ એક સપાટી પૂરી પાડે છે જેના દ્વારા વાતવિનિમય થઈ શકે છે.

મનુષ્યમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયાનો વિડિયો ખાસ જુઓ

https://youtu.be/I6sU2855kaY

પ્રશ્ન-17  મનુષ્યમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા:

  • જ્યારે આપણે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે આપણી પાંસળી ઉપસી આવે છે અને આપણો  ઉરોદરપટલ ચપટો બની જાય છે.
  • તેના પરીણામ સ્વરૂપે ઉરસીય ગુહા મોટી બને છે.
  • આ કારણથી હવા ફેફસામાં દાખલ થાય છે અને વિસ્તરણ પામેલા વાયુ કોષ ઠોને હવાથી ભરી દે છે.
  • રુધિર  શરીરમાંથી કાર્બન ડાયોક્સાઈડને વાયુ કોશ્ઠો માં મુક્ત કરવા માટે લાવે છે.
  • વાયુ કોશ્ઠ ઓક્સિજન લઈને શરીરના બધા જ કોષો સુધી પહોંચાડે છે.
  • હવે  ઉરોદર પટેલ ઉપર તરફ ખેંચાય છે અને પાંસળીઓ નીચે તરફ આવે છે.
  • તેના પરિણામે ઉરસીય ગુહાનો  વિસ્તાર ઘટે છે.
  • આ કારણે ફેફસા માંથી હવા વાતાવરણમાં દૂર થાય છે.
  • ફેફસા હંમેશા હવા ના વિનિમય માટે વિશિષ્ટતા દર્શાવે છે.
  • જેથી ઓક્સિજનના શોષણ અને કાર્બન ડાયોક્સાઇડ અને વાતાવરણમાં મુક્ત કરવા માટેનો પર્યાપ્ત સમય મળી રહે છે.

 

પ્રશ્ન 18 : ભિન્ન સજીવોમાં ગ્લુકોઝના ઑક્સિડેશનથી ઊર્જા પ્રાપ્ત કરવાના વિવિધ પરિપથો કયા છે ?
ઉત્તર :

ઉર્જા મુક્ત કરવાની બધી અવસ્થાઓના પ્રથમ તબક્કામાં ગ્લુકોઝના અણુનું પાયરુવેટ ના અણુમાં વિઘટન થાય છે આ ક્રિયા કોષરસ માં થાય છે.

ગ્લુકોઝના ઓક્સિડેશન થી ભિન્ન સજીવોમાં ઊર્જા પ્રાપ્ત કરવાના મુખ્ય ત્રણ પરિપથો છે:

ઓક્સિજનની ગેરહાજરીમાં પાયરુવેટનું   ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે.

જ્યારે આપણી સ્નાયુપેશી માં ઓક્સિજનનો અભાવ હોય ત્યારે પાયરુવેટનુ લેક્ટિક એસિડમાં રૂપાંતર થાય છે.

પાયરુવેટનું  ઓક્સિજનની હાજરીમાં (કણાભસૂત્ર માં) કાર્બન ડાયોક્સાઇડ અને  પાણીમાં વિઘટન થાય છે.

પ્રશ્ન 19 : મનુષ્યોમાં ઑક્સિજન અને કાર્બન ડાયૉક્સાઈડનું પરિવહન કેવી રીતે થાય છે ?
ઉત્તર : મનુષ્યમાં શ્વસન રંજક દ્રવ્ય હીમોગ્લોબિન ઑક્સિજન માટે ઊંચી બંધન ક્ષમતા ધરાવે છે. તેથી ઑક્સિજનનું પરિવહન હીમોગ્લોબિન દ્વારા થાય છે. કાર્બન ડાયૉક્સાઈડ પાણીમાં વધારે દ્રાવ્ય છે. તેથી મનુષ્ય માં તેનું પરિવહન રુધિરમાં દ્રાવ્ય અવસ્થામાં થાય છે.

પ્રશ્ન 20 : વાત વિનિમય માટે માનવીના ફેફસાંમાં મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય એ માટે કઈ રચના છે ?
ઉત્તર : વાત વિનિમય માટે માનવ-ફેફસાંમાં મહત્તમ ક્ષેત્રફળ પ્રાપ્ત થાય તે માટે ની રચનાઓ વાયુકોષ્ઠ અને તેની ફરતે રુધિરકેશિકાઓ છે.

પ્રશ્ન 21 : શ્વસન માટે ઑક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયા માં એક જળચર પ્રાણી ની તુલનામાં સ્થળ ચર પ્રાણી ને શું લાભ છે?
ઉત્તર : હવા માં રહેલા ઓક્સિજનના પ્રમાણ કરતા પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. તેથી સ્થળ ચર પ્રાણીઓ જળચર પ્રાણીઓ ની તુલનામાં શ્વાસ દર નીચો કે ધીમો રાખીને પોતાની ઑક્સિજનની જરૂરિયાત સંતોષી શકે છે.

પ્રશ્ન 22 : સમજાવો : હૃદય – આપણો પંપ અથવા મનુષ્યના હૃદય માં રુધિર પરિવહન નો પથ સમજાવો.
ઉત્તર :

  • હૃદય એક સ્નાયુલ અંગ છે જે આપણી મુઠ્ઠીના કદનું હોય છે.
  • રુધિર ને ઓક્સિજન તેમજ કાર્બન ડાયોક્સાઇડ બંનેનું વહન કરવાનું હોય છે.
  • તેથી ઓક્સિજનયુક્ત રુધિરને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરની સાથે ભળતા અટકાવવા માટે હૃદય કેટલાક ખંડોમાં વિભાજિત હોય છે.
  •   મનુષ્યના હૃદય માં પરિવહન પથ : હૃદયના ઉપરના રુધિર એકત્ર કરતા બે ખંડો કર્ણક અને નીચેના બે ખંડો ક્ષેપકો છે, જે હૃદયમાંથી રુધિરને બહાર ધકેલે છે.
  • કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રૂધિર ને કાર્બન ડાયોક્સાઇડ થી મુક્ત કરવા માટે ફેફસામાં લઈ જવામાં આવે છે.
  • ત્યારબાદ ફેફસાંમાંથી ઓક્સિજનયુક્ત રુધિરને પાછું હૃદયમાં લાવવામાં આવે છે.
  • ત્યારબાદ આ ઓક્સિજનયુક્ત રુધિર શરીરના બાકીના ભાગો માં પંપ કરીને મોકલવામાં આવે છે.
  •  ડાબા ખંડોમાં: 
  • ફેફસાંમાંથી ઓક્સિજનયુક્ત રુધિર હૃદયની પાતળી દીવાલ ધરાવતા ખંડ ડાબા કર્ણકમાં આવે છે.

  • ડાબુ કર્ણક રુધિર  મેળવતી વખતે શિથિલ થાય છે.
  • હવે જ્યારે ડાબુ કર્ણક સંકોચન પામે છે ત્યારે તેની નીચે આવેલું ડાબુ ક્ષેપક શિથીલન પામે છે જેથી રૂધિર તેમાં દાખલ થાય છે.
  • ત્યાર બાદ ડાબા ક્ષેપકમાં સંકોચન થી રુધિર ધમનીકાંડમાં ધકેલાઈને શરીરના વિવિધ ભાગોને પૂરું પાડવામાં આવે છે.
  • જમણા ખંડોમાં :
  • આ જ સમયે શરીરના વિવિધ ભાગોમાં થી એકઠું થયેલું ઓક્સિજનવિહીન રુધિર હૃદયના જમણી તરફના ઉપરના ખંડ જમણા કર્ણકમાં દાખલ થાય છે.
  • જમણા કર્ણકનું  સંકોચન થતાં જ તેની નીચેના જમણા ક્ષેપક નું  શિથીલન થાય છે.
  • જે પછી તેને ઓક્સિજનયુક્ત થવા માટે ફેફસા તરફ ધકેલે છે.
  • ક્ષેપકો દ્વારા રુધિરને શરીરના વિવિધ ભાગો તરફ ધકેલવાનું હોવાથી તેમની દીવાલ કર્ણ કો ની સરખામણીએ માંસલ અને જાડી હોય છે.
  • રૂધિર નું તે જ માર્ગે પાછું વહન ન થાય તે માટે વાલ્વ કાર્ય કરે છે.


મનુષ્યના હૃદયનો વિડિયો

https://youtu.be/cxc39yRtu20

  • પ્રશ્ન 23 : વનસ્પતિઓમાં વહન સમજાવો. અથવા વનસ્પતિઓમાં વહન ની પ્રક્રિયામાં પ્રસરણ, વહનતંત્ર અને વાહક પેશી ની અગત્ય સમજાવો.
  • ઉત્તર :
  • વનસ્પતિઓ વાતાવરણ માંથી કાર્બન ડાયૉક્સાઈડ, ભૂમિ માંથી પાણી અને ખનીજ દ્રવ્યો મેળવે છે અને પર્ણોના કોષોમાં ક્લોરોફિલ ની મદદથી સૌર-ઊર્જા નું રાસાયણિક ઉર્જા માં રૂપાંતર કરે છે.
  • પ્રકાશસંશ્લેષણ ની આ ક્રિયા માં કાર્બોદિત પદાર્થનું ગ્લુકોઝમાં સંશ્લેષણ થાય છે.
  • શોષણ થયેલા પાણી અને ખનીજ દ્રવ્યો નું અને સંશ્લેષિત ખોરાકનું
    વનસ્પતિ-શરીરના બધા ભાગોમાં વહન થવું જરૂરી છે.

પ્રસરણ :

જો મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર ખૂબ ઓછું હોય તો ઉર્જા અને પાણી સહિત કાચી સામગ્રીઓ વનસ્પતિ શરીર ના દરેક ભાગો માં ફક્ત પ્રસરણની ક્રિયા દ્વારા સરળતાથી વહન પામે છે .

વહનતંત્ર : 

જ્યારે વનસ્પતિઓમાં મૂળ અને પર્ણો વચ્ચે અંતર વધારે હોય ત્યારે વહન માટે પ્રસરણની ક્રિયા પર્યાપ્ત નથી. તેથી યોગ્ય વાહક તંત્ર જરૂરી બને છે.

જલવાહક : ભૂમિમાંથી શોષાયેલા પાણી અને ખનીજ દ્રવ્ય નું વહન.
(2) અન્નવાહક : પર્ણ માંથી પ્રકાશસંશ્લેષણ ની નીપજીનું વનસ્પતિ ના અન્ય ભાગો તરફ વહન.

પ્રશ્ન 24 : વનસ્પતિમાં પાણીનું વહન સમજાવો. અથવા વનસ્પતિમાં પાણી નું શોષણ અને તેનું ઊર્ધ્વ વહન સમજાવો. અથવા  જલવાહક દ્વારા પાણી નું વહન સમજાવો.
ઉત્તર :

પાણીના સંવહન નો માર્ગ : મૂળ, પ્રકાંડ અને પર્ણ મા જલવાહિની અને જલવાહિની કી પરસ્પર જોડાઈને પાણીના સંવહન નો સળંગ માર્ગ બનાવે છે.
મૂળ દ્વારા પાણી નું શોષણ : મૂળના કોષો ભૂમિ માંથી સક્રિય સ્વરૂપે આયન નું શોષણ કરે છે. તેના પરિણામે મૂળ અને ભૂમિની વચ્ચે આયન સંકેન્દ્રણ તફાવત સર્જાય છે. આથી આ તફાવત ને દૂર કરવા ભૂમિ માંથી પાણી મૂળમાં પ્રવેશ કરે છે.
પાણીનો સ્તંભ : મૂળ અને ભૂમિની વચ્ચે સંકેન્દ્રણ તફાવત દૂર કરવા માટે મૂળ ની જલવાહક તરફ થતા પાણીના પ્રવાહીથી પાણીનો સ્તંભ નિર્માણ પામે છે.
મૂળદાબ દ્વારા પાણી નું વહન : મૂળનો કોષ દ્વારા પાણીના શોષણથી સર્જાતા દબાણ થી પાણી જલવાહક ઘટકોમાં વહન પામે છે. વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિઓમાં પાણીના વહન માટે આ દબાણ અપૂરતું હોય છે.
રાત્રિ દરમિયાન પાણીના ઊર્ધ્વ વહન માટે મૂળદાબ જરૂરી છે. આથી વનસ્પતિ-શરીર ના સૌથી ઊંચા સ્થાન સુધી પાણીના વહન માટે અન્ય પરિબળ અસરકારક હોય છે.
બાષ્પોત્સર્જન ખેંચાણ દ્વારા પાણી નું વહન : વનસ્પતિના હવાઈ અંગો દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવવા ની ક્રિયા ને બાષ્પોત્સર્જન કહે છે. પર્ણરંધ્ર દ્વારા ગુમાવતા પાણી ની પૂર્તિ પર્ણના જલવાહક ઘટકોમાં રહેલા પાણી વડે થાય છે. પર્ણના કોષ માંથી પાણીના અણુઓ ના બાષ્પીભવન થી ખેંચાણ ઉત્પન્ન થાય છે.

વનસ્પતિમાં પાણીના વહનનો વિડિયો

https://youtu.be/KSPs0I0NWog

 

પ્રશ્ન 25 : માનવમાં વહનતંત્ર કે પરિવહનતંત્રના પર કો કયા છે ? આ ઘટકોનાં કાર્ય શું છે ?

માનવમાં પરિવહનતંત્રના ઘટકો કાર્ય
1. રૂધિર

વિવિધ દ્રવ્યોના વાહન માટે પ્રવાહી માધ્યમ, ખોરાક, CO), ક્ષાર અને નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્ય નું વહન

રોગકારક સામે લડવાનું અને પ્રતિકારકતા
ઈજાસ્થાને રુધિર ગંઠાઈ જવાની ક્રિયા

2. હૃદય રુધિર ના પંપ તરીકે કાર્ય કરે.
3. રુધિરવાહીની
(i) ધમનીઓ
(ii) શિરાઓ
(iii) રુધિરકેશિકાઓ
હ્રદયથી અંગો તરફ રુધિરનું વહન
વિવિધ અંગો થી હૃદય તરફ રુધિરનું વહન
રુધિર અને આસપાસના કોષ વચ્ચે દ્રવ્યોના આપ-લે
4. લસિકા નાના આંતરડા મા પા ચિત ચરબીનું શોષણ કરે અને આંતર કોષીય પ્રવાહી ને રુધિરના પ્રવાહમાં ઠાલવે

 

પ્રશ્ન 26 : સસ્તન અને પક્ષીઓમાં ઑક્સીજન યુક્ત અને ઓક્સિજન વિહિન રુધિર અલગ કરવાની જરૂરિયાત કેમ છે ?

ઉત્તર :  સસ્તન અને પક્ષીઓ માં ઓક્સિજન યુક્ત અને ઓક્સિજન વિહિન રુધિર અલગ કરવા ની જરૂરિયાત છે, કારણ કે તેથી શરીરને વધુ કાર્યદક્ષ ઓક્સિજન નો પુરવઠો મળી રહે. તેના શરીરના તાપમાન જાળવી રાખવા નિરંતર ઉર્જાની જરૂરિયાત સંતોષી શકાય છે.

પ્રશ્ન 27 : ઉચ્ચ કક્ષા ની વનસ્પતિમાં વહન તંત્રના ઘટકો કયા છે ?                                                     ઉત્તર : ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં વાહતંત્ર કે વહનતંત્રના ઘટકો : (1) જલવાહક (જલવાહિની અને જલવાહિનિકી) અને (2) અન્નવાહક (ચાલની નલિકા અને સાથીકોષો).

પ્રશ્ન 28 : વનસ્પતિમાં ખોરાકનું સ્થળાંતરણ કેવી રીતે થાય છે? 
ઉત્તર : પ્રકાશસંશ્લેષણ દ્રાવ્ય નીપજોના વહનને સ્થળાંતર કહે છે.

સ્થળાંતરણ સાથે સંકળાયેલી સંવહન પેશીને અન્નવાહક કહે છે.
– પ્રકાશ સંશ્લેષણ ની નીપજો ઉપરાંત, એમિનો એસિડ અને અન્ય પદાર્થ અન્નવાહક માં વહન પામે છે. આ પદાર્થ મુખ્યત્વે મૂળ તેમજ સંગ્રહ કરતા અંગો બીજ, ફળ તેમજ વૃદ્ધિ પામતી ભાગ તરફ વહન થાય છે.
– અન્નવાહક માં સ્થળાંતર દરમિયાન ઊર્જાનો ઉપયોગ થાય છે.
– સુક્રોઝ (શર્કરા) ATP માંથી પ્રાપ્ત ઊર્જાના ઉપયોગથી અન્નવાહક માં સ્થળાંતર પામે છે. તેથી થતો આવૃતિદાબનો વધારો પેશી માં પાણી પ્રવાહને પ્રેરે છે.
– આ દબાણથી અન્નવાહક માં દ્રવ્યો ઓછા દબાણ ધરાવતી પેશીઓ તરફ વહન પામે છે. આમ, વનસ્પતિ ની જરૂરિયાત મુજબ અન્નવાહક માં દ્રવ્ય નું વહન થાય છે.
ઉદાહરણ : વસંત ઋતુ માં મૂળ અને પ્રકાંડ પેશીઓ માં સંચિત શર્કરા નું સ્થળાંતર વૃદ્ધિ માટે ઉર્જાની જરૂરિયાત ધરાવતી કલિકાઓમાં થાય છે. અન્નવાહક માં ખોરાક અને અન્ય પદાર્થોનુ સ્થળાંતર તેને સંલગ્ન સાથી કોષ ની મદદથી ચાલની નલિકા માં ઉર્ધ્વ વહન તેમજ અધોગમન બંને દિશામાં થાય છે.

પ્રશ્ન 29 : મનુષ્યનું ઉત્સર્જનતંત્ર સમજાવો. અથવા મનુષ્ય ઉત્સર્જન અંગો સમજાવો.

  • મનુષ્યના શરીરમાં ચયાપચયની ક્રિયાઓમાં થી ઉદભવેલ નાઇટ્રોજનયુક્ત પદાર્થોનો નિકાલ કરવો જરૂરી છે જેમાં આ હાનિકારક ચયાપચયિક ઉત્સર્ગ અને નકામા પદાર્થો નો નિકાલ કરવામાં આવે છે તેને ઉત્સર્જન કહેવાય. 
    ઉત્તર : મનુષ્યના ઉત્સર્જનતંત્રમાં એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, એક મૂત્રાશય અને એક મૂત્રમાર્ગ નો સમાવેશ થાય છે.
    (1) મૂત્રપિંડ: 
  •  મૂત્રપિંડો ઉદરમાં કરોડસ્તંભ ની કશેરુકાઓની બંને પાર્શ્વ બાજુ આવેલા હોય છે.
  • – મૂત્રપિંડમાં રૂધિર માંથી ગાળણ દ્વારા નાઈટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્ય અલગ પડે છે અને મૂત્ર નું નિર્માણ થાય છે.
    (2) મૂત્રવાહિની : મૂત્રપિંડ ને મૂત્રાશય સાથે જોડાણ કરતી એક જોડ લાંબી નલિકા છે.
    – મૂત્રપિંડ માં નિર્માણ થયેલું મૂત્ર મૂત્રવાહિની દ્વારા મૂત્રાશય માં જાય છે.
    (૩) મૂત્રાશય : તે મૂત્રનો સંગ્રહ કરતી સ્નાયુમય કોથળી છે. તેમાં મૂત્રનો  થોડો સમય સંગ્રહ થાય છે.
  •  મૂત્રમાર્ગ : મૂત્રાશય થી શરીર ની બહાર ખુલતા છીદ્ર સુધી લંબાયેલો માર્ગ છે.
    – તેેના દ્વારા મૂત્ર નું ઉત્સર્જન થાય છે.

મનુષ્યના ઉત્સર્જનતંત્રનો વિડિયો

https://youtu.be/y0qRuI2Xsw4

  • પ્રશ્ન 30 : મુત્રપિંડ નલિકા(Nephron) ની રચના સમજાવો.
    ઉત્તર :
  • મૂત્રપિંડમાં પ્રત્યેક રુધિરકેશિકાગુચ્છ ગૂંચળા કાર નલિકા ના છેડે કપ આકારના ભાગ કે જેને બાઉમેનની કોથળી કહે છે તેની સાથે જોડાયેલ હોય છે.
  • જે ગાળણ ને  એકત્ર કરે છે.પ્રત્યેક મુત્રપિંડ માં આવા અનેક  ગાળણ એકમો હોય છે જેને મુત્રપિંડ નલિકા કહે છે.

 

મૂત્રપિંડમાં પાયારૂપ ગાળણ એકમ મુત્રપિંડ નલિકા છે.
– પ્રત્યેક મૂત્રપિંડમાં મોટી સંખ્યામાં મુત્રપિંડ નલિકા હોય છે. તે  નિકટતમ રીતે ગોઠવાયેેલ હોય છે.
– મુત્રપિંડ નલિકા લાંબી ગુંચળામય રચના છે. તેના અગ્રભાગે કપ આકારની બાઉમેનની કોથળી આવેલી છે અને તેનો અંત સંગ્રહણનલિકા માં થાય છે.
– બાઉમેનની કોથળી માં પાતળી દીવાલ વાળી રુધિરકેશિકાઓનું ઝૂમખું ગોઠવાયેલું  હોય છે. તેને રુધિરકેશિકાઓના ગુચ્છ કહે છે.

પ્રશ્ન 31 : આપણા શરીરમાં ચરબીનુ પાચન કેવી રીતે થાય છે? આ પ્રક્રિયા ક્યાં થાય છે?
ઉત્તર : 

  • નાના આંતરડામાં ચરબી મોટા ગોલકોના સ્વરૂપમાં હોય છે.
  • જેથી તેના પર ઉત્સેચકો નું કાર્ય કરવું મુશ્કેલ હોય છે.
  • પિતક્ષારો  તેઓને વિખંડિત કરીને નાના ગોલકો  માં રૂપાંતરિત કરે છે જેથી ઉત્સેચકો ની ક્રિયાશીલતા માં વધારો થાય છે.
  • તે સાબુના મેલ પર થતી તૈલોદીકરણની પ્રક્રિયા માફક કાર્ય કરે છે .
  • સ્વાદુરસનો લાયપેઝ તૈલોદીકૃત ચરબીનુ પાચન કરે છે.
  • અંતે લાયપેઝ વડે ચરબીનું ફૅટી ઍસિડ અને ગ્લિસરોલ માં રૂપાંતર થાય છે. આ પ્રક્રિયા નાના આંતરડામાં થાય છે.

પ્રશ્ન 32 : ખોરાક પાચન મા લાળ રસ ની ભૂમિકા શું છે?
ઉત્તર : લાળરસ માં એમાયલેઝ ઉત્સેચક હોય છે. તે ખોરાકના  સ્ટાર્ચ નું શર્કરા માં પાચન કરે છે.

 

પ્રશ્ન 33 : સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ કઈ છે અને તેની નીપજ કઈ છે?
ઉત્તર : સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિ :

(1) ક્લોરોફિલ ની હાજરી,

(2) પ્રકાશ શક્તિ નું શોષણ,

(3) પાણીના અણુનું વિઘટન અને

(4) કાર્બન ડાયૉક્સાઈડનું કાર્બોદિત માં રિડકશન.

તેની નીપજો : ડ્યુકોઝ, કાર્બોદિત અને ઑક્સિજન.

પ્રશ્ન 34 :  જારક અને અજારક શ્વસન વચ્ચે તફાવત શું છે? કેટલાક સજીવોનાં નામ આપો કે જેમાં અજારક શ્વસન થાય છે.
ઉત્તર :

જારક શ્વસન  અજારક શ્વસન
1. આ ક્રિયામાં O 2નો ઉપયોગ થાય છે. 1. આ ક્રિયામાં O2નો ઉપયોગ થતો નથી.
2. આ ક્રિયાને અંતે CO2 અને H2O ઉત્પન્ન થાય છે. 2. આ ક્રિયાને અંતે પ્રાણીજન્ય માધ્યમમાં લૅક્ટિક ઍસિડ અને વનસ્પતિજન્ય માધ્યમમાં ઇથેનોલ અને CO2 ઉત્પન્ન થાય છે.
3. આ ક્રિયા માં ગ્લુકોઝ ના અણુ નું સંપૂર્ણ દહન થાય છે.  3. આ ક્રિયામાં ગ્લુકોઝના અણુનું અપૂર્ણ દહન થાય છે. 
4. આ ક્રિયા નો પ્રાથમિક તબક્કો કોષરસ મા થાય છે, જ્યારે બાકીનો તબક્કો કણાભસૂત્ર માં થાય છે.  4. આ ક્રિયા સંપૂર્ણપણે કોષરસમાં જ થાય છે. 

પ્રશ્ન 35 : વાયુઓના વધારેમાં વધારે વિનિમય માટે વાયુકોષ્ઠો ની રચના કેવા પ્રકારની હોય છે?


  • ઉત્તર :
  • ફેફસાંમાં શ્વાસ વાહિકાઓના અંત ભાગે વાયુકોષ્ઠો આવેલા છે.
  • તે ફુગ્ગા જેવી રચના ધરાવે છે.
  • તેમની પાતળી
    દિવાલ પર રુધિરકેશિકાઓની વિસ્તૃત જાળી રૂપ ગોઠવણી વાયુઓના વધારેમાં વધારે વિનિમય માટે વિસ્તૃત સપાટી
    પૂરી પાડે છે.
  • પ્રશ્ન 36 : આપણા શરીરમાં હિમોગ્લોબિન ઉણપ ને પરિણામે શું થઈ શકે છે?
    ઉત્તર :
  • આપણા શરીરમાં હિમોગ્લોબિન ઉણપ ને પરિણામે થતી રોગકારક અવસ્થા ને પાંડુરોગ (એનીમિયા) કહે છે.
  • તેના પરિણામે, આપણા શરીરના કોષો અને કોષિય શ્વસન માટે પૂરતો O2 મળતો નથી.
  • પરિણામે ઓછી શક્તિ પ્રાપ્ત થાય છે. આ સ્થિતિમાં અશક્તિ, થાક, કંટાળો વગેરે જોવા મળે છે.

પ્રશ્ન 37 :  મનુષ્યમાં રુધિરનું બેવડું પરિવહન વ્યાખ્યા આપો. તે શા માટે ? જરૂરી છે?
ઉત્તર : મનુષ્ય માં દરેક ચક્ર દરમિયાન રુધિર હૃદયમાંથી બે વખત પસાર થાય છે. તેને રુધિરનું બેવડું પરિવહન કહે છે.

વિવિધ અંગો માંથી એકત્ર થતા ઓક્સિજન વિનાનુ રુધિર અંતે મહાશિરા દ્વારા જમણા કર્ણકમાં આવે છે.

ત્યાંથી જમણા ક્ષેપક દ્વારા રુધિર ફેફસાંમાં લઈ જવામાં આવે છે.

 

ફેફસાં માંથી ઓક્સિજન યુક્ત રુધિર ડાબું કર્ણક થી ડાબું ક્ષેપક અને અંતે મહાધમની દ્વારા અંગો તરફ જાય છે.

મનુષ્ય શરીર ની વધુ ઊર્જા જરૂરિયાત માટે ઓક્સિજન નો વધુ કાર્યદક્ષ પુરવઠો શરીરને પૂરો પાડવા બેવડું પરિવહન જરૂરી છે.

પ્રશ્ન 38 : જલવાહક અને અન્નવાહક માં પદાર્થોના વહન વચ્ચે શું તફાવત છે?                                          ઉત્તર :

જલવાહક અન્નવાહક
1. પાણી અને ખનીજ દ્રવ્યો નું વહન થાય છેં. 1. મુખ્યત્વે સુક્રોઝ કાર્બોદિત સ્વરૂપે ખોરાકનું સ્થળાંતરણ થાય છે.
2. તેમાં વહન માટે બાષ્પોત્સર્જનથી સર્જાતું ખેંચાણ બળ મુખ્ય પ્રેરક બળ છે. 2. તેમાં સ્થળાંતરણ માટે આસુતિ દબાણ જવાબદાર છે.
3. તેમાં દ્રવ્યોના વહન માટે સામાન્ય રીતે ATP નો ઉપયોગ થતો નથી. 3. તેમાં સ્થળાંતરણ માટે ATPનો ઉપયોગ થાય છે.
4. જલવાહિની અને જલવાહિની કી વહનમાં સંકળાયેલા છે. 4. ચાલની નલિકા અને સાથીકોષો સ્થળાંતરણમાં સંકળાયેલા છે.


પ્રશ્ન 39 : ફેફસાંમાં વાયુકોષ્ઠો ની અને મૂત્રપિંડમાં મુત્રપિંડ નલિકા રચના અને તેની ક્રિયાવિધિ તુલના કરો.
ઉત્તર :

વાયુકોષ્ઠો મુત્રપિંડ નલિકા
1. તે ફેફસાંની રચનાનો કાર્યાત્મક એકમ છે. 1. તે મૂત્રપિંડ ની રચનાનો કાર્યાત્મક એકમ છે.
2. તે શ્વાસવાહિકાઓના છેડે આવેલી ફુગ્ગા જેવી રચનાઓ છે. 2. તે લાંબી ગૂંચળામય નલિકા જેવી રચના છે.તેના અગ્રભાગે બાઉમેનની કોથળી હોય છે.
3. તે શ્વસન વાયુઓની આપ-લે માટે ની સપાટી પૂરી પાડે છે. 3. તે રુધિરનું ગાળણ કરી નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો દૂર કરે છે.
4. તેની દિવાલ પર રુધિરકેશિકાઓની  વિસ્તૃત જાળી રૂપ રચના હોય છે. 4. તેના બાઉમૅનની કોથળી ભાગે રુધિરકેશિકાગુચ્છ અને નલિકામય ભાગે રુધિરકેશિકાજાળ હોય છે.
  • ખાસ યાદ રાખો: 

  • ફૂગમાં વિષમપોષી પોષણ હોય છે. તેમાં ખોરાકના ઘટકો નુ વિઘટન શરીરની બહાર કરી પછી તેનું શોષણ કરવામાં આવે છે. દા.ત. બિલાડીનો ટોપ.
  • મોટાભાગની ફૂગ મૃત્તોપજીવી પોષણ ધરાવે છે જ્યારે પટ્ટી કૃમિ અને કરમિયું પરોપજીવી પોષણ ધરાવે છે તેમજ અમીબા અને મનુષ્ય પ્રાણી સમ પોષણ દર્શાવે છે.
  • જ્યાં સુધી વાઇરસ ચોક્કસ યજમાન કોષમાં પ્રવેશ ન કરે ત્યાં સુધી કોઈ આણવિય ગતિ દર્શાવતા નથી માટે વાયરસ સજીવ છે કે નિર્જીવ તે નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ છે .
  • કાર્બોદિત લીલી વનસ્પતિઓમાં સ્ટાર્ચ સ્વરૂપે તેમજ મનુષ્યમાં ભોજન સ્વરૂપે સંચય પામે છે.
  • રક્ષક કોષોનું કાર્ય વાયુરંધ્ર ખુલ્લા અને બંધ કરવાનું છે.
  • નાઇટ્રોજન પ્રોટીન અને અન્ય સંયોજનોના સંશ્લેષણ માં અગત્યનું ખનિજ દ્રવ્ય છે.
  • શ્વાસનળીમાં આવેલી કાસ્થીની વલયમય રચનાઓને કારણે આપણા શરીરમાં હવા નો માર્ગ રૂંધાઇ જતો  નથી.
  • હિમોગ્લોબીન શ્વસન રંજક દ્રવ્ય છે જેનું સ્થાન રક્તકણમાં હોય છે તેમજ તેનું કાર્ય ઑક્સિજનનું વહન કરવાનું છે.
  • વનસ્પતિઓની જલવાહક માં પાણી ની ગતિ માટે દિવસે બાષ્પોત્સર્જન થી ખેંચાણ બળ અને રાત્રે મૂલદાબ અગત્યના બળ છે.
  • અન્નવાહક માં સુક્રોઝ,  એમિનો એસિડ અને અન્ય દ્રવ્યો વાહન પામે છે.
  • આપણે મૂત્રત્યાગ નું નિયંત્રણ કરી શકીએ છીએ કારણકે આ ક્રિયા ચેતા નિયંત્રણ હેઠળ હોય છે.
  • માછલીમાં રુધિર પરિવહન ના એક ચક્ર દરમ્યાન રુધિર હૃદયમાંથી ફક્ત એક જ વાર પસાર થાય છે તેને એકવડું  રુધિર પરિવહન કહે છે.
  • લસિકા નાના આંતરડામાં અભિશોષણ પામેલી ચરબીનું વહન કરે છે તેમજ આંતર કોષીય અવકાશમાંથી વધારાના પ્રવાહીને રુધિરમાં પાછું લાવે છે.
  • ઉચ્ચ વનસ્પતિઓમાં વાહક નલિકાઓ નું નિર્માણ જલવાહક અને અનવાહક કરે છે. જલવાહક માં પાણી અને દ્રાવ્ય ક્ષારોનું અને અન્નવાહક માં પ્રકાશ સંશ્લેષણની નિપજોનું વહન થાય છે.
  • અન્નવાહક ના ચાલની નલિકા અને સાથી કોષો ખોરાકનું સ્થળાંતર દર્શાવે છે ખોરાક નું સ્થળાંતર ઊર્ધ્વ અને અધો એમ બંને દિશામાં થઈ શકે છે.
  • મનુષ્યમાં પ્રોટીનના પાચનની શરૂઆત જઠરથી થાય છે.
  • ગાયમાં નાના આતરડાની લંબાઈ સૌથી વધારે હોય છે.
  • યિસ્ટ ઓક્સિજન કે હવા વગર પણ જીવી શકે છે.
  • પાચન નો અંતિમ હેતુ અભિશોષણ છે.
  • પીત નો સંગ્રહ કરતું અંગ પિત્તાશય છે તેમજ એસિડિક માધ્યમમાં કાર્ય કરતો ઉત્સેચક પેપ્સી ન છે.
  • ફેફસામાં રુધિર ઓક્સિજનયુક્ત બને છે.
  • બાઉમેન ની કોથળી માં રુધિરના ગાળણની ક્રિયા થાય છે.
  • રુધિર ની સાપેક્ષ માં લસિકા માં પ્રોટીન ઓછા પ્રમાણમાં હોય છે.
  • પ્રકાશસંશ્લેષણની ક્રિયા માં સૂર્ય શક્તિ નું રાસાયણિક શક્તિમાં રૂપાંતર થાય છે 
  • મનુષ્યના શરીરમાં ઓક્સિજનયુક્ત રુધિર ના પરિવહન નું સાચો માર્ગ આ મુજબ છે: ફેફસા> fupfus શિરા> ડાબું કર્ણક> ડાબું ક્ષેપક >શરીરના વિવિધ અંગો.
  • જલ નિયમન માટે ઉત્સર્જન ની ક્રિયા સૌથી અગત્યની છે.
  • મનુષ્યના હૃદયમાં રુધિર પરિવહન માટેનો પથ આ મુજબ છે: જમણું કર્ણક> જમણું ક્ષેપક>ફેફસાં>ડાબું કર્ણક >ડાબું ક્ષેપક> શરીરના વિવિધ અંગો.
  • રેઝીન અને ગુંદર વનસ્પતિનાં ઉત્સર્ગ પદાર્થો છે.
  • મૂત્ર નિર્માણ દરમિયાન યુરિયા અને યુરિક એસિડનું મુત્રપિંડ નલિકા માં પસંદગીમાન  પુનઃશોષણ થતું નથી.
  • ખોરાકનું સ્થળાંતર અને મનુષ્યમાં શરીરના તાપમાન ની જાળવણીની ક્રિયામાં ATP નો ઉપયોગ થાય છે.
  • ઉભયજીવી ઓ ઓક્સિજનયુક્ત અને ઓક્સિજનવિહીન રુધિર ના મિશ્ર થવાની સ્થિતિ સહન કરી શકે છે.
  • આ પાઠ માં યાદ રાખવા જેવા ખાસ મુદ્દાઓ:
  • જુદાજુદા જીવોમાં પોષણ ના પ્રકાર
  • પાચનતંત્રના અવયવો ના સ્થાન અને તેના કાર્યો.
  • હૃદયના જુદા જુદા અંગો નું કાર્ય.
  • મનુષ્યના હૃદયમાં તેમજ શરીરમાં રુધિર પરિવહન માટેનો સાચો માર્ગ.
  • જુદાજુદા તફાવતો.(ખાસ)
  • શ્વસન તંત્ર ના અંગો ના કાર્યો.
  • વૈજ્ઞાનિક કારણો.
  • આકૃતિમાં અંગોના સ્થાન.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here