પાઠ-3 નાણું અને ફુગાવો

0
873
CLASS 12 ECONOMICS

પ્રસ્તાવના (Introduction)
 આધુનિક આર્થિક જગત માં નાણું તમામ આર્થિક પ્રવૃત્તિ ના કેન્દ્રસ્થાને છે. આજે વ્યક્તિને જરૂરિયાત સંતોષવા માટે વસ્તુઓ અને સેવાઓ ખરીદવા નાણા ની જરૂર પડે છે. નાણું વિનિમય નું માધ્યમ છે. સાથે મૂલ્યનું સંગ્રાહક પણ છે. 
ભવિષ્યમાં ઉદ્દભવનારી જરૂરિયાતો ખરીદવા લોકો નાણા ને બચાવે છે.

શરૂઆતના ગાળામાં માણસે પોતાની પાસે
હોય તેવી વસ્તુઓ અને સેવાઓ આપીને પોતાને
જરૂરી અન્ય વસ્તુઓ અને સેવાઓ મેળવવાના
પ્રયત્ન કર્યો અને આ પ્રથાને વસ્તુ વિનિમય પ્રથા
કે સાટાની પ્રથા કહેવામાં આવે છે.


 સાટા પ્રથાનો અર્થ
(Meaning of a Barter System)
 વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલા માં અન્ય વસ્તુઓ કે સેવાઓ મેળવવાની પ્રથા.

સાટા પ્રથા ની મર્યાદા

શરૂઆતનાં વર્ષમાં ગ્રામ સમાજ-વ્યવસ્થા, ખેતીનો પરસ્પરનો વ્યવહાર તથા ખૂબ ઓછી જરૂરિયાત વાળુ  સાદું જીવન હતું 
એટલે વસ્તુ વિનિમય પ્રથા દ્વારા માનવી પોતાની જરૂરિયાતો
સંતોષ તો રહ્યો. જેમ કે, ખેડૂત ઘઉં ઉગાડી સ્વ વપરાશ માટે ઘઉં રાખતો તથા વધારાનાં ઘઉં આપી ચોખા, કાપડ,
ચંપલ મેળવતો, ચંપલ બનાવનાર આ જ રીતે ચંપલ આપી અનાજ, કાપડ, ઘી વગેરે મેળવતો. જ્ઞાન આપનાર
શિક્ષક (ગુરુજી)ને જ્ઞાન ના બદલામાં અનાજ મળતું તો કલાકારોને પણ મનોરંજનના બદલામાં વસ્તુઓ મળતી.

સાટાપ્રથાની મુખ્ય મર્યાદાઓ 

જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવાની સમસ્યા :

આર્થિક-સામાજિક વિકાસ થવાની સાથે માણસ ની જરૂરિયાત વધી અને અર્થતંત્ર સરળ માંથી જટિલ બન્યું.પહેલાં ઘઉં આપીને ચોખા મેળવવા કે ચોખા આપીને કાપડ મેળવવું જે રીતે સરળ સરળ હતું તે હવે ન રહ્યું. કારણ કે જેમની પાસે ચોખા હતા તેને ઘઉંની જરૂર ન હતી તેને ચોખાના બદલામાં કાપડની જરૂર હતી અને જેની પાસે કાપડ હતું તેને ચોખાના બદલામાં નહીં પણ ઘીના બદલામાં કાપડ આપવું હતું આમ વસ્તુ વિનિમય પ્રથા માં પરસ્પર મેળ બેસાડવો અઘરો પડ્યો અને અવિભાજ્ય વસ્તુ સામે વિભાગીય વસ્તુનો વિનિમય કેવી રીતે કરવો તે પ્રશ્નો પણ ઉપસ્થિત થયા.


 મૂલ્યના સંગ્રહ ની મુશ્કેલી :

વસ્તુ વિનિમય પ્રથા માં વ્યક્તિને મૂલ્યના સંગ્રહની બાબતમાં વ્યાપક મુુશ્કેલીનો સામનો કરવો પડતો, અહીંયા મૂલ્ય એટલે વિનિમય મૂલ્ય.

ખેડૂત ઘઉંનું ઉત્પાદન કરી ઘઉંના  બદલામાં ચંપલ કે કાપડ મૅળવે પણ દિન પ્રતિદિન ઉત્પાદન અને ઉત્પાદકતા વધતા. વધેલા ઘઉં સાચવવા કેવી રીતે તે  પ્રશ્ન ઉપસ્થિત થયા. ઘઉંનો સંગ્રહ થાય તો ભવિષ્યમાં ઘઉં આપી ફરીથી ચંપલ કાપડ મેળવી શકાય પણ બહુ લાંબો સમય સાચવવા કેવી રીતે?

મૂલ્ય માપન ની મુશ્કેલી :

શ્રમ-વિભાજન અને વિશિષ્ટીકરણ પછી ઔદ્યોગિક આર્થિક જગતમાં
વસ્તુઓને સેવાઓના મૂલ્ય માપન નો પ્રશ્ન પણ ખૂબ અગત્યનો બન્યો. ઘઉં સામે ચોખાનો વિનિમય કરવાનો
હતો ત્યાં સુધી બરાબર હતું પણ હવે ઘઉં સામે અનેક વસ્તુઓ આવી ગઈ જેના વિનિમય-દરને યાદ રાખવો,
નક્કી કરવો મુશ્કેલ હતું. એક મણ ઘઉં બરાબર બે મણા ચોખા, એક મણ ઘઉં બરાબર દસ મીટર કાપડ, એક
મણ ઘઉં બરાબર કિલો ઘી તો કિલો ઘી બરાબર કેટલું કાપડ ? અને કેટલા ચોખા ? એ નક્કી કરવું અને તે
મુજબ વ્યાપાર કરવો અઘરો બન્યો, માટે એક સર્વસામાન્ય માપદંડ પણ જરૂરી બન્યો.

આમ, જરૂરિયાત ના પરસ્પર મેળ બેસાડવાની તકલીફને લીધે, મૂલ્યના સંગ્રાહકની જરૂરિયાત તથા મૂલ્યના
માપદંડ તરીકે કોઈ માધ્યમ હોય તે જરૂરી બનતા વસ્તુ વિનિમય પ્રથા અંત આવ્યો અને નાણાંની શોધ થઈ.

નાણા નો ઉદ્ભવ અને વિકાસ

વસ્તુ વિનિમય પ્રથા અમલમાં હતી ત્યારે મૂલ્યના સંગ્રહ તથા વિનિમય ને સરળ બનાવવા સર્વમાન્ય માધ્યમ
તરીકે વસ્તુ અને પશુઓ નો ઉપયોગ શરૂ થયો. ભારતમાં ખાસ તો ગાયને ધનના સ્વરૂપમાં જોવાનું શરૂ થયું.

રાજા શાહી વ્યવસ્થા આવતા સિક્કાનો ની શરૂઆત થઈ. 

લોકશાહીનો ઉદભવ તથા ઔધોગીકરણ આધુનિક નાણાંના સ્વરૂપ માટે મોટું પ્રેરક બળ બન્યા. કેન્દ્રિય
સત્તાના પીઠબળ થી બહાર પાડવા માં આવનાર નાણાંને સર્વ માન્ય સ્વીકૃતિ મળી અને વિનિમયના માધ્યમ તરીકે
તેણે ઝડપભેર માન્યતા મેળવી, મૂલ્ય ના સંગ્રહમાં પણ આધુનિક નાણું જ વધારે સફળ રહ્યું. બેંકિંગ વ્યવસાયના
વિકાસે મૂલ્યના સંગ્રહ તથા સ્થળાંતર ને ઝડપી તથા સરળ બનાવ્યું.

 

નાણાંનો અર્થ અને કાર્યો (Meaning of Money and Functions of Money),

માર્શલ ના મતે “કોઈ પણ સમયે અને સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને
સેવાઓનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવાય.”

Robertson ના મતે ‘વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું છે.’

નાણાંના કાર્યો

1.વિનિમય ના માધ્યમ નું કાર્ય :

નાણાં નું સૌથી અગત્યનુ કાર્ય વિનિમયના માધ્યમ તરીકેનું છે. નાણું
આપણા આર્થિક વ્યવહારો ને સરળ બનાવે છે અને વસ્તુ વિનિમય પ્રથા માં જરૂરિયાતનો પરસ્પર મેળ
બેસાડવામાં જે તકલીફ પડતી હતી તેનો ઉકેલ લાવે છે. ખેડૂત ઘઉં આપીને નાણાં મેળવે છે અને પછી નાણાં
આપી ને ચોખા, કાપડ, ઘી વગેરે મેળવે છે. વ્યક્તિ નાણાં નો ખર્ચ કરીને વર્તમાનમાં વસ્તુઓ અને સેવાઓ
મેળવે છે, તો બચત કરીને ભવિષ્યમાં વસ્તુઓ અને સેવાઓ મેળવે છે.મૂળભૂત રીતે જરૂરિયાતો સંતોષવા માટે
ઉપયોગી વસ્તુઓ અને સેવાઓ ખરીદવા નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ થાય છે.

2. મૂલ્યના સંગ્રાહક તરીકે :
નાણા ની બીજી અગત્યની કામગીરી મૂલ્યના સંગ્રાહક તરીકે છે. વ્યક્તિ પોતે ઉત્પન્ન કરેલ વસ્તુ કે સેવા
આપીને અન્ય વસ્તુઓ કે સેવાઓ મેળવતો પણ ભવિષ્યમાં વસ્તુ કે સેવા મેળવવા માટે તેણે બચત કેવી રીતે
કરવી ? તે પ્રશ્ન હતો, નાણું દ્વારા તે વિનિમય મૂલ્ય નો સંગ્રહ કરી શકે છે. અનાજ કે પશુના સ્વરૂપમાં
મૂલ્ય નો સંગ્રહ લાંબા સમય સુધી શક્ય ન હતો. નાણું આ બાબતમાં વધુ સફળ પુરવાર થયું છે. નાણાં
સ્વરૂપમાં મૂલ્ય નો સંગ્રહ સરળ છે. અનાજ વેચી નાણું મેળવી નાણાના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ થાય અને
પછી જ્યારે જરૂર હોય ત્યારે તેના દ્વારા વસ્તુ કે સેવાની ખરીદી પણ થાય.

3. મૂલ્યના માપદંડ તરીકે નું કાર્ય :
નાણું મૂલ્ય માપદંડ તરીકે અગત્યનું કાર્ય બજાવે છે.  નાણાના કારણે કિંમતોનું તંત્ર કામ કરે છે અને દરેક વસ્તુને સેવાની કિંમત નક્કી થાય છે અને પરિણામે મૂલ્ય ગણતરી સરળ બને છે.

4. નાણાંના પ્રકાર (Types of Money)

(1) વસ્તુ નાણું (2) પશુ નાણું (3) ધાતુ નાણું (4) કાગદી નાણું (5) પ્લાસ્ટિક નાણું (6) બૅન્ક નાણું
(અદ્શ્ય કે ઈ-મની).

 ફુગાવોનો અર્થ (Meaning of Inflation)

સામાન્ય રીતે ભાવ વધારો એટલે ફુગાવો.

ફુગાવો એ આર્થિક સમસ્યા છે. અને નાણાકીય ઘટના છે. સામાન્ય પ્રજા ચીજવસ્તુના ભાવવધારાને ફુગાવો
માને છે. પરંતુ અર્થશાસ્ત્રમાં ફુગાવાનો સ્પષ્ટ અર્થ આપવાનો પ્રયત્ન થયો છે.

ફુગાવાની વ્યાખ્યા (Definition of Inflation)
વસ્તુ ના પુરવઠા કરતા તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિતિ ને ફુગાવો કહે છે.”
– ડૉ. એ. પી. લર્નર,

‘વાસ્તવિક આવક કરતા નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહે છે.”
– ડૉ. એ. સી. પીગુ

ડૉ. જે. એમ. કેઇન્સ માને છે કે, ફુગાવાની સાચી સ્થિતિ સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય
આવક વધે તો સર્જાય છે.

ફુગાવાના લક્ષણો (Characteristics of Inflation)
(1) ભાવસપાટી માં સતત વધારો થાય છે.
(2) અર્થતંત્ર ના બધા જ ક્ષેત્રમાં ભાવ વધે છે.
(3) નાણાં નું મૂલ્ય (ખરીદશક્તિ) ઘટતું જાય છે,
(4) પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવ સપાટી ફુગાવો છે.

ફૂગાવા ને સમજવા માટે અન્ય કેટલીક બાબતો પણ ધ્યાનમાં લેવી જોઈએ. જેવી કે,

(1) સરકારે કાયદા દ્વારા, સબસીડી દ્વારા ભાવસપાટી દબાવી રાખી હોય, તો ભાવ ન વધતા હોવા છતાં
ફુગાવો છે. જેને દાબેલો ફુગાવો પણ કહે છે.

(2) જો અર્થતંત્રમાં ટૂંકા સમય માટે, અમુક જ સેવા કે વસ્તુ માટે ભાવવધારો લાગુ પડ્યો હોય તોપણ તે
ફુગાવો નથી.

ટૂંક માં પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી, અર્થતંત્રના બધાં જ ક્ષેત્રમાં ભાવસપાટી સતત વધ્યા કરે તે ફુગાવો
છે અને આવો ફુગાવો આર્થિક વિકાસને અવરોધક છે.

 ફુગાવાના કારણો (Causes of Inflation)

ફુગાવો એટલે અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં ચીજવસ્તુઓ અને સેવાની કિંમતોમાં સતત વધારો. હવે વસ્તુ કે
સેવા ની કિંમત નક્કી કરનાર મુખ્ય બે પરિબળ છે : માંગ અને પુરવઠો. માટે ફુગાવો કિંમતોમાં વધારા માટે
પણ મુખ્યત્વે આ બે પરિબળો જ જવાબદાર છે. એટલે ફુગાવાનાં મુખ્ય કારણો છે : (1) માંગમાં વધારો
(2) ખર્ચમાં વધારો.
 

માંગમાં વધારો :
વસ્તુની માંગ માં વધારો થવાના કારણે વસ્તુની કિંમત માં વધારો થાય છે. જો વસ્તુની માંગ વધે ત્યારે
વસ્તુના પુરવઠામાં વધારો થઈ શકે તેમ ન હોય અને થાય તોપણ ખૂબ ધીમા દરે વધારો થતો હોય તો વસ્તુની કિંમત માં વધારો થાય છે. અર્થતંત્રમાં માંગ વધવાને કારણે જો ફુગાવો સર્જાય તો આવા ફુગાવાને માંગ
પ્રેરિત ફુગાવો કહે છે.

વસ્તુની માંગ માં વધારો થવાના કારણો નીચે મુજબ છે.

(1) નાણાંના પુરવઠા માં વધારો :

નાણાવાદીઓ ફુગાવાને સંપૂર્ણપણે નાણાકીય ઘટના માને છે. તેમના મતે
દેશમાં નાણાં નો પુરવઠો વધવા થી લોકોની નાણાકીય આવક વધે છે અને આવકો વધતા લોકો વસ્તુઓ અને
સેવાઓની માંગ માં વધારો કરે છે, જેની સામે પુરવઠો લગભગ સ્થિર હોવાથી કિંમતોમાં વધારો થાય છે. નાણાં
આધારિત કોઈ પણ અર્થતંત્રમાં વસ્તુઓ અને સેવાઓના પ્રમાણ કરતા નાણાંનું પ્રમાણ વધી જાય ત્યારે ફુગાવો
સર્જાય. માટે જ મેચલપ કહે છે કે, “ખૂબ વધુ નાણું ઓછી વરતુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે.

(2) સરકાર ના જાહેર ખર્ચમાં વધારો :

ભારત જેવા વિકાસની પ્રક્રિયામાં સામેલ દેશોમાં સરકાર આર્થિક
વિકાસ માટે ઘણી આર્થિક પ્રક્રિયા માં જોડાય છે. આંતર મૂડી માળખા નું સર્જન પાયાની જરૂરિયાતો પૂરી પાડવી
કે રોજગારીનું સર્જન કરવું જેવી પ્રવૃત્તિમાં સરકાર જાહેર ખર્ચ કરે છે જેનાથી દેશમાં નાણાંનો પુરવઠો વધે છે.
લોકોની આવકમાં વધારો થાય છે અને માંગમાં વધારો થતા ભાવ વધારો સર્જાય છે. 

(3) વસ્તી વધારો :

ભારતમાં સરેરાશ 2 ટકાના દરે વધતી વસ્તીએ માંગ વૃદ્ધિ નું દબાણ ઊભું કર્યું છે. સતત
વધતી વસ્તી રોજિંદા વપરાશની ચીજવસ્તુઓ ની માંગ માં વધારો કરે છે અને વધતી વસ્તીની માંગ પૂરી ન થઈ
શકે ત્યારે ભાવસપાટીમાં વધારો થાય છે. 
નાણાં-પુરવઠાના વધારાને કારણે આવકમાં થયેલો વધારો માંગમાં વધારો કરે છે અને ભાવ સપાટીમાં વધારો કરે છે.

 ખર્ચમાં વધારો :
કિંમતને અસર કરનાર બીજું પરિબળ છે પુરવઠો. પુરવઠા- લક્ષી અર્થશાસ્ત્ર ના સમર્થ કો માને છે કે ઉત્પાદન
ખર્ચમાં વધારો થાય તોપણ વસ્તુઓના ભાવમાં વધારો થાય છે.
કાચા માલની કિંમતોમાં, યંત્રો માં, વીજળી, પાણીના દરોમાં શ્રમિકોને વેતન માં, વાહન વ્યવહાર ખર્ચમાં
વધારો થવાના કારણે વસ્તુ કે સેવાના કિંમતોમાં વધારો થાય છે, ખર્ચ વધવાના કારણે અમલી બનેલા ફુગાવાને
ખર્ચ પ્રેરિત ફુગાવો(પુરવઠા પ્રેરિત ફુગાવો) પણ કહે છે.
 અન્ય કારણો :
ફુગાવાના મૂળમાં તો બે જ કારણ છે : (I) માંગમાં વધારો (2) ખર્ચમાં વધારો. પર્ણ વ્યવહારમાં
ભાવસપાટી વધવા માટે ક્યારેક અન્ય પરિબળો પણ દબાણ ઊભું કરે છે. જેમકે કરવેરા નીતિ, આયાતી વસ્તુઓની કિંમતમાંં વધારો તેમજ અછત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here