vasant no vaibhav gujarati essay

3
5935
gujarati essay writing tips
gujarati essay

વસંતનો વૈભવ

વસંત ઋતુ એટલે પ્રકૃતિના યૌવનનો આરંભ. વસંત એટલે સૃષ્ટિના યૌવનની યશકલગી વિજયની વિજય પતાકા અને ચેતના નો ફુવારો વસંતનું ઐશ્વર્ય જ આપણને ઈશ્વરની કલા શક્તિનો પરિચય આપે છે. પાનખર પછીની ઋતુ એટલે સોળ શણગાર સજીને આવે, જાણે પૃથ્વીને પાંગરેલું યૌવન. વસંત ખીલે એટલે પશુ-પંખી પ્રકૃતિ અને સ્ત્રી-પુરુષો સૌ માં નવા પ્રાણ, નવી ચેતના અને સ્ફૂર્તિ નો પ્રાદુર્ભાવ થાય છે.વસંત ઋતુ એટલે સમગ્ર સૃષ્ટિમાં ચેતના અને પ્રસન્નતાનું પ્રાણતત્વ સંચારિત કરનાર સમય. દરેક ઋતુને તેના આગવા અને અનોખા રંગ રૂપ હોય છે તેમાં વસંતઋતુના સૌંદર્ય ની તો વાત જ કંઇક અલગ છે વસંત ઋતુના આગમનને  વધાવતા કવિ દલપતરામ એ સાચું જ કહ્યું છે કે: “રૂડો જો આ ઋતુરાજ આવ્યો, મુકામ તેણે વનમાં જમાવ્યો.”

gujarati essay writing tips
gujarati essay

 

માગશર સુદ પાંચમથી ફાગણ સુદ પૂનમ સુધી મહેકની ઋતુ એટલે વસંત. વસંત ઋતુના એંધાણથી જ પ્રકૃતિ જાણે પ્રસન્ન થઈ ઊઠે છે. ચારે તરફ હરિયાળી વ્યાપી જાય છે અને હેમંતની ઠંડીથી ઠરી ગયેલા વૃક્ષો અને પશુ-પક્ષીઓ પણ વસંત ના આગમન થી ખીલી ઊઠે છે. પ્રકૃતિમાં જાણે નવું ચેતન પ્રસરી જાય છે.

 

સ્થળે સ્થળે વસંતનો સત્કાર થાય છે .માંડવા ઉપર વેલીઓ અને લતાઓ થનગની ઊઠે છે. ઠંડી નો માર સહીને નિષ્પ્રાણ બનેલા વૃક્ષોમાં નવચેતન ઉભરાય છે. ડાળીઓમાં નવા પ્રાણનો સંચાર થાય છે. કૂણી કૂંપળો ફૂટે છે અને પવન એ કૂંપળો ને નચાવે છે વૃક્ષો ઉપર મંજરીઓ ડોલી ઉઠે છે છોડવા ઉપર મદભર્યા પુષ્પો આનંદના હિલોળે ડોલી રહે છે, ભ્રમર તેમનું સૌંદર્ય તત્વ લૂંટવા આવે તો તેને પોતાના માં સમાવી લેવા કમળ અધીરા થઈ રહ્યા હોય છે. નાજુક કળીઓ  યુવાનીના ઉંબરે ઉભેલી મુગ્ધ કન્યા જેવી ચંચળ લાગે છે ચોતરફથી મંદ મંદ વાયુ લહેરાય છે. સૃષ્ટિ પોતાની સમૃદ્ધિ સાથે આ પ્રાકૃતિક મેળામાં હાજર થાય છે.

gujarati essay vasant no vaibhav
gujarati essay vasant no vaibhav

 

વસંતનું આગમન પ્રકૃતિમાં નવચેતનાનો સંચાર કરે છે. શિશિરમાં છીનવાયેલા વનરાજી નો વૈભવ નવલા રુપ રંગ અને પરાગ લઈને વન ઉપવનમાં પાછો  દૃષ્ટિગોચર થાય છે. ધરતીની વનશ્રી સોહામણો શૃંગાર ધારણ કરે છે. વસુંધરા અંગડાઈ લઈ બેઠી થાય છે એના અણુઅણુમાં ચેતના અને પ્રસન્નતા પ્રગટે છે. અંગેઅંગ જાણે નૃત્ય  કરતું હોય એમ લાગે છે. વસંતના આવા તાજગીભર્યા આગમન સાથે પ્રકૃતિમાં જાણે આનંદની લહેર ફેલાઈ જાય છે.

 

સૃષ્ટિનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠે છે. વસંતની પધરામણીને આમ્રકુંજ માં બેઠેલી કોયલ મધુર ટહુકા થી  વધાવે છે. લાલઘૂમ કેસૂડો જાણે કુમકુમથી વસંતને સત્કારે છે. જૂઈ, મધુમાલતી અને મોગરા જેવા વિવિધ પુષ્પો થી વાતાવરણ પ્રફુલ્લિત થઈ જાય છે. આ ફૂલોની સૌરભ સાથે વહેતો વાયુ માદક હોય છે અને પ્રેમીઓને માટે તે દાહક બની રહે છે.વિવિધ રંગબેરંગી પુષ્પો ની માદક અને મનમોહક સોડમ દિમાગને તરબતર કરી દે છે. વસંતમાં સરોવરના કમળ પોતાના હૈયા  ખોલે, તો રાજ હંસ તથા બતકો જેવા જળચરો પ્રસન્ન ચિત્તે જલવિહાર કરે છે. આમ સર્વત્ર વસંતનું સામ્રાજ્ય જ જોઈલો ને!!!

 

અનેરા વરસાદના વાતાવરણથી પ્રભાવિત થઈને જ ગઝલકાર મનોજ ખંડેરિયા એ લખ્યું છે કે:

“આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના

ફૂલો એ બીજું કંઈ નથી પગલાં વસંતના”

 

સામાન્ય પ્રજા વસંત પ્રત્યે બેધ્યાન હોય છે ત્યારે કવિઓ અને યુવાન પ્રજા વસંત પ્રત્યે ખુબ સભાન હોય છે. વસંત કવિઓની પ્રિય ઋતુ છે. વસંતનું આગમન કવિ ચિત ને  આંદોલિત કરી ને નવા કાવ્ય સર્જન કરવા પ્રેરે છે. આ ઋતુ નો વૈભવ જોઈને મુગ્ધ થતા ચિત્રકારો પણ અવનવા ચિત્રો દોરે છે. યુવાન નર-નારીઓને હચમચાવતી ઋતુ વસંત છે. માત્ર પ્રકૃતિ કે પશુ-પક્ષી નહીં માનવ ઉપર પણ વસંતનો  અનેરો જાદુ થાય છે. વસંતનું માદક વાતાવરણ યુવાન હૈયાઓને હચ મચાવી મૂકે છે. નર-નારીઓ ઉલ્લાસભેર ફાગ ખેલે છે. વાયુ વનમાં અને જનમાં પ્રસરી રહે છે. જનપદો માં કે નગરોમાં સર્વત્ર જુદી-જુદી રીતે વસંતોત્સવ ઉજવાય છે.

 

પોતાની મનગમતી રીતે સૌ વસંતને વધાવે છે. વસંતવિલાસ નું આપણા એક અજ્ઞાત કવિ નું ફાગુકાવ્ય યુવાનોના વસંતોત્સવનો  સુંદર પરિચય આપે છે. હોળી ધુળેટી જેવા ઉત્સવ વસંતના ચેતન અને પ્રેરણા નું પરિણામ છે. અંતરના ઉમંગની આનંદદાયક અભિવ્યક્તિ આથી વધુ સુંદર બીજી કઈ હોઈ શકે!!!

કવિ દેવે તો તેમની રચનામાં વસંતને કામદેવ રૂપી રાજાના બાળક કહ્યા છે જેની સાથે પ્રકૃતિ અનેક પ્રકારના ખેલે છે.

मदन महिप जू  को बालक बसंत ताहि,

प्रातः ही जगावत गुलाब चटकारी दै।

 

વસંત એટલે કુદરતની લીલા! કુદરતમાં જ માણવા મળે શહેરની ગંદી ગીચ ગલીઓમાં વસંતની કલ્પના પણ ન આવે ત્યારે તો ફક્ત વસંત પંચમીની ઉજવણી દ્વારા વસંતની યાદ કરી શકાય એટલું જ. .કુદરતમાં વસંત એક મહિનો હાલે ત્યારે એમને એક જ દિવસમાં વસંત નો જન્મ, યૌવન  અને મરણ કલ્પવાનું હોય.

 

વસંતમાં સૃષ્ટિ એ વાતો સુહાગના શણગાર સજે છે કે ખુદ સૃષ્ટિના સર્જનહાર ને પણ આ વસંત ના વૈભવ ને જોવા માણવા આવવાનું મન થઈ જાય છે વસંત એટલે ઉત્સાહ આનંદ અને ઉમંગ સૌ કોઈ મન ભરી નાચી ઊઠે ઝૂમી ઉઠે એટલે વસંત સૃષ્ટિમાં થતું પરિવર્તન યુવાનના તન અને મનને પણ ભીંજવે છે.વસંતના રંગ અને સુગંધ ની મસ્તી અનેરી હોય છે ગઝલકાર મનોજ ખંડેરિયા એ સાચું જ લખ્યું છે કે:

“મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લૈ

દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના”

 

સઘળી ઋતુઓના રાજા વસંતનું પોતાનું ગૌરવ છે, દબદબો છે, પ્રભાવ છે અને કામણ પણ છે. પંચ ઇંદ્રિયો ને અસર કરતા કામણમાં રસનું સૌંદર્ય, રંગનું સૌંદર્ય, સુગંધનું  સૌંદર્ય, સૂરનું સૌંદર્ય અને સ્પર્શનું પણ સૌંદર્ય સમાયેલું છે. એક વી ગાયું છે કે:

“રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો મુકામ તેણે વનમાં જમાવ્યો

તરુ વરોએ  એ શણગાર કીધો જાણે વસંતે શિરપાવ દીધો”

 

આનંદ, ઉત્સાહ, ઉમંગ, ગીત-સંગીત ,રંગ, સુગંધ નાચગાન અને સૌંદર્યની  જીવતી-જાગતી મૂર્તિ એટલે વસંત .વસંત ના સૌન્દર્ય ને મન ભરી ને માણવા માટે આપણે સૌએ ખુલ્લા ખેતરો, વૃક્ષો પાસે બાગ-બગીચામાં પ્રકૃતિ ઘાટમાં કે જંગલોમાં જવું જોઈએ આપણે જો ચાર દીવાલો વચ્ચે આવીને બેસી રહીએ અને આપણી દૈનિક ક્રિયાઓમાં પરોવાઈ જઈએ તો આપણને વસંત ની અનેરી શોભા નો ખ્યાલ ક્યારેય પણ ન આવી શકે.

વસંતનો આવો રૂડો વૈભવ જોઈને એમ જ કહી શકાય કે:

“મહેકી રહી છે મંજરી એક એક આંસુ થી

મહોર્યા છે આ જ આંખમાં આંબા વસંતના”

 

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here