પાઠ – 10 બજારપ્રક્રિયા સંચાલન

0
950

 

પ્રસ્તાવના (Introduction):

આધુનિક સમયમાં ગ્રાહક બજારનો સર્વોપરી વ્યક્તિ બની ગયો છે. દરેક સંસ્થા કે પેઢી પોતાના માલ કે સેવા થકી ગ્રાહકની જરૂરિયાત ઝડપથી સંતોષવાનો સતત પ્રયત્ન કરે છે.

ઔદ્યોગિક ક્રાંતિને કારણે ઉત્પાદન ઝડપથી વધી ગયું અને ગ્રાહકોની પ્રાથમિક જરૂરિયાત ઝડપથી સંતોષવા લાગી. જેને પરિણામે ઉત્પાદકો જુદી-જુદી નવીન પેદાશો બજારમાં  મુકતા ગયા અને ઉત્પાદકો વચ્ચે હરીફાઈ શરૂ થઈ.

ટેકનોલોજીકલ ક્રાંતિએ વધુ વિવિધતાવાળી પેદાશો મુકવામાં મદદ કરી. આમ, પેઢીઓ સતત નવા સંશોધનો કરીને ગ્રાહકોને જરૂરી પેદાશો અને સેવાઓ પૂરી પાડવાનો પ્રયાસ કરે છે.


બજાર પ્રક્રિયા અર્થ (Meaning) : 

  •  ઉત્પાદન કરતી પેઢીઓ કે સેવા આપતી સંસ્થાઓ ભવિષ્યમાં ગ્રાહકોને કેવા પ્રકારની પેદાશો કે સેવાઓ જોઈશે તેનું અનુમાન કરે છે અને તેના આધારે પેદાશો અને સેવાઓનું સર્જન કરે છે.
  • બજાર પ્રક્રિયામાં નક્કી કરેલા ગ્રાહક સમૂહની જરૂરિયાત સાથે જે-તે પેદાશ મિશ્ર સાથે મેળ બેસાડવાની પ્રક્રિયા છે.
  • ગ્રાહકને અનુલક્ષીને પેદાશનું સ્વરૂપ તૈયાર કરવામાં આવે છે, તેની ખરીદશક્તિને અનુરૂપ તેની કિંમત નક્કી કરવામાં આવે છે.
  • બજાર પ્રક્રિયામાં બે મુખ્ય પક્ષકારો ઉત્પાદકો અને ગ્રાહકો વચ્ચે વિનિમય ઉભો કરવામાં આવે છે. આ વિનિમય દ્વાર ઉત્પાદકો પોતાના ધંધાકીય હેતુ સિદ્ધ કરે છે અને ગ્રાહકો પોતાની જરૂરિયાતો સંતોષે છે.

વ્યાખ્યાઓ (Definition) :-

 

  • અમેરિકન માર્કેટિંગ એસોસિએશનના જણાવ્યા મુજબ, ‘બજાર પ્રક્રિયા( માર્કેટિંગ) એટલે કે એવી ધંધાકીય પ્રવૃત્તિ કે જેમાં માલ કે સેવાનો પ્રકાર ઉત્પાદક તરફથી ગ્રાહક તરફ વાળવામાં આવે છે

 

  • શ્રી કપૂર અને આઇકોબુકીના જણાવ્યા, “માર્કેટિંગ એ ગ્રાહકો અને પેઢીઓ વચ્ચે થતો પારસ્પરિક વિનિમય છે”.

 

  • શ્રી ફિલિપ કોટલરના જણાવ્યા મુજબ, ‘માર્કેટિંગ એ એવી સામાજિક પ્રક્રિયા છે કે જેમાં વ્યક્તિગત જૂથો તેમની જરૂરિયાતો મુજબ મૂલ્યવાન પેદાશોનું સર્જન કરી, રજૂઆત કરી  સ્વતંત્ર રીતે વસ્તુઓ કે સેવાઓનો વિનિમય કરે છે.’

સૂત્રો:

માલની માલિકીની ફેરબદલી કરવા અને તેના ભૌતિક વિતરણ ની જોગવાઈ કરવા માટે જરૂરી એવી બધી જ ધંધાકીય પ્રવૃત્તિ એટલે માર્કેટિંગ: બેકમેન
ગ્રાહકોની આવશ્યકતાઓ અને જરૂરિયાતોને શોધી કાઢીને તેનું પેદાશ કે સેવાના વિશિષ્ટ વર્ણન માં રૂપાંતર કરતી  પ્રક્રિયા એટલે માર્કેટિંગ.- હેન્સન
બજારમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ઉત્પાદક દ્વારા અપનાવવામાં આવેલ વિવિધ નીતિઓનો સમૂહ એટલે માર્કેટિંગ મિશ્ર- R.S. દાવર
માર્કેટિંગ નો ખ્યાલ એ ધંધાની એવી ફિલસૂફી છે જે ગ્રાહકોની જરૂરિયાતો અને પસંદગીનું તટસ્થ મૂલ્યાંકન કરી તેને આધારે નિર્ણય લે છે: જેફકિન્સન

 

બજાર પ્રક્રિયાનાં કાર્યો (Functions of Marketing Process):

(1) બજારીય સંશોધન (2) માલનું એકત્રીકરણ  (3) માલને વપરાશ લાયક બનાવવો (4) મોલનું પ્રમાણીકરણ  અને વર્ગીકરણ (5) માલ પર નિશાની કરવી (6) કિંમત નિર્ધારણ (7) માલનું પેકિંગ કરવું (8) માલનો સંગ્રહ કરવો (9) વાહનવ્યવહાર (10) માલનો વીમો લેવો (11) નાણાકીય વ્યવસ્થા (12) જાહેરાત (13) વેચાણ વિતરણની વ્યવસ્થા (14) વેચાણ (15) વેચાણ પછીની સેવા.

(1) બજારીય સંશોધન :

માર્કેટિંગનાં કાર્યોમાં બજાર સંશોધન એ પ્રથમ કાર્ય છે. સરળ રીતે કહી શકાય કે આ પ્રક્રિયામાં ગ્રાહકો વિશે માહિતી મેળવવામાં આવે છે. તેમની પસંદગી અભિરુચિ વગેરે વિશે માહિતી મેળવવામાં આવે છે. આ માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે, પ્રશ્નાવલી પદ્ધતિ, નમૂના પદ્ધતિ વગેરે.

(2) માલનુ એકત્રીકરણ : ઘણીવાર માલ જુદી જુદી જગ્યાએ ઉત્પાદિત થતો હોય છે ત્યારે માલને કોઈ મધ્યસ્થસ્થળે એકઠો કરવામાં આવે છે. જેને માલનું એકત્રીકરણ તરીકે ઓળખવામાં આવે છે. 

(3) માલને વપરાશ લાયક બનાવવો : ઘણીવાર માલને વપરાશ યોગ્ય બનાવવા માટે જરૂરી પ્રક્રિયા કરવી પડે છે. આ પ્રક્રિયા સામાન્ય રીતે કાચા માલના સંગ્રહ સ્થાને જ કરવામાં આવે છે. 

(4) માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણ : માલનું પ્રમાણીકરણ એ એવી પ્રક્રિયા છે કે જેમાં માલ કેવો હોવો જોઈએ તેના પર ધોરણ નક્કી કરવામાં આવે છે.

(5) માલ પર નિશાની કરવી :આ નિશાની ઉત્પાદક માલને હરિફોના માલથી અલગ પાડે છે. માલ પર નિશાની એ માલ પર મૂકવામાં આવેલી વિશિષ્ટ છાપ છે.ગ્રાહક આ છાપના આધારે જ માલ ઓળખે છે.

(6) કિંમત નિર્ધારણ : 

ઉત્પાદક પોતાના ઉત્પાદન અંગે વિવિધ પ્રકારના ખર્ચનો અંદાજ મેળવે છે. પેકીંગ પહેલાં કિંમત નિર્ધારણ એટલા માટે જરૂરી છે કે કાયદા અનુસાર વસ્તુના પેકિંગ પર કિંમત છાપવી ફરજિયાત છે.

(7) માલનું પેકીંગ કરવું:

તૈયાર માલને રક્ષણ આપવાનું અને ગ્રાહકોમાં આકર્ષણ ઊભું કરવાનું કાર્ય કરે છે. ઘણીવાર માલનો કેવી રીતે ઉપયોગ કરવો તેની પદ્ધતિ પેકિંગ ઉપર છાપવામાં આવે છે.

(8)માલનો સંગ્રહ કરવો : ગ્રાહકની જરૂરિયાત મુજબ પેદાશ બજાર માં મુકવી જરૂરી છે. ઘણીવાર પેદાશની માંગ અને પુરવઠા વચ્ચે સંતુલન જાળવવું જરૂરી બની જાય છે. ઉત્પાદન હમેંશા ભવિષ્યની માંગને આધારે કરવામા આવે છે. આથી માલનો સંગ્રહ કરવો આવશ્યક હોય છે. માલસંગ્રહના કાર્યમાં માલની ગુણવત્તા જળવાઈ રહે તે પણ જરૂરી છે. માલસંગ્રહના કાર્યને કારણે માલની હેરફેર સરળ બને છે અને માલની પ્રાપ્યતા બજારમાં જળવાઈ રહે છે.

(9) વાહનવ્યવહાર: કાચામાલનો પુરવઠો નિયમિત રીતે મળે, તૈયાર માલને ગ્રાહક સુધી પહોચાડવા અને વિતરણ કરવા વાહનવ્યવહાર વિવિધ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે.

(10) માલનો વીમો લેવો :વર્તમાન સમયમાં માલ હેરફેર દરમિયાન અને માલના સંગ્રહ સમયે અનેક પ્રકારના જોખમો ઉભા થાય છે. માલનો વીમો લેવાથી ઉદભવતા સંભવિત નુકસાન સામે રક્ષણ મળે છે. 

(11) નાણાકીય વ્યવસ્થા : 

બજારીય સંચાલનના બધા જ કાર્યો માટે જરૂરી કાર્યશીલ મૂડીની વ્યવસ્થા કરવી પડે છે. આ જરૂરિયાત સંતોષવા માટે આગવું નાણાકીય આયોજન જરૂરી છે.

(12) જાહેરાત : માંગના અંદાજના આધારે અને નાણાંની પ્રાપ્યતાના ધોરણે જાહેરાતની વ્યુહરચના કરવામાં આવે છે.


(13) વેચાણ વિતરણ વ્યવસ્થા : 

ઉત્પાદન પાસેથી ગ્રાહક પાસે પેદાશ ઝડપથી અને કિફાયતી કિમતે પહોંચે એ જરૂરી છે. તે માટેના વિતરકોની નિમણૂંક જરૂરી બને છે.

(14) વેચાણ : વેચાણ એ બજારીય સંચાલનમાં વિનિમય પ્રક્રિયા છે જેમાં માલ ગ્રાહકને સોંપવામાં આવે અને વેચાણ કરીને માલનાં નાણાં મળી જાય, વેચાણના કાર્યમાં મધ્યસ્થીઓની ભૂમિકા મહત્ત્વની હોય છે.

(15) વેચાણ પછીની સેવાઓ : 

વેચાણ માત્રથી માર્કેટિંગનું કાર્ય પૂર્ણ થતું નથી, તેના માટે વેચાણ પછીની સેવાની. વ્યવસ્થા કરવી પડે. ઉત્પાદકે વેચાણ પછીની સેવાઓ માટે નેટવર્ક ઊંભુ કરવું પડે.

બજાર પ્રક્રિયાના કાર્યો

બજારીય માલનું એક માલને વપરાશ બનાવી તેનું પ્રમાં અને વર્ગી કરવું માલ પર નિશાની કરી કિંમત નિર્ધારિત કરી પેકિંગ અને સંગ્રહ કરવો વાહન વ્યવહાર વીમો લેવો નાણાં વ્યવસ્થા કરી જાહેરાત વેચાણ વિતરણ અને પછીની સેવાઓ BPR ના કાર્યો છે

Short: બધા માલ માલવપ માલ પ્રવર્ગી  માની માપે માસંગ વાહ માલવી નાણા જાહે  vv વ્યવસ્થા વે પછીની સેવા BPR ના કાર્યો


બજાર પ્રક્રિયા અને વેચાણ વચ્ચેનો તફાવત

(1) બજાર પ્રક્રિયા:

અર્થ –  ગ્રાહકની જરૂરિયાત જાણીને વસ્તુ કે  સેવાઓનું સર્જન કરીને ગ્રાહક સંતોષ અને નફાનું સર્જન કરવાની પ્રક્રિયાને  બજાર પ્રક્રિયા કહે છે.

વેચાણ

અર્થ- વસ્તુ નાણુંના બદલામાં સેવા કે પેદાશનો  વિનિમય એટલે વેચાણ



(2)કાર્યક્ષેત્ર – ઘણું જ વ્યાપક કાર્યક્ષેત્ર છે. તેમાં ગ્રાહકોની જરૂરિયાત જાણવી, નવી પેદાશ વિકસાવવી, કિંમત નિર્ધારણ કરવી અને વેચાણ પછીની સેવાઓનો સમાવેશ થાય છે.

વેચાણ 

કાર્યક્ષેત્ર સીમિત છે. તેમાં માલની  માલિકી વેચાણકર્તા પાસેથી ગ્રાહક પાસે સોંપવાની  ક્રિયાનો સમાવેશ થાય છે.



(3) ઉદ્દેશ – ગ્રાહકોને સંતોષ આપી નફો  મેળવવાનો છે.

વેચાણ

માલ કે સેવા વેચાણ દ્વારા નફો મેળવવાનો છે.


(4)પક્ષકાર –  બજારીય પ્રક્રિયામાં માલ પૂરો પાડનાર, વેચાણ વિતરણમાં સામેલ મધ્યસ્થીઓ, ગ્રાહકો જેવા અનેક પક્ષકારોનો સમાવેશ થાય છે.

વેચાણ

ખરીદનાર અને વેચનાર એમ બે પક્ષકારોનો સમાવેશ થાય છે.


(5)શરૂઆત અને અંત – બજારીય પ્રક્રિયાનું કાર્ય, બજાર  સંશોધનથી શરૂ થઈને તે પેદાશના વેચાણ પછીની સેવા સુધી ચાલુ રહે છે.

વેચાણ


ઉત્પાદન કાર્ય પછી વેચાણ શરૂ થાય છે અને માલ કે સેવાના વેચાણ સાથે જ પૂર્ણ થઈ જાય છે.

(6)  મૂડીની જરૂર –  માલનો સંગ્રહ, માલનું વર્ગીકરણ, પેકિંગ, માલ પર નિશાની કરવી, અને માલની હેરફેર વગેરે કાર્યોમાં વધુ પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂર રહે છે.

વેચાણ

કાર્યક્ષેત્ર મર્યાદિત હોવાને કારણે મૂડી જરૂરિયાત ઓછી રહે છે.




(7) પ્રયાસોની દિશા – ગ્રાહકની જરૂરિયાત અનુસાર પેદાશ બનાવીને ગ્રાહક સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે.

  વેચાણ

 ગ્રાહકોને જે તે પેદાશ અપનાવવા માટેના પ્રયાસ કરવામાં આવે છે.



બજારીય  સંચાલનની વિચારધારાઓ / વિભાવનાઓ / ખ્યાલો (Ideologies/Concepts/Views of Marketing Management):

વર્તમાન માર્કેટિંગ એ આકસ્મિક નથી.કોઈ ચોક્કસ વિચાર ધારા – ખ્યાલ કે ફિલસુફીને ધ્યાનમાં રાખીને ધંધાકીય એકમો પોતાની માર્કેટિંગ પ્રવૃત્તિ કરતા હોય છે. માર્કેટિંગમાં આવી જુદી જુદી ફિલસૂફીને માર્કેટિંગની વિભાવનાઓ કે ખ્યાલો તરીકે ઓળખવામાં આવે છે. આવા મુખ્ય પાંચ અભિગમ જોવા મળે છે.

ઉત્પાદન વિભાવના (Production Concept) : 

  • આ વિભાવના ને ઉત્પાદનલક્ષી ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે.
  • જેમાં પેદાશોની પ્રાપ્યતા અને કિંમત પર ભાર મૂકવામાં આવે છે તેમજ ગ્રાહક સસ્તી પેદાશને જલ્દી પસંદગી આપે છે.
  • આ વિભાવના મુજબ પેદાશમાં કોઈ પણ જાતની વધારાની સુવિધા આપવામાં ઉત્પાદકો માનતા નથી. અલ્પ વિકસિત દેશોમાં આ ખ્યાલ વધુ જોવા મળે છે.


પેદાશ વિભાવના (Product Concept) :

  • પેદાશ વિભાવનામાં પેદાશની ગુણવત્તા ઉપર ભાર મૂકવામાં આવે છે. અહીં એવું માની લેવામાં આવે છે કે ગ્રાહક પેદાશની ગુણવત્તાનો આગ્રહી છે.
  • પરંતુ તે ગ્રાહકને જરૂરિયાત, પસંદગી વગેરેને ધ્યાનમાં લેતા નથી. ઘણાં ધંધાકીય એકમો આ જ કારણે પેદાશની ગુણવત્તામાં સતત સુધારો કરતા જોવા મળે છે.

 

  • વેચાણ વિભાવના (Selling Concept) :

 

  • આ વિભાવનાને વેચાણલક્ષી ખ્યાલ તરીકે ઓળખવા આવે છે. જેમાં વેચાણની પ્રક્રિયા પર ભાર મૂકવામાં આવે છે.
  • ગ્રાહકોને આકર્ષવા અને પેદાશ ખરીદવાનો સીધો કે આડકતરો અનુરોધ કરવામાં આવે છે. એકમો આક્રમક વેચાણની પદ્ધતિ અપનાવે છે.
  • તેમજ અસરકારક જાહેરાત ઝુંબેશ, વ્યક્તિગત વેચાણ અને વેચાણ વૃદ્ધિના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે.

 

બજાર પ્રક્રિયાની વેચાણ વિભાવના

વેચાણ લક્ષી ખ્યાલ, ગ્રાહકોને આકર્ષવા અનુરોધ,આક્રમક વેચાણ પદ્ધતિ, અસરકારક જાહેરાતો વેચાણ વૃદ્ધિ ના સાધનો નો ઉપયોગ માલની માંગ ઉભી કરવી,પેદાશની રોકડમાં રૂપાંતર કરવા તમામ પ્રયત્નો.

વિભાવના (Marketing Concept) : 

  • આ ખ્યાલ અને માર્કેટિંગનો ખ્યાલ કે વપરાશલક્ષી ખ્યાલ તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • આ ખ્યાલમાં ગ્રાહકોની જરૂરિયાતો, તેમની પસંદગી, ટેવો, શોખ વગેરે અંગે સંશોધન કરી તેને અનુરૂપ પેદાશનું ઉત્પાદન કરવામાં આવે છે.
  • ‘ગ્રાહક બજારનો રાજા છે.’ તે અનુભૂતિ સાથે દરેક પ્રવૃતિ ગ્રાહક કેન્દ્રી હોય છે અને તેના આધારે જ માર્કેટિંગ અંગેની નીતિ નક્કી કરવામાં આવે છે. હરીફો કરતાં વધુ અસરકારક અને કાર્યક્ષમ રીતે પોતાની પેદાશો પહોંચાડવાનું અને ગ્રાહકને સંતોષ આપવાનું લક્ષ્ય આ ખ્યાલમાં હોય છે. 

સામાજિક વિભાવના (Social Concept) : 

  • આને સમાજલક્ષી વિભાવના તરીકે પણ ઓળખવામાં  આવે છે.
  • આ વિભાવના મુજબ દરેક ધંધાકીય એકમે  બજારીય સંચાલનના કાર્યો એવી રીતે કરવું જોઈએ કે જેથી ગ્રાહકોની જરૂરિયાત સંતોષાય અને પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય. 
  • તેથી જ ઘણાં એકમોએ પેકિંગમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કર્યો છે અને ઉત્પાદનની પ્રક્રિયામાં  ઝેરી વાયુઓનું પ્રમાણ બને તેટલું ઓછું રાખવાનો પ્રયાસ કરે છે.
  • ગ્રાહકોને તૈયાર ‍ ખોરાક મળે પણ તે શરીરને હાનિકારક ન હોય તે પૌષ્ટિક અને શુદ્ધ હોય તે પ્રકારની વિચારધારા પ્રસરતી જાય છે. આને નિયંત્રિત કરવા કેટલાક રાજ્યોએ ‘ફેટ ટેક્સ” પણ દાખલ કર્યો  છે.

માર્કેટિંગ મિશ્ર (બજારીય મિશ્ર)  (Marketing Mix):-

ખ્યાલ (Concept) : 

  • ઉત્પાદક પોતાની પેદાશોના બજારમાં સફળતાપૂર્વક દાખલ કરવા માટે અને તેના બજારને ટકાવી રાખવા માટે જે વિવિધ નીતિઓનો સમૂહ અપનાવે છે તેને માર્કેટિંગ મિશ્ર કહે છે.
  • માર્કેટિંગ મિશ્ર એ ઘટકોના સમૂહ છે જે એકમોના નિયંત્રણમાં હોય છે અને તેનો ઉપયોગ ગ્રાહક સંતોષ ઊભો કરવા માટે થાય છે.
  • બાહ્ય  પર્યાવ૨ણ ઉપર ધંધાકીય એકમોનો કોઈ પણ અંકુશ હોતો નથી, પરંતુ આ ઘટકો ગ્રાહકોને સીધી અસર કરે છે.

આ માર્કેટિંગ મિશ્રમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે જેને માર્કેટિંગ મિશ્ર 4 P તરીકે ઓળખવામાં આવે છે. (1) પેદાશ (Product) (2) કિંમત (Price) (3) વિતરણ (Place) (4) અભિવૃદ્ધિ (Promotion)


પેદાશ (Product) : 

  • પેદાશ એ માલ કે સેવા સ્વરૂપે હોઈ શકે જે ગ્રાહકોની જરૂરિયાત સંતોષી શકે.
  • પેદાશ એ માર્કેટિંગ કાર્યનું ઉદભવ બિંદુ છે. જેના દ્વારા ગ્રાહક પોતાની જરૂરિયાતો સંતોષી શકે છે. તેથી પેદાશ એ બજારીય સંચાલનની પ્રક્રિયાનુ હાર્દ છે.

ખ્યાલ (Concept) :

  • પેદાશ મિશ્ર પેદાશને લગતા જુદા-જુદા નિર્ણયોનો સમાવેશ થાય છે.
  • ગુણધર્મો, પેકેજિંગ, બ્રાન્ડિંગ, લેબલિંગ અને વેચાણ પછીની સેવાઓનો સમાવેશ થાય છે.
  • પેદાશ મિશ્રમાં ગ્રાહકોની જરૂરિયાત સંતોષવા માટેની બધી જ પ્રવૃત્તિઓનો સમાવેશ થઈ જાય છે.
  • તેમાં નવી પેદાશ બજારમાં મુકવી, પેદાશમાં જરૂરી ફેરફારો કરવા, વેચાણ પછીની સેવાઓ આપવી, પેદાશના સંદર્ભમાં ફરિયાદોનું નિવારણ કરવું વગેરે બાબતોનો સમાવેશ થાય છે.
  • પેદાશ મિશ્રમાં આ ઉપરાંત બ્રાન્ડિંગ, પેકેજીંગ, ટ્રેડમાર્ક વગેરે મૂળભૂત પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે


બ્રાન્ડિંગ (Branding):

અર્થ (Meaning} :

  • દરેક ઉત્પાદક માટે પોતાની પેદાશ હરિફોની પેદાશથી અલગ પાડવા માટે બ્રાન્ડિંગ જરૂરી છે.
  • બ્રાન્ડિંગ ઉત્પાદકની પ્રતિષ્ઠા ઘડે છે અને ગુણવત્તાની ખાતરી આપે છે. આ માટે ઉત્પાદક પોતાની પેદાશ ઉપર કોઈપણ નામ, સંજ્ઞા, ચિત્ર કે નબર આપે છે તેને નિશાની તરીકે ઓળખવામાં આવે છે. ચોક્કસ નિશાનીવાળો માલ ગ્રાહકો સહેલાઇથી ઓળખી જાય છે; 
  • દરેક પેદાશને નામ આપવામાં આવે છે જે બ્રાન્ડ તરીકે ઓળખાય છે. આ બ્રાન્ડને કાયદાકિય માન્યતા મળતા ૨ક્ષણ મળે છે અને ટ્રેડમાર્ક કર્યું કહે છે.
  • આ બ્રાન્ડ પેદાશને આગવી ઓળખ આપે છે;  પેદાશનું નામ નક્કી કરવામાં આવે ત્યારે પેદાશના ગુણધર્મો ને ધ્યાનમાં લેવામાં આવે છે.
  • પેદાશનું નામ કોઈ ચોક્કસ અર્થસભર  અને જલ્દી યાદ રહી જાય તેવું રાખવામાં આવે છે. નામ અને નિશાની નક્કી કરવામાં ઘણીવાર સંસ્થાની ફિલસૂફી  ધ્યાનમાં લેવાય છે.

વ્યાખ્યા (Definition) : 

જયારે ઉત્પાદક અન્ય ઉત્પાદકોના માલથી પોતાના માલને અલગ પાડવા, પેદાશને સરળતાથી ઓળખી શકે અને માલની અન્ય વ્યક્તિઓ નકલ ન કરી શકે તે માટે જે  નામ , સંજ્ઞા, ચિત્ર, નંબર,કે આમાંનું બધું જ આપવામાં આવે તેને બ્રાન્ડિંગ કહે છે.


બ્રાન્ડિંગની લાક્ષણિકતાઓ (Features) :

(1) બ્રાન્ડિંગ દ્વારા ગ્રાહકો તે પેદાશમાં ગુણવત્તાના સાતત્યનો અનુભવ થાય છે.

(2) નિશાની કરવામાં ઘણા બધા રંગોનો ઉપયોગ થાય છે. ખાસ ડિઝાઈન અને આ રંગો નક્કી કરેલી સંજ્ઞાના  ઉપયોગમાં લેવામાં આવે છે.

(3) એકમે નક્કી કરેલી સંજ્ઞા પેદાશના પેકિંગ ઉપર પણ મૂકવામાં આવે છે. 

(4) એકમની બ્રાન્ડ સામાન્ય રીતે પેદાશના ગુણધર્મો, ફાયદાઓ, ઉપયોગો, વ્યક્તિત્વ અને સંસ્કૃતિને રજૂ કરે છે.

(5) નિશાની એ પેદાશોની આગવી ઓળખ છે.

(6) નિશાની એ પેદાશની મૌખિક અને દશ્ય ઓળખ છે.

(7) નિશાનીવાળો માલ ઉત્પાદક ઊંચી કિંમતે બજારમાં વેચી શકે છે.

(8) વેચાણકર્તાઓ નિશાની કરેલો માલ ઝડપથી વેચી શકે છે કારણ કે ગ્રાહકોને નિશાનીવાળા માલ ઉપર વધુ ભરોસો હોય છે.

બ્રાન્ડિંગ ની લાક્ષણિકતાઓ

  • પેદાશમાં ગુણવત્તા સાતત્યનો  અનુભવ.
  • ખાસ ડિઝાઇન અને નક્કી કરેલી સંજ્ઞાનો ઉપયોગ
  • પેકિંગ પર નક્કી કરેલી સંજ્ઞા 
  • પેદાશના ગુણધર્મો ફાયદા ઉપયોગ સંસ્કૃતિ દર્શાવે
  •  વિશિષ્ટ ઓળખ
  • મૌખિક અને દ્રશ્ય ઓળખ
  • ઊચી કિંમતથી વેચી શકાય
  • ગ્રાહકોને નિશાની કરેલ માલ પર વધુ વિશ્વાસ.


લેબલિંગ (Labeling) :

ખ્યાલ : લેબલિંગ પેદાશને અનુરૂપ સવિસ્તાર માહિતી દર્શાવતો કાગળનો ટુકડો છે જે પ્રાથમિક પેકિંગ ઉપર ચોંટાડવામાં આવે છે.

  • લેબલ સામાન્ય રીતે પેદાશ વિશેની બધી માહિતી સવિસ્તાર દર્શાવે છે.તેમાં પેદાશનું વજન, માપ, કિંમત, ઉત્પાદનની તારીખ, તેમાં વપરાતાં તત્વો, વપરાશની અંતિમ તારીખ વગેરે બાબતો દર્શાવવામાં આવે છે.
  •  લેબલ વપરાશકારને મદદરૂપ થાય છે. પેદાશનો ઉપયોગ કેવી રીતે કરવો તે લેબલમાં જ દર્શાવેલું હોય છે.
  • આ ઉપરાંત ઘણીવાર પેદાશનું પેકિંગ ખોલવા માટે પણ લેબલમાં જ સૂચના આપેલી હોય છે.

દરેક લેબલમાં પેદાશની  બ્રાન્ડનું નામ હોવું જરૂરી છે. કેટલાક ઉત્પાદકો લેબલ ઉપર ગ્રાહક ફરિયાદ નિવારવા માટે મફત ફોન સુવિધા માટેનો નંબર પણ આપે છે.

કાર્યો :-લેબલિંગના ઉપયોગો

(1) પેદાશને ઓળખવામાં મદદ કરે છે.

(2) પેદાશને ગુણવત્તા અને પ્રકાર વિશે પૂરી માહિતી આપે છે.

(3) વપરાશકારને પેદાશ વિશે મહત્વની માહિતી પૂરી પાડે છે.

(4) વપરાશકારોને પેદાશ કેવી રીતે ઉપયોગમાં લેવી તે રીતે સમજાવે છે.

(5) પેદાશ માટે આકર્ષણ ઊભું કરે છે અને તે તેની જાહેરાત માટે અને વ્યક્તિગત સેવા માટે પણ મદદરૂપ થાય છે.

(6) તે સંસ્થાની કાયદાકીય અને નીતિવિષયક જરૂરિયાત સંતોષે છે.

લેબલિંગ ના ઉપયોગો

પેદાશ ઓળખવામાં મદદરૂપ,પેદાશની ગુણવત્તા પ્રકારની માહિતી,પેદાશની મહત્વની માહિતી,પેદાશ નો ઉપયોગ કેવી રીતે, પેદાશનું આકર્ષણ ,કાયદાકીય નીતિવિષયક જરૂરિયાત સંતોષે.


પેકેજિંગ (Packaging) : 

  • પેકેજિંગ વસ્તુઓને સજાવવાનું કાર્ય કરે છે.
  • પેકેજિંગ તરીકે પ્લાસ્ટિકની કોથળી, કપડાની થેલી, કાગળનાં ખોખાં, પ્લાસ્ટીકનાં પીપ વગેરે વસ્તુ વાપરવામાં આવે છે.
  • ઘણી બધી પેદાશોની સફળતાનો આધાર તેના પેકિંગ ઉપર રહેલો છે. પેકિંગ એ પેદાશને રક્ષણ આપતું કાર્ય છે.
  • પેદાશ પેકિંગ હમેંશા જરૂરી છે, પેદાશ વધુ આકર્ષક બને છે. પેકિંગના કારણે માલની હેર-ફેર કરવામાં સુવિધા રહે છે.

પેદાશના પેકીંગને કારણે પેદાશ વધુ સારી રીતે ઉપયોગમાં લઈ શકાય છે. પેકિંગનો ઉપયોગ જાહેરાત તરીકે પણ કરવામાં આવે છે.


કિંમત (Price) :

ધંધાકીય એકમ માટે પેદાશની કિંમત નક્કી કરવાનો નિર્ણય મહત્ત્વનો હોય છે. બજારમાં વેચનાર અને ખરીદનાર બંને માટે કિંમત મહત્ત્વની બાબત ગણાય છે.

ખ્યાલ (Concept) :

કિંમત એટલે ગ્રાહક દ્વારા માલ કે સેવા માટે ભૌતિક, આર્થિક, સામાજિક અને માનસિક સંતોષ માટે ચૂકવવામાં આવતું મૂલ્ય છે.

કિંમત એ પેદાશ કે સેવાનું આર્થિક મૂલ્ય છે, જે સામાન્ય રીતે નાણામાં દર્શાવાય છે.


કિંમતને અસર કરતાં પરિબળો (Factors Affecting Pricing):

 

(1) પેદાશની પડતર :-

કિંમત નિર્ધારણમાં સૌથી મહત્ત્વની બાબત જે-તે પેદાશની પડતર છે. પેદાશની પડતરમાં કાચા માલની પડતર, ઉત્પાદન ખર્ચ, વહીવટી ખર્ચ અને વેચાણ વિતરણ ખર્ચાઓ, વગેરેનો સમાવેશ થાય છે. કોઈપણ સંજોગોમાં પેદાશની કિંમત તેની પડતર કરતા ઓછી ન રાખી શકાય.

(2) પેદાશની માગ :-

પેદાશની માંગ અને પેદાશની કિંમત સીધી રીતે સંકળાયેલાં છે. પેદાશની માંગ પર ગ્રાહકોની રુચિ, ખરીદનારાઓની સંખ્યા, તેમની ખરીદશક્તિ, હરીફોની સંખ્યા વગેરે બાબતો અસર કરે છે.

(3) બજારમાં હરીફાઈ : 

બજારમાં હરીફાઈનું પ્રમાણ પેદાશની કિંમત ઉપર સીધી અસર કરે છે. જેમ હરીફાઈ વધુ  અને હરીફોની સંખ્યા પણ વધુ તેમ ઉત્પાદક હરીફાઈયુક્ત કિંમત રાખે છે.

(4) સરકારી અને કાયદાકીય અંકુશો : 

જે ધંધાકીય એકમ બજારમાં ઇજારાશાહી ભોગવતું હોય તે સામાન્ય રીતેવધુ કિમત વસૂલે છે. આવાં ધંધાકીય એકમો ઉપર સરકાર જાહેર જનતાના હિત માટે અંકુશ મુકે છે.

(5) ઉદેશ આધારિત કિંમત નક્કી કરવી :

મહત્તમ નફો : જ્યારે ઈજારાશાહી જેવી સ્થિતિ હોય અને ધંધાકીય એકમે ઘણા બધા સંશોધન ખર્ચ પછી પેદાશ બજારમાં મૂકી હોય ત્યારે પોતાના ખર્ચા વસુલ કરવા અને મહત્તમ નફો મેળવવા આ ઉદેશ્ય  રાખવામાં આવે છે.

બજારમાં મોખરાનું સ્થાન મેળવવા : ઘણીવાર બજાર હિસ્સામાં મોખરાનું સ્થાન મેળવવા માટે પેદાશની કિંમત ઘણી જ ઓછી રાખવામાં આવે છે. 

હરીફાઈમાં ટકવા માટે : હરીફોની સંખ્યા વધુ હોય અને તીવ્ર હરીફાઈમાં ટકવા માટે હરીફોની પેદાશ જેટલી જ કે તેનાથી ઓછી કિંમત રાખવા માટે ધંધાકીય એકમ તૈયાર થઈ જાય છે. 

(6) આર્થિક સ્થિતિ :

 દેશની પ્રવર્તમાન આર્થિક સ્થિતિ પેદાશની કિંમત નિર્ધારણ માટે મહત્ત્વનો ભાગ ભજવે  છે. જો દેશની આર્થિક સ્થિતિ સારી હોય તો કિંમત વધુ રાખવામાં આવે છે અને જો બજારમાં ધીમાં આર્થિક વિકાસને કારણે મંદીની સ્થિતિ હોય તો તે મુજબ પેદાશોની કિંમતમાં ઘટાડો જોવા મળે છે.

(7) ખરીદ વર્તણૂક :

ગ્રાહકોની વર્તણૂંક પેદાશની કિંમત નિર્ણય માટે મહત્ત્વની ગણવામાં આવે છે. ગ્રાહક વર્તણૂકમાં ગ્રાહકોની ટેવો, સામાજિક, સાંસ્કૃતિક, વ્યક્તિગત અને આર્થિક પરિબળો ભાગ ભજવે છે.

પેદાશ ની કિંમત ને અસર કરતા પરિબળ

પેદાશની પડતર માંગ બજાર હરિફાઈ સર કાય અંકુશ ઉદ્દેશ આધારિત કિંમત ( મહ બજાર હરી) આર્થિક સ્થિતિ ખરીદ વર્ત PKP છે.

વિતરણ (Place / Distribution) :-

ખ્યાલ (Concept) :

તૈયાર માલ ગ્રાહકોને જયારે જોઈએ, જેટલો જોઈએ અને જ્યાં જોઈએ ત્યારે ત્યાં પહોંચાડવાની વ્યવસ્થાને વિતરણ વ્યવસ્થા કહે છે.

  • ઉત્પાદક ગ્રાહક સાથે સીધા સંપર્કમાં આવી શકતો નથી, પરંતુ જુદા-જુદા મધ્યસ્થીઓ દ્વારા ઉત્પાદક ગ્રાહકોને મળી શકે છે.
  • દા. ત., કા૨નું , ઉત્પાદન કરતી કોઈ કંપની વેચાણ માટે સમગ્ર ભારતમાં તેના વિતરકોની નિમણૂક કરે છે. આમ, વિતરણ વ્યવસ્થા, વસ્તુઓનો પ્રકાર અને ગ્રાહકોની સંખ્યાને આધારે, ચોક્કસ ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખીને ગોઠવવામાં  આવે છે. 

 

અભિવૃદ્ધિ (Promotion) :

ખ્યાલ (Concept) :

  • અભિવૃદ્ધિ એ બજાર મિશ્રનું મહત્ત્વનું અંગ છે. અભિવૃદ્ધિમાં વર્તમાન ગ્રાહકો અને સંભવિત ગ્રાહકોને નવીન પેદાશ વિશે માહિતી આપવાનું કાર્ય કરવામાં આવે છે.
  • અભિવૃદ્ધિની પ્રક્રિયામાં ઉત્પાદક ગ્રાહકને પેદાશ ખરીદવા વિશે સમજાવવાનો પ્રયાસ કરે છે. અને તેના કારણે સંભવિત ગ્રાહક ખરેખર ગ્રાહક બની જાય છે.
  • ગ્રાહકને પેદાશ માટે આકર્ષણ ઊભું કરવાનું કાર્ય અભિવૃદ્ધિ કરે છે. અભિવૃદ્ધિ દ્વારા પેદાશની માંગમાં વધારો કરી શકાય છે અને ધંધાકીય એકમ સારી છાપ ઉભી કરે છે.

તત્વોનો પરિચય : 

  • અભિવૃદ્ધિ મિશ્ર એ એવાં અભિવૃદ્ધિનાં સાધનોનો સમૂહ છે જેનો ઉપયોગ એકમ દ્વારા ગ્રાહકને પેદાશ કે સેવાની જાણકારી પૂરી પાડવાનો છે અને અભિવૃદ્ધિમાં ગ્રાહકોને માલ કે સેવા ખરીદવા માટે આગ્રહ કરવાનો છે. અભિવૃદ્ધિ મિશ્રમાં જાહેરાત, અંગત વેચાણ, વેચાણ વૃદ્ધિ અને પ્રસિદ્ધિનો સમાવેશ થાય છે.

 

  • દરેક ધંધાકીય એકમ અભિવૃદ્ધિનાં સાધનોનો ઉપયોગ જુદા-જુદા પ્રમાણમાં કરે છે. ગ્રાહકોની ખરીદી કરવાનો અભિગમ, પેદાશનો પ્રકાર, પેદાશની કિંમત વગેરે બાબતો ધ્યાનમાં લઈને જ અભિવૃદ્ધિ મિશ્ર નક્કી કરવામાં આવે છે.



જાહેરાત (Advertisement) :

ખ્યાલ (Concept) : 

ઉત્પાદક પોતાની પેદાશ કે સેવાની જાણકારી જાહેર જનતાને આપવા માટે જુદાં-જુદાં માધ્યમોનો ઉપયોગ કરે છે.

આમ કહી શકાય કે જાહેરાત એ અભિવૃદ્ધિનું સૌથી વધુ પ્રચલીત મહત્ત્વનું અને સ્વીકાર્ય સાધન છે.

વ્યાખ્યા (Definition) :

જાહેરાત એ બિનવ્યક્તિગત રજુઆતનું ચુકવણીના આધારે પેદાશ કે સેવાને ૨જુ ક૨તું માધ્યમ છે.

જેમાં જાહેરાત આપનારની ઓળખ સહેલાઈથી થઈ જાય છે. જાહેરાત દ્વારા જે પેદાશની માંગ ઓછી હોય તેને  જરૂરી વેગ આપી શકાય છે.

જાહેરાત ટીવી., રેડિયો, વર્તમાનપત્ર, મેગેઝિન, ઇન્ટરનેટ વગેરે દ્વારા આપી શકાય છે.



બજારીય સંચાલનમાં જાહેરાતની ભૂમિકા (જાહેરાતના કાર્યો) (Role (Functions) of Advertisement)

(1) માંગ ઊભી કરે છે : 

જાહેરાત દ્વારા પેદાશ કે સેવાની પ્રાપ્યતાની જાણ જાહેર જનતાને કરવામાં આવે છે. જાહેરાત દ્વારા પેદાશ વિશેની જાણકારી વધતાં પેદાશની માંગ વધે છે. જાહેરાત દ્વારા પેદાશના  જુદા-જુદા ઉપયોગોની જાણકારી ગ્રાહકોને આપવામાં આવે છે. દા. ત., કોલ્ડ કોફી. જયારે બજારમાં નવીન પેદાશ મુકવામાં આવે ત્યારે જાહે૨ાત અનિવાર્ય બની જાય છે. 

(2) મોટા પાયા પર ઉત્પાદનના લાભ : 

જાહેરાત દ્વારા વિશાળ પ્રમાણમાં ગ્રાહકો સુધી પહોંચી શકાય છે અને  તેને કારણે જાહેરાતના ખર્ચના પ્રમાણમાં ધંધાકીય એકમ પ્રમાણમાં લાભ મેળવે છે.

(3) પેદાશની જાણકારી : 

જાહેરાત દ્વારા સંભવિત ગ્રાહકોને પેદાશોની માહિતી આપવામાં આવે છે અને સંભવિત ગ્રાહકોને પેદાશના લાભ પણ જણાવવામાં આવે છે. ઘણીવાર નવી પેદાશનો ઉપયોગ કેવી રીતે કરવો તેની જાણ ગ્રાહકને હોતી નથી. આથી તે જાહેરાત દ્વારા સમજાવાય છે.

(4) રોજગારી ઉભી કરવામાં મદદરૂપ : 

જાહેરાતના કારણે પેદાશ કે સેવાના માગમાં વધારો થાય છે. આમ,આ પેદાશોનું વધુ ઉત્પાદન થતાં રોજગારીની તકો સહેલાઈથી ઊભી થાય છે. આ ઉપરાંત જાહેરાત ઉદ્યોગમાં કામ કરતા કોપીરાઇટ્સ, જાહેરાત વિતરકો, ફિલ્મ બનાવવા વાળા વ્યક્તિઓ વગેરે વ્યક્તિઓને રોજગારી મળી રહે છે.

(5) જીવન-ધોરણમાં સુધારો : 

જાહેરાતને કારણે ઉત્પાદકો વધુ સારી પેદશો વિશે ગ્રાહકોને જાણકારી આપે છે.જેના કારણે ગ્રાહકો વધુ સારી વસ્તુઓ કે સેવાઓ વાપરે છે. નવીન કે આધુનિક પેદાશ વાપરવાને કારણે ગ્રાહકોના જીવન ધોરણમા ઘણો જ સુધારો જોવા મળે છે. રોજબરોજના કાર્યો સરળતાથી થઈ શકે છે. 

(6) વેચાણ જથ્થામાં જાળવણી : 

સતત જાહેરાત કરવાથી ગ્રાહકના માનસપટ પર પેદાશ છવાયેલી રહે છે.આ કારણે ગ્રાહક જ્યારે ખરીદી કરવા જાય ત્યારે જાહેરાતવાળી પેદાશ ઉપર ત્વરીત પસંદગી ઉતારે છે અને ઉત્પાદકના માલનું વેચાણ જળવાઈ રહે છે.

બજારીય સંચાલનમાં જાહેરાત ની ભૂમિકા

સૂત્ર: માંગ ઉભી મોટાપાયા પર પેદાશની રોજગારી જીવનધોરણમાં વેચાણ.



 જાહેરાત સામે વિરોધ (Objections Against Advertisement):-

(1) જાહેરાત એ ખરેખર અભિવૃદ્ધિનું અવિભાજ્ય અંગ છે, પરંતુ ઘણીવાર જાહેરાતને કારણે આડઅસરો ઉદભવે  છે. જાહેરાતને કા૨ણે ગ્રાહક પેદાશ તરફ આકર્ષાય છે અને પેદાશ ખરીદી લે છે. ગ્રાહક આ સમયે એ નથી વિચારતો કે તેને પેદાશોની ખરેખર જરૂરિયાત છે કે નહિ, બિનજરૂરી ખર્ચ એ સામાજિક દુષણ છે.

(2) ઉચ્ચ વર્ગની વધુ ખરીદીને કારણે સમાજનો નીચલો વર્ગ લઘુતા ગ્રંથિથી પિડાય છે.

(3) જાહેરાત એ ખર્ચાળ પ્રવૃત્તિ છે. ઘણીવાર ધંધાકીય  એકમો મોટાપાયે જાહેરાત કરે છે અને તે જાહેરાતનો ખર્ચ પેદાશની વેચાણ કિંમતમાંથી જ મેળવે છે. આથી પેદાશ ગ્રાહકોને ઘણા જ ઊંચા ભાવે વેચવામાં આવે છે.

(4) ગ્રાહકોને લોભાવવા અને હરીફોને નીચા દેખાડવાની કામગીરી પણ ઘણીવાર જાહેરાત કરીને ગ્રાહકોને  ગેરમાર્ગે દોરવામાં આવે છે. 

(5) ઓછી ગુણવત્તાવાળી પેદાશ પણ જાહેરાત દ્વારા આકર્ષણ ઊભું કરીને ગ્રાહકને પધરાવી દેવામાં આવે છે.

(6) કેટલીકવાર જાહેરાતમાં અરુચિકર વિષય-વસ્તુ દર્શાવવામાં આવે છે.

(7) કેટલીકવાર જાહેરાત દ્વારા ગ્રાહકોને બીડી, સિગારેટ, દારૂ, પાન મસાલા વગેરે અંગે માહિતી મળે છે જે લાંબા ગાળે વ્યસનમાં પરિણમે છે.

(8) એક સરખો માલ બનાવતી કંપનીઓ મોટા પાયા પર જાહેરાત કરે છે. તેમ બીજી કંપનીએ  પણ જાહેરાત કરવી પડે જે ખોટી હરીફાઇને ઉત્તેજન આપે છે.

(9) જાહેરાતમાં ઘણી વખત અતિશયોક્તિ ભર્યા વિધાન દ્વારા છેતરપિંડી કરવામાં આવે છે.



વ્યક્તિગત વેચાણ (Personal selling) :-

ખ્યાલ (Concept) : 

જાહેરાત દ્વારા ધંધાકીય એકમ પેદાશની જાણકારી ગ્રાહકને પહોચાડે છે, તેના દ્વારા વ્યક્તિ ઉપર જોઈએ તેવી અસર થતી નથી. 

વ્યક્તિગત વેચાણને કારણે સંભવિત ગ્રાહકને પેદાશમાં વિશ્વાસનું સંપાદન થાય છે.

વ્યક્તિગત વેચાણનો અર્થ (Meaning) : કોટલરના જણાવ્યા મુજબ, “વેચાણકર્તા એ એક એવી વ્યક્તિ છે કે જે ધંધાકીય એકમનું પ્રતિનિધિત્વ સંભવિત ગ્રાહકોને કરે છે અને તેનું કાર્ય સંભવિત ગ્રાહકોને પેદાશ વિશેની માહિતી આપવી, પેદાશનું નિદર્શન કરવું, પેદાશના ઉપયોગો જણાવવા અને શંકાઓનું સમાધાન કરવાનું હોય છે. વ્યક્તિગત વેચાણ દ્વારા ધંધાકીય એકમો ગ્રાહકો સાથે એક ચોક્કસ પ્રકારનો સંબંધ ઊભો કરે છે.”

સારા વેચાણકર્તાની લાક્ષણિકતાઓ (Characteristics of Good Salesman) : 

  • દરેક પેદાશને વ્યક્તિગત વેચાણની જરૂરિયાત રહે છે.
  • વેચાણકર્તા હંમેશાં સંભવિત ગ્રાહકોને શોધી કાઢે છે. પેદાશ નિદર્શન દરમિયાન થતી વાતચીત અને પેદાશ વિશેની જાણકારી સંભવિત ગ્રાહકને, ખરેખર-ગ્રાહકમાં ફેરવી નાંખે છે.
  • વ્યક્તિગત વેચાણ દ્વારા વેચાણકર્તા ગ્રાહકોની ફેશન, ટેવ, વલણ, અભિરુચિ વગેરે બાબતોથી માહિતગાર થાય છે. આ માહિતી બજારીય સંચાલક માટે ઘણી જ જરૂરી બની જાય છે.

(1) વેચાણકર્તા દેખાવે સ્માર્ટ/ચાલાક, વાચાળ અને તંદુરસ્ત હોવો જોઈએ.

(2) વેચાણકર્તા  વાતચીતમાં કુશળ, બુદ્ધિ-ચાતુર્યથી ભ૨પુ૨ અને આવડતવાળો હોવો જોઈએ.

(3) વેચાણકર્તામાં  સૌથી વધુ મહત્વની બાબત તેના સંભવિત ગ્રાહકો સાથે વાતચીત કરવાની કુશળતા, નવી પેદાશ  રજુ કરવાની શૈલી અને ગ્રાહકને સમજવાની આવડત છે.

(4) વેચાણકર્તા જે પેદાશની રજુઆત સંભવિત ગ્રાહકોને કરે, તે પેદાશ અંગેની બધી જ ટેકનિકલ માહિતી તેની પાસે હોવી જોઈએ.

(5) પ્રામાણિકતા એ વેચાણકર્તા માટે જરૂરી ગુણ કહી શકાય, વેચાણકર્તા પ્રમાણિક અને સારા ચારિત્ર્યવાળો હોવો જોઈએ. એ પોતાના કામ પ્રત્યે ગંભીર અને નિયમિત હોવો જોઈએ.

(6) વેચાણકર્તા તેના ધંધાકીય એકમના પ્રતિનિધિ તરીકે રજૂ થાય છે. આથી તે વિનમ્ર હોવો જોઈએ. વેચાણકર્તાની વર્તણૂંકના આધારે જ તેના ધંધાકીય એકમ વિશે છાપ ઊભી થાય છે.

(7) આદર્શ વેચાણકર્તા સતત ઉત્સાહી, શિસ્તબદ્ધ અને મહત્ત્વાકાંક્ષી હોવો જોઈએ.

વેચાણકર્તા ની લાક્ષણિકતાઓ: 

  • વેચાણકર્તા દેખાવે સ્માર્ટ વાચાળ તંદુરસ્ત 
  • વાતચીતમાં કુશળ બુદ્ધિચાતુર્ય અને આવડત વાળો
  • ગ્રાહક સાથે વાતચીત કરવાની કુશળતા શૈલી અને આવડત
  • પેદાશ અંગેની ટેકનીકલ માહિતી
  • પ્રમાણિક સારા ચારિત્ર્ય વાળો 
  • વિનમ્રતા વાળો 
  • ઉત્સાહી શિસ્તબદ્ધ


વેચાણ-વૃદ્ધિ (Sales Promotion) :

ખ્યાલ (Concept) : 

વેચાણ-વૃદ્ધિ એ જાહેરાત અને વ્યક્તિગત વેચાણ સાથે ઉપયોગમાં લેવામાં આવતું અભિવૃદ્ધિનું મહત્વનું અંગ છે.

વેચાણ-વૃદ્ધિની વ્યાખ્યા (Definition) : 

કોટલરના જણાવ્યા મુજબ, “વેચાણ-વૃદ્ધિ એ ટૂંકા ગાળાના એવા લાભો છે, જે ગ્રાહકોને માલ કે સેવા ખરીદી કરવા માટે પ્રોત્સાહિત કરે છે, વેચાણ વૃદ્ધિ ગ્રાહકોને ત્વરિત અસર કરે છે.”


વેચાણ-વૃદ્ધિની પ્રયુક્તિઓ (Sales Promotion Techniques) :

(1) વળતર : 

જ્યારે પેદાશ ખરેખર વેચાણ કિંમત કરતાં ઓછી કિંમતે મર્યાદિત સમય માટે જ આપવામાં આવે છે તેને વળતર આપ્યું કહેવાય જેને સાદી ભાષામાં ‘સેલ’ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આવી પ્રયુક્તિ ધંધાકીય એકમોના આખર સ્ટોક ઘટાડવા માટે કરવામાં આવે છે.

(2) વટાવ : 

ભાવપત્રકની કિંમત અમુક ટકા રકમ ઓછી લેવામાં આવે તો તેને વટાવે કહે છે. ઘણીવાર ઉત્પાદકો પોતાના ક્ષતિવાળોમાલ વટાવે વેચી દે છે. આના કારણે ગ્રાહકો ઝડપથી આકર્ષાઈ જાય છે.

(3) જાહેરાતની કુપન : 

આ પ્રયુક્તિમાં બજાર કરતા જાહેરાતની અસરની અસરકારકતા ચકાસે છે અને ગ્રાહકોને  લાભ પણ આપે છે. આ પ્રયુક્તિમાં ગ્રાહક જાહેરાતનું કટિંગ અથવા ખાલી પેકિંગ વિતરકને આપવાનું રહે છે. જેના બદલામાં ગ્રાહકને અમુક ખરીદી પર અમુક ચોક્કસ રકમ બાદ આપવામાં આવે છે.

(4) ભેટ : ઘણીવાર પેદાશની ઉપરના જથ્થા તે જ પેદાશ મફત આપવામાં આવે છે. દા. ત., સાબુની  ખરીદી પર એક સાબુ મફત આપવાની ધંધાકીય એકમ જાહેરાત કરે. ઘણીવાર પેદાશની કિંમત એ જ રાખીને પેદાશના જથ્થામાં વધારો કરવામાં આવે છે. દા. ત., સેવિંગ ક્રિમનો 20 % વધુ જથ્થો પેદાશની એજ કિમતે આપવામાં આવે છે.

(5) અન્ય પેદાશની ભેટ :

ગ્રાહકની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ઘણીવાર મુખ્ય પેદાશની સાથે ગૌણ પેદાશ મફત આપવામાં આવે છે. દા. ત, ટૂથપેસ્ટની સાથે ટૂથબ્રશ મફત આપવામાં આવે છે. ઘણીવાર મુખ્યપેદાશની સાથે કોઈ પણ સંબંધ ન ધરાવતી પેદાશોની ભેટ આપવામાં આવે છે. દા. ત., ચાર સાબુની સાથે એક બોલપેન મફત આપવાની જાહેરાત કરવામાં આવે છે.

(6) ઇનામી ડ્રો : 

આ પ્રયુક્તિમાં ગ્રાહકને એક કુપન કે કોડ, પેદાશ સાથે આપવામાં આવે છે.સમયના અંતે આવી બધી જ કુપનોનો ડ્રો કરવામાં આવે છે અને વિજેતાઓને ઈનામમાં વસ્તુઓ આપવામાંbછે. દા. ત., ભારત પેટ્રોલિયમ પોતે પેટ્રોલના ₹200/-થી વધુ રકમની ખરીદી કરનારા ગ્રાહકોને ઇનામી ડ્રોની કુપન આપે છે.


(7) વગર વ્યાજે લોનની સુવિધા : 

જ્યારે પેદાશોની કિંમત વધારે હોય અને ગ્રાહક એક સામટી ચુકવી શકે તેમ ન હોય ત્યારે આ પ્રયુક્તિનો ઉપયોગ થાય છે. દા. ત., ટેલિવિઝન ખરીદવા માટે વગર વ્યાજની લોનની સુવિધા  આપવામાં આવે. ગ્રાહક નજીવી રકમ ચૂકવી પેદાશનો ઉપયોગ શરૂ કરી શકે છે.

(8) નમૂનાનું વિતરણ : 

ઘણીવાર ખાદ્ય પદાર્થ કે નજીવી કિંમત વસ્તુઓ માટે નમૂનાનું વિતરણ કરવામાં આવે  છે. સામાન્યરીતે આ વિતરણ ગ્રાહકોને પેદાશનો અનુભવ આપવા માટે જ કરવામાં આવે છે. શેમ્પૂ, સાબુ, તેલ વગેરે પેદાશોનું  નાના પેકિંગનું મફત નમૂના તરીકે વિતરણ કરવામાં આવે છે.

(9) સ્પર્ધાનું આયોજન :

ઉત્પાદકો પોતાના સંભવિત ગ્રાહકોને એક સામટી નવી પેદાશોનો અનુભવ કરાવવા અથવા એક સામટા બધા ગ્રાહકોને મળવા માટે સ્પર્ધાનું આયોજન કરે છે, દા. ત., ચિત્રકામના રંગ બનાવતું ધંધાકિય એકમ નવા રંગો બજારમાં મુકતાં પહેલાં તેના ગ્રાહકો વિશેની બધી જ માહિતી મેળવવા તે બાળકોની ‘રંગપૂર્તી’ સ્પર્ધા યોજે  છે. સ્પર્ધાના વિજેતાને નવીન પેદાશ ભેટ આપવામાં આવે છે.

વેચાણ વૃદ્ધિ ની પ્રયુક્તિઓ સમજાવો

સૂત્ર: વળ  વટાવ જાકુ ભેટ  અન્ય પેભેટ ઈડ્રો લોનસુવિધા નમૂનાનું સ્પર્ધાઓનું આયોજન vv ની પ્રયુક્તિઓ.


 પ્રસિદ્ધિ અને જાહેર સંપર્ક (Publicity and Public Relation) :

પ્રસિદ્ધિનો ખ્યાલ (Concept of Publicity) : 

પ્રસિદ્ધિ એ એવો બિનવ્યક્તિગત માહિતી સંચાર છે જે ચુકવણું કર્યા વગર સમૂહ માધ્યમો દ્વારા કરવામાં આવે છે.

પ્રસિદ્ધિમાં લોકોને આપેલું સંબોધન / ભાષણ, કોઈ ટેલિવિઝનની ચેનલ કે વર્તમાનપત્રને આપેલો વાર્તાલાપ, સખાવતી સંસ્થાને આપેલું દાન, ફિલ્મ સ્ટાર કે ક્રિકેટર દ્વારા નવી ઑફિસનુ ઉદઘાટન વગેરે બાબતોનો સમાવેશ થાય છે.

જાહેર સંપર્કનો ખ્યાલ (Concept of Public Relation) : 

જાહેર સંપર્કનો મુખ્ય ઉદેશ્ય ધંધાકીય એકમના બધા જ સહભાગીઓ અને સંબંધીત વર્ગો સાથે સાનુકૂળ સંબંધો જાળવવાનો અને વિકસાવવાનો છે. એકમ પોતાની પ્રતિષ્ઠા જાળવવા માટે જાહેર સંપર્કનો ઉપયોગ કરે છે.

જાહેર સંપર્ક એવી પ્રવૃત્તિઓનો સમૂહ છે, જેની રચના અથવા આલેખન એવી રીતે કરવામાં આવે કે ધંધાકીય એકમની સારી છાપ તેના સહભાગીઓ તરફ ઊભી કરી શકાય કે જાળવી શકાય.

 

જાહેર સંપર્કમાં નીચેની પ્રવૃત્તિનોનો સમાવેશ થાય છે :

(1)ધંધાકીય એકમ વિશેના  સમાચાર વર્તમાનપત્રમાં આપવા.

 (2) ધંધાકીય  એકમના વડાનું ભાષણ અને તેની પ્રસિધ્ધિ કરવી,

(3) સેમિનાર, પરિસંવાદ, સ્પર્ધા કે રમતગમતનું આયોજન કરવું.

(4) એકમનું સમાચારપત્ર બહાર પાડવું.

(5) એકમ તરફથી જાહેર હિતના  કર્યો કરવા અને સમાજ સમક્ષ મુકવાં.

(6) સામાજિક કે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવું.


જાહેર સંપર્કની ભૂમિકા  (Functions of Public Relation):-

(1)વર્તમાન પત્રો સાથે સારા સંબંધો ધંધાકીય એકમની સારી છાપ ઉભી કરવા માટે જરૂરી છે. વર્તમાનપત્રો સાથેના સારા સંબંધો  સંસ્થાકીય અને સંસ્થાની પેદાશોની જાણકારી સમાજને પહોંચાડવા માટે ઉપયોગી થઈ શકે છે. 

(2) જ્યારે ધંધાકીય એકમ નવીન પેદાશનું ઉત્પાદન કરે અથવા બજારમાં મૂકે ત્યારે તે જાહેર કરવામાં આવે અને તે માટે જન જાગૃતિના ભાગરૂપે કાર્યક્રમ રાખવામાં આવે છે; તેના લીધે પેદાશની જાણકારી સત્તાવાર રીતે બહાર પાડી શકાય છે.

(3) સંસ્થાના સમાચાર, કર્મચારીઓની સિદ્ધિ, સંસ્થાની સિધ્ધિ અને સંસ્થાને મળેલા પુરસ્કારો વગેરે બાબતોની જાણ કંપનીનું સમાચાર પત્ર કે સામયિક બહાર પાડીને સંસ્થાકીય સારી છાપ ઊભી કરી શકાય છે.

(4) એકમના ચેરમેનનું ભાષણ વિવિધ માધ્યમો દ્વારા આપવામાં આવે છે. તેના દ્વારા એકમની ભાવિ નીતિઓ વિશે અન્ય સહભાગીઓને જાણ કરી શકાય છે. જેથી ધંધાકીય એકમના સામાજિક સંબંધો સુધરે છે.

(5) સામાજિક કાર્યોમાં અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી થવાથી ધંધાકીય એકમની સમાજ પ્રત્યેની જવાબદારી અંગે પણ જનતાને જાણ કરી શકાય છે અને સંસ્થાની સારી છાપ ઊભી કરી શકાય છે.

(6) જાહેર હિતનાં કાર્યો જેવા કે બગીચાની જાળવણી, સમારકામ, ફૂટપાથનું કામ, રોગ નિદાન કેમ્પ, વૃક્ષારોપણનું કાર્ય ,પાણી પુરવઠાનું કાર્ય, જે-તે શહેર પ્રશ્નોના નિરાકરણમાં સહભાગી થઈને એક વિશિષ્ઠ છાપ ઊભી કરવામાં મદદરૂપ બની શકે છે.

જાહેર સંપર્ક ની ભૂમિકા: 

  • વર્તમાન પત્ર સાથે સારા સંબંધો
  • નવીન પેદાશ ની જાહેરાત
  • સંસ્થા ના સમાચારો KRM ની સિદ્ધિ સંસ્થાની સ્થિતિનું સમા પત્ર કે સામયિક.
  • ચેરમેન નું ભાષણ વિવિધ માધ્યમ દ્વારા સામાજિક સંબંધોમાં સુધારો
  • સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી 
  • જાહેર હિતના કાર્યો બગીચા સમારકામ ફૂટપાથ કેમ્પ વૃક્ષારોપણ વિશિષ્ટ છાપ ઉભી કરે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here