પાઠ- 11 ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્ર્નો

0
890
CLASS 12 ECONOMICS

 

પ્રસ્તાવના (Introduction):

1991 માં જે મોટાં આર્થિક પરિવર્તનો કરવામાં આવ્યા તે પરિવર્તનો આર્થિક સુધારો તરીકે ઓળખવામાં આવે છે. જેમાં, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ અન્વયે ભારતીય અર્થતંત્રની કાયાપલટ કરવામાં આવી, જેના પરિણામ સ્વરૂપે આજે ભારતીય અર્થતંત્રની ગણના વિશ્રામાં સૌથી ઝડપથી વિકાસ પામી ૨હેલા અર્થતંત્ર તરીકે કરવામાં આવે છે.

આમ, આપણે આ પ્રકરણમાં દેશના આર્થિક વિકાસ કે સમૃદ્ધિ સાથે સંકળાયેલ ત્રણ જુદાં-જુદાં ક્ષેત્રોની વિસ્તૃત માહિતી મેળવીશું જેમાં (1) સ્થળાંતર (2) શહેરીકરણ (3) આંતર માળખાકીય સેવાઓ કે સુવિધાઓનો સમાવેશ થાય છે.


સ્થળાંતર  (Migration):

સ્થળાંતર અર્થ :

સામાન્ય અર્થમાં સ્થળાંતર એટલે સ્થળ બદલવું તે, એક સ્થળેથી બીજે સ્થળે વસવાટ કરવો. પરંતુ સ્થળાંતરની શાસ્ત્રીય વ્યાખ્યા નીચે પ્રમાણે આપી શકાય :

વ્યાખ્યા : 

“ જ્યારે વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે વતનથી દૂર દેશમાં કે વિદેશમાં નોકરી, વ્યવસાય, ધંધો કે  સારું જીવનધોરણ પ્રાપ્ત કરવા માટે કાયમી વસવાટ કરે છે ત્યારે તેને સ્થળાંતર કહે છે.”

સ્થળાંતરના પ્રકારો :

સ્થળ આધારિત સ્થળાંતરને આપણે બે વિભાગમાં વહેંચીને સમજીએ :

(1) આંતરિક સ્થળાંતર અને

(2) આંતરરાષ્ટ્રીય સ્થળાંતર એમ બે રીતે વિભાજન કરે છે.

(1) આંતરિક સ્થળાંતર : 

દેશના ભૌગોલિક સીમામાં આપેલ એક સ્થળેથી બીજા સ્થળે થતા સ્થળાંતરને આંતરિક સ્થળાંતર કહે છે. દા.ત., ગુજરાત રાજ્યમાંથી દેશના અન્ય રાજયો કે શહરોમાં જઈ વસવાટ કરે કે  દેશના અન્ય કોઈ પણ ભાગના લોકો ગુજરાતમાં આવી વસવાટ કરે તો તેને આંતરિક સ્થળાંતર કહેવામાં આવે છે.

(2) આંતરરાષ્ટ્રીય સ્થળાંતર : 

એક દેશમાંથી બીજા દેશોમાં થતાં સ્થળાંતરને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહે છે. દા.ત., ગુજરાત કે ભારતના કોઈ પણ રાજ્યમાંથી વિશ્વના જુદા-જુદા દેશોમાં નોકરી, વ્યવસાય કે ધંધાર્થે અથવા ઉચ્ચ જીવનધોરણની અપેક્ષાએ કાયમી વસવાટ કરે કે દુનિયાની કોઈ પણ દેશના લોકો ભારતમાં આવી વસવાટ કરે તો તેને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહેવાય.


કારણ આધારિત સ્થળાંતર :

કારણ આધારિત સ્થળાંતરના બે પ્રકાર પાડવામાં આવ્યા છે :

 (1) આકર્ષણ સ્થળાંતર

 (2) અપાકર્ષણ સ્થળાંતર

(1)આકર્ષણ સ્થળાંતર : 

જ્યારે વ્યક્તિ કોઈ પણ કારણસર શહેરી જીવન પદ્ધતિ અને વિવિધ સવલતોથી આકર્ષાઈને (અદ્યતન માળખાકીય સુવિધાઓ) પોતાના વતનથી દૂર જઈ વસવાટ કરે ત્યારે તેને આકર્ષણ સ્થળાંતર કહે છે. 

દા.ત., ગામડામાંથી શહેરમાં થતું સ્થળાંતર આ પ્રકારનું ગણાવી શકાય કારણ કે ગામડાં કરતા શહેરોમાં ઉચ્ચ જીવનશૈલી, અત્યાધુનિક વાહન-વ્યવહાર, સંદેશા-વ્યવહાર, શિક્ષણ, આરોગ્ય વગેરે જેવી સુવિધા તેમજ નોકરીની વિશાળ તકો ઉપરાંત ધંધા કે વ્યવસાયની તકોથી આકર્ષાઈને ગામડાંના લોકો શહેરોમાં કાયમી વસવાટ માટે આવે તેને આકર્ષણ સ્થળાંતર કહેવાય.

તેવી જ રીતે અન્ય દેશોમાં પણ ઉપર્યુક્ત જેવાં આકર્ષણથી પ્રેરાઈને અન્ય દેશોમાં કાયમી વસવાટ માટે જાય તો તેને પણ આકર્ષણ સ્થળાંતર કહેવાય.

(2) અપાકર્ષણ સ્થળાંતર : 

જ્યારે ગ્રામ્ય સમાજમાં વસતા લોકોને પંપ, વ્યવસાય કે નોકરીની પુરતી તકો પોતાના ગામડાંમાં ન હોય કે આર્થિક પ્રવૃત્તિ માટેના બીજા વિકલ્પો ન હોય કે અપુરતા હોય, શિક્ષણની પુરતી તકો ન હોય ત્યારે તે ફરજિયાતપણે શહેરો તરફ ધકેલાઈ છે, ત્યારે તેને અપાકર્ષણ સ્થળાંતર કહે છે.

આમ, કારણ આધારિત સ્થળાંતરના ઉપર્યુક્ત બંને પ્રકારના અભ્યાસ કરતા કહી શકાય કે,

(અ) આકર્ષણ સ્થળાંતરમાં ગ્રામ્યપ્રજાનો આર્થિક રીતે સંપન્ન વર્ગ શહેરીજીવનના વિવિધ આકર્ષણોથી આકર્ષાઈને સ્વેચ્છાએ સ્થળાંતર કરે છે.

(બ) જ્યારે અપાકર્ષણ સ્થળાંતરમાં ગ્રામ્યસમાજનો આર્થિક રીતે નબળો વર્ગ ગામડામાં વધુ સારા  જીવનના વિકલ્પની ગેરહાજરીથી ફરજિયાતપણે શહેરો તરફ ધકેલાઈ છે.

સ્થળાંતરના કારણો :

 

સ્થળાંતરના પ્રકારોનો અભ્યાસ કર્યા બાદ સ્થળાંતરને વિસ્તૃત રીતે સમજવા માટે સ્થળાંતરનાં કારણોનો અભ્યાસ કરવો અનિવાર્ય બને છે. સ્થળાંતરના કારણોને મુખ્ય ચાર ભાગમાં વર્ણવી શકાય :

  1. આર્થિક કારણો : 2. સામાજિક કારણો : 3. રાજકીય કારણો :4. કુદરતી આપત્તિઓ કે પર્યાવરણીય પરિબળ :

આર્થિક કારણોસ્થળાંતરનાં કારણોમાં સૌથી મહત્ત્વનું કારણ આર્થિક કા૨ણ ગણાવી શકાય.આર્થિક કારણમાં,નોકરી, વ્યવસાય કે ધંધા માટે  વ્યક્તિ જ્યારે નોકરી, વ્યવસાય કે ધંધા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે તે.

બદલી : જયારે વ્યક્તિ એક જગ્યાએ નોકરી કરતી હોય અને તેની બદલી દૂરના સ્થળે થતાં તેને તે  સ્થળે સ્થળાંતર કરવું પડે તે.

કુદરતી સંપત્તિનું પ્રમાણ : 

જયારે કોઈ પણ જગ્યાએ કુદરતી સંપત્તિ વિપુલ પ્રમાણમાં હોય પરંતુ તે સ્થળે વસ્તીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય ત્યારે તે સ્થળે થતું સ્થળાંતર.

દા.ત., સોનાની ખાણ, હીરાની ખાણ, ખનિજ સંપત્તિ, પેટ્રોલિયમ પેદાશો વગેરેના ખનન અને શુદ્ધિકરણની  પ્રક્રિયા માટે વિવિધ પ્રકારનાં કૌશલ્યો ધરાવતા માનવશ્રમની મોટા પ્રમાણમાં જરૂર પડે છે

ત્યારે પોતાનું વતન છોડી આવી જગ્યાએ વસવાટ કરવાનું પ્રમાણ ખુબ જ વધતું ગયું છે. દા.ત. યુ.એ.ઈ.ના દેશોમાં થતું સ્થળાંતર એ જ રીતે ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, કેનેડા વગેરે દેશમાં થતું સ્થળાંતર.


શિક્ષણની વધુ સારી તકો મેળવવા : 

વ્યક્તિને જ્યારે પોતાના વતનમાં શિક્ષણની મર્યાદિત તકો હોય અને  તેને ઉચ્ચ શિક્ષણ મેળવવાની ભૂખ હોય ત્યારે તે શિક્ષણની વધુ સારી તકો મેળવવા વતનથી દુર સ્થળાંતર કરે છે જે આગળ જતાં કાયમી સ્વરૂપ ધારણ કરે છે.

આરોગ્યની અત્યાધુનિક સુવિધા મેળવવા : 

જ્યારે વ્યક્તિ આરોગ્યની પૂરતી સુવિધા પોતાના વતનમા ન મેળવી શકતો હોય, ત્યારે આરોગ્યની  અત્યાધુનિક સુવિધાઓ મેળવવા સ્થળાંતર કરે છે જેથી વધુ સારું તંદુરસ્ત જીવન જીવી શકે અને તેની હકારાત્મક અસર આર્થિક ઉપાર્જનમાં જોવા મળે.


આયોજિત સ્થળાંતર : જયારે કુટુંબના સભ્યો આયોજન કરી કુટુંબના એક અથવા વધુ સભ્યોને આર્થિક પ્રવૃત્તિ  માટે તેનાથી દૂર વસવાટ માટે મોકલે તે આયોજિત સ્થળાંતર તરીકે ગણાવી શકાય.


સામાજિક કારણો : 

 

સ્થળાંતરના આર્થિક કારણો સાથે કેટલાંક સામાજિક કારણો પણ મહત્વનો

ભાગ ભજવે છે જેવા કે,

લગ્ન: લગ્ન થવાથી  સ્ત્રી પોતાનું વતન છોડી જે સ્થળે તેના લગ્ન થયાં હોય તે સ્થળે કાયમી વસવાટ કરે તે સ્થળાંતર સામાજિક સ્થળાંતર કહેવાય.

સામાજિક રીતરિવાજમાંથી મુક્તિ મેળવવા :

ગ્રામ્ય સમાજ મહદંશે પરંપરાવાદી રૂઢિચુસ્ત હોય છે જયારે શહેરી સમાજ મુક્ત વિચારસરણી તેમજ આધુનિક જીવનશૈલી ધરાવતો હોય છે.

ખાસ કરીને ગ્રામ્ય સમાજનો યુવા વર્ગ આવી મુક્ત વિચારસરણીથી આકર્ષાઈ  શહેરો તરફ વસવાટ કરવાનું પસંદ કરે છે.

રાજકીય કારણો : સ્થળાંતરના રાજકીય કારણોમાં મુખ્ય બે કારણો ગણાવી શકાયું :

(I) યુદ્ધ અને અશાંતિ  : 

જ્યાં વારંવાર યુદ્ધ થતાં હોય તેવા વિસ્તાર સતત અશાંત રહેતા હોય છે અને તે વિસ્તારની પ્રજા સતત ભયના ઓથાર નીચે જીવવા કરતાં સલામત અને શાંત સ્થળે રહેવાનું પસંદ કરે છે અને તેથી અશાંત વિસ્તારમાંથી શાંત વિસ્તારમાં સ્થળાંતર કરે છે.

(Il) ઘર્ષણ  નિવારવા : જ્યાં વારંવાર તોફાનો, પૂર્ણ વગેરે થતા હોય તેવા અશાંત વિસ્તારમાં પણ શાંતિ ઇચ્છતી પ્રજા રહેવાનું પસંદ કરતી નથી અને ધર્ષણથી દૂર શાંત વિસ્તારમાં સ્થળાંતર કરે છે.

કુદરતી આપત્તિઓ કે પર્યાવરણીય પરિબળ :

કુદરતી આપત્તિઓ જેવી કે વારંવાર પડતો દુકાળ, ધરતીકંપ, જ્વાળામુખી વગેરે જેવી કુદરતી આપત્તિ ધરાવતા વિસ્તારોમાંથી લોકો સલામત સ્થળે સ્થળાંતર કરે છે.

પર્યાવરણીય પરિબળમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે થતા સ્થળાંતરને વિકાસલક્ષી સ્થળાંતર કહે છે.

દા.ત., ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતર વિકાસલક્ષી સ્થળાંતર કહેવાય.તે જ રીતે રાષ્ટ્રીય ઉદ્યાન કે અભયારણ્ય તરીકે અમુક વિસ્તારો જાહેર થતાં ત્યાંના સ્થાનિક લોકોનું થતું સ્થળાંતર વિકાસલક્ષી સ્થળાંતર ગણાવી શકાય.

સ્થળાંતરની અસરો :

સ્થળાંતરની અસરોનો અભ્યાસ કરવા થી સરકારને  સ્થળાંતર વિષયક નીતિ ઘડવા માટેના માર્ગદર્શક સૂચનો મળી શકે છે. સ્થળાંતરની અસરોનો  આર્થિક દૃષ્ટિકોણથી અભ્યાસ કરતાં તેનો બે ભાગમાં અભ્યાસ કરી શકાય:

સ્થળાંતર ની અસરો

સ્થળાંતરની હકારાત્મક અસરો :

સ્થળાંતરની  હકારાત્મક અસરો વિવિધ આર્થિક ક્ષેત્રો, વ્યક્તિ, કુટુંબ, સમાજ તેમજ સમગ્ર દેશ માટે ફાયદાકારક તેમજ વિકાસલક્ષી હોય છે જેમાં,

(1) આવકમાં વૃદ્ધિ :

  • સ્થળાંતરનો મુખ્ય ઉદ્દેશ આવક-સર્જન અને આવકવૃદ્ધિનો છે.
  • જે લોકો ગામડામાંથી શહેરોમાં કમાવા માટે જાય છે તેઓ પોતાની કમાણીનો કેટલોક ભાગ પોતાના કુટુંબને મોકલે છે.
  • જેને પરિણામે વતનમાં વસતા કે રહેતા કુટુંબના સભ્યોના જીવનધોરણમાં સુધારો થાય છે.

ઉપરાંત ગામડાના લોકોની આવકમાં જે વધારો થાય છે તેનો કેટલોક ભાગ તેઓ કૃષિમાં રોકે છે, જેને પરિણામે કૃષિમાં મૂડીરોકાણ વધતા જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતા તેમજ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળે છે.

(2) દેશના ઝડપી આર્થિક વિકાસમાં ફાળો : 

  • જ્યારે દેશની વસ્તી અન્ય દેશોમાં સ્થળાંતર કરે છે ત્યારે આવી વસ્તી પોતાની કમાણીનો કેટલાક ભાગ પોતાના વતનમાં વસતા પોતાના કુટુંબીજનોને મોકલે છે.
  • ઉપરાંત પોતાના દેશના ધંધા, વેપાર, ઉદ્યોગોમાં પણ મૂડીરોકાણ કરે છે જેને પરિણામે દેશમાં વિદેશી ચલણની અનામતોમાં વધારો થવાથી દેશના આર્થિક વિકાસમાં ઝડપી વૃદ્ધિ થવા પામે છે. 
  • 1991ના નવા આર્થિક  સુધારાને પરિણામે સ્થળાંતરના વેગ મળવાથી દેશમાં વિદેશી ચલણનો પ્રવાહ સતત વધતો ગયો હોવાથી ભારતનો આર્થિક વિકાસ ઝડપી બનતો ગયો છે.

ઉપરાંત આપણા દેશના લોકો વિદેશમાં જઈ ઉચ્ચ અભ્યાસ કરી કે કોઈ પણ એક ક્ષેત્રમાં ઉચ્ચત્તમ કૌશલ્ય મેળવે  અને તે કૌશલ્ય કે ટેકનોલોજીનો લાભ ભારતને આપે અને તેને પરિણામે દેશમાં વિકાસની પ્રક્રિયાને વેગ મળે તેવું પણ બન્યું છે.

સ્થળાંતરની નકારાત્મક અસરો :

 કારણ કે ગામડાંઓમાંથી અલ્પશિક્ષિત, અકુશળ,અલ્પકૌશલ્ય  ધરાવતા ગરીબ લોકો રોજગારી મેળવવા શહેર તરફ ધકેલાઈ છે.

પરંતુ શહેરોમાં આવા અલ્પશિક્ષિત, અકુશળ કે અલ્પ કૌશલ્ય ધરાવતા લોકો માટે નીચું વળતર આપતા  શ્રમપ્રધાન વ્યવસાય સિવાય રોજગારીની તકો હોતી નથી.

જેથી કેટલીક નકારાત્મક અસરો નીચે પ્રમાણે જોવા મળે છે .

(1) અનિયંત્રિત શહેરીકરણ : 

  • જ્યારે અલ્પશિક્ષિત, અકુશળ, અલ્પ કૌશલ્ય ધરાવતા ગામડાંના ગરીબ લોકો શહેરોમાં સ્થળાંતર કરે છે ત્યારે તેઓને નીચી આવકને કારણે શહેરોના છેવાડાના વિસ્તારોમાં ફરજિયાતપણે વસવાટ કરવો પડે છે.
  • જેને પરિણામે અનિયંત્રિત શહેરીકરણની સમસ્યા સર્જાય છે.
  • ઉપરાંત ઝૂંપડપટ્ટી અને ગંદા વસાવટોમા રહેવા સિવાય તેમની પાસે બીજો કોઈ વિકલ્પ ન હોવાથી  શહેરોમાં ઝૂંપડપટ્ટીમાં અનિયંત્રિત વધારો થતો જોવા મળે છે.

(2) માળખાકીય સુવિધાઓનું અપૂરતું પ્રમાણ :

  • અનિયંત્રિત શહેરીકરણ તેમજ ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટને કારણે સ્થાનિક વહીવટીતંત્ર તેની પૂરતા પ્રમાણમાં પાણી, ડ્રેનેજ, વીજળી, રસ્તા, વાહનવ્યવહાર, સંદેશા-વ્યવહાર, શૌચાલયો, શિક્ષણ, શાળાઓ, આરોગ્ય વગેરે જેવી આંતર માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ જાય છે.
  • જે આરોગ્યની ગંભીર સમસ્યા ઊભી કરે છે અને આવો ગરીબ વર્ગ અનેક ગંભીર બીમારીનો ભોગ બનતાં જોવા મળે છે.

(3) પર્યાવરણીય પ્રદૂષણની સમસ્યા : 

  • સ્થળાંતરને કારણે ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટોનું જે સર્જન થાય છે તેવા ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટોમાં શૌચાલય તેમજ ડ્રેનેજની અપૂરતી સવલતો તેમજ કચરાના યોગ્ય  નિકાલના અભાવને કારણે પર્યાવ૨ણીય પ્રદૂષણની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરે છે.
  • જેનું જવલંત ઉદાહરણ અમદાવાદ, અંકલેશ્વર, સુરત, મુંબઈ,કોલકાતા. દિલ્હી વગેરે જેવાં શહેરોમાં જોઈ શકીએ છીએ.

ઉપર્યુક્ત શહેરોમાં જાહેર વાહનવ્યવહારની અપૂરતી સેવાઓને કારણે વૈકલ્પિક વાહનવ્યવહારનો જે વિકાસ થયો  છે ખાસ કરીને અમદાવાદ જેવા મોટા શહેરમાં કે જેણે હવાના પ્રદુષણની ગંભીર સમસ્યા ઊભી કરી છે. એજ રીતે પાણીના પ્રદૂષણની પણ ગંભીર સમસ્યા જોવા મળે છે. 

(4) સામાજિક દૂષણો : 

  • જયારે ગામડામાંથી શહેરોમાં સ્થળાંતર કરીને જે લોકો આવે છે તેઓને તેમની  અપેક્ષા પ્રમાણે કે નિયમિત સ્વરૂપે આવક કે રોજગારી પ્રાપ્ત થતાં નથી.
  • જેના પરિણામ સ્વરૂપ આમાંના કેટલાક લોકો ચોરી, લૂંટફાટ જેવા અસામાજિક કાર્યો તરફ વળે છે, જેથી મોટાં શહેરોની સામાજિક સમતુલા પણ ખોરવાતી જોવા મળે છે.

સ્થળાંતરને પરિણામે પ્રજા વચ્ચે ભાષા-સંસ્કૃતિ રહેણીકરણી વગેરેને કારણે સામાજિક સંઘર્ષો ઉભા થાય છે.


શહેરીકરણ (Urbanization)

શહેરીકરણ એ આર્થિક વિકાસની પ્રક્રિયાનું પરિણામ છે. 

શહેરીકરણ નો અર્થ : 

  • સામાન્ય અર્થમાં ગ્રામ્ય વિસ્તારમાંથી શહેર વિસ્તારમાં થતા વસ્તીના સ્થળાંતરને શહેરીકરણ કહે છે. 
  • શહેરીકરણ એ એવી સામાજિક-આર્થિક પ્રક્રિયા છે જેનાથી કોઈ એક વિસ્તારની વસ્તીનું પ્રમાણ વધે છે અને કેન્દ્રિત થાય છે જે નગર કે શહેરમાં પરિણમે છે.

આ ખ્યાલને નગર કે શહેરમાં વસ્તીના જે સ્તરના કેન્દ્રીકરણ તરીકે પણ અર્થધટન કરી શકાય.

શહેરીકરણ કેટલી રીતે થાય છે?

સામાન્ય રીતે ત્રણ પ્રકારે શહેરીકરણ થવા પામે છે :

(i) નગર કે શ શહેર વિસ્તારમાં મૃત્યુના દર કરતાં જન્મનો દર વધુ હોવાથી શહેરોમાં વસ્તીનું પ્રમાણ વધે છે જેને કુદરતી વસ્તી વધારો કહે છે.

(ii) ગ્રામ અને  નગર વિસ્તારની વ્યાખ્યામાં ફેરફાર થતા કેટલાક ગ્રામ વિસ્તારો નગર વિસ્તારમાં સામેલ થઈ જાય છે તેથી નગર વિસ્તારની વસ્તી વધે છે. દા.ત., અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ વગેરે.

(iii) ગ્રામ્ય વિસ્તારમાંથી નગર વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં સ્થળાંતર પામે અને શહેરી વિસ્તારમાં વધારો થાય છે.

શહેરીકરણની અસરો :

વિશ્વમાં સૌથી વધુ શહેરીકરણ ચીન પછી ભારતમાં થઈ રહ્યું છે. આમ કહી શકાય કે હાલમાં ભારતમાં શહેરીકરણની પ્રક્રિયા ખૂબ ઝડપી છે.

જે ભારતના ઝડપી આર્થિક વિકાસનો નિર્દેશ કરે છે. આ આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે જે શહેરીકરણ થયું તેણે ભારતીય અર્થતંત્ર પર અનેકવિધ અસરો સર્જી છે.આ અસરોનો અભ્યાસ બે ભાગમાં કરી શકાય :

શહેરીકરણની હકારાત્મક અસરો : 

ભારતમાં થયેલા શહેરીકરણની પ્રક્રિયાએ કેટલીક આવકાર્ય અસરો સર્જી છે તેનો અભ્યાસ આપણે હકારાત્મક અસરના સંદર્ભમાં કરીએ.

(1) માળખાકીય સુવિધામાં વધારો : 

  • શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ, વાહનવ્યવહાર, સંદેશાવ્યવહાર, વીમો, વીજળી વગેરે જેવી માળખાકીય સુવિધાઓમાં સતત વધારો થતા આ બધા જ ક્ષેત્રોમાં અનેકગણી રોજગારીની  તકો ઊભી થઈ. 
  • રોજગારીમાં વધારો થતાં લોકોની વસ્તુ ખરીદવાની ખરીદશક્તિમાં વધારો થયો જેણે અનેક નવા-નવા ઉદ્યોગો સ્થાપવાની શહેરોમાં અનિવાર્યતા ઊભી થતા અનેક નવા-નવા ઉદ્યોગો સ્થપાયા જેમાં પણ 

      અનેક રોજગારીની તકો સર્જી અને રોજગારી વધતા → આવક વધી આવક વધતાં ખરીદશક્તિ વધી →ખરીદશક્તિ વધતાં ફરી નવા  ઉદ્યોગ સ્થપાયા ફરી → રોજગારી વધી, આમ, આ ચક્ર ચાલ્યા જ કરે છે.

(2) ગરીબીમાં ઘટાડો : 

  • ગરીબી અને બેરોજગારી  પરસ્પર સંકળાયેલ છે. શહેરીકરણ થવાથી શહેરોમાં સેવાક્ષેત્ર અને ઉધોગક્ષેત્રમાં મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થાય છે તેથી ગરીબીમાં ઘટાડો થાય છે.
  • ઉપરાંત ગ્રામ્ય બેકાર અને ગરીબ વસ્તી પણ શહેરમાં આવતા તેમને પણ તેમની યોગ્યતા  મુજબ રોજગારી મળી રહેતા ગરીબીમાં ઘટાડો થાય છે.

(3) સાંસ્કૃતિક વિકાસ : 

  • શહેરોમાં શિક્ષણની સુદઢ સુવિધા ઉપલબ્ધ બનતી હોવાથી માનવી શિક્ષણના માધ્યમ દ્વારા  પોતાનો સર્વાંગીણ વિકાસ સાધી શકે છે અને સમાજને સુસંસ્કૃત માનવીની ભેટ મળે છે.

ઉપરાંત વૈવિધ્યસભર વાંચનાલયો, બુક સ્ટોર્સ તેમજ અન્ય સાંસ્કૃતિક  વિકાસના વિવિધ કાર્યક્રમો પણ માનવીના સાંસ્કૃતિક વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે.

(4) અત્યાધુનિક આરોગ્યની સેવાઓ : 

  • શહેરીકરણની પ્રક્રિયાને પરિણામે શહેરની વસ્તીમાં વધારો થતા તેમની  શિક્ષણની સાથે સાથે આરોગ્યની પણ અનેકવિધ જરૂરિયાતો ઉદભવે છે.
  • આજે અમદાવાદ જેવાં મોટાં શહેરોના  અત્યાધુનિક મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલો દરેક વિસ્તારમાં આવેલી જોવા મળે છે જયાં આગળ દરેક પ્રકારના રોગોની  અત્યાધુનિક સારવાર એક જ સ્થળેથી ઉપલબ્ધ બની શકે છે.

ઉપરાંત સ૨કા૨ તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પણ આવી હોસ્પિટલો ઊભી કરે છે જેનો સીધો લાભ સમાજના  ગરીબ અને મધ્યમ વર્ગને મળે છે.

(5) સામાજિક અસર –  આધુનિક વિચારસરણી : 

  • ગામડાં કરતા શહેરોમાં શિક્ષણ તેમજ સાંસ્કૃતિક  વિકાસને કારણે તદુપરાંત સંદેશાવ્યવહારના અત્યાધુનિક ઉપકરણોનો ઉપયોગ સતત વધતા જતા શહેરના લોકોની  વિચારસરણી પણ આધુનિક જોવા મળે છે.

તે ઝડપથી વિશ્વના પ્રવાહોથી પરિચિત થઈ શકતા હોવાથી તેમના વાણી, વર્તન, વિચારો, રહેણીકરણી, રીતભાત વગેરેમાં પરિવર્તનો ની છાંટ જોવા મળે છે.


(6)  ઊંચું જીવન ધોરણ :

શહેરીકરણને લીધે આવકમાં વૃદ્ધિ તથા અત્યાધુનિક માળખાકીય સુવિધાને લીધે ગ્રામ્ય-વિસ્તારના લોકો કરતાં શહેરોના લોકોનું જીવનધોરણ ઊંચું જોવા મળે છે.

શહેરીકરણની નકારાત્મક અસરો :

ભારતમાં થઈ રહેલા અનિયંત્રિત શહેરીકરણની પરિણામે જે સમસ્યાઓ સર્જાઈ તેને આપણે શહેરીકરણની નકારાત્મક અસરો ગણીશું. જેમાં,

1.આર્થિક અસમાનતા 2. સામાજિક અસમાનતા 3. ગંદા વસવાટોનો પ્રશ્ન 4. કાયદો-વ્યવસ્થાની સમસ્યા 5. આંતર માળખાકીય સુવિધાના પ્રશ્નો 6.પર્યાવરણ પ્રદૂષણના પ્રશ્નો

(1) આર્થિક અસમાનતા : 

  • શહેરીકરણની સૌપ્રથમ નકારાત્મક કે અસરમાં આર્થિક અસમાનતા ગણાવી શકાય.
  • શહેરોમાં એક ત૨ફ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ બૌદ્ધિક વર્ગ તેમજ સાહસિક નિયોજકો હોય છે જેઓ પોતાના ધંધા , વ્યવસાયના માલિકો હોય છે જેમની આવકનું સ્તર ખૂબ જ ઊંચું હોય છે.

જ્યારે બીજી તરફ ગામડામાં શહેરોમાં આવેલ અભણ ગરીબ શ્રમિક વર્ગ હોય છે જેમને મંજૂરી સિવાય કોઈ કૌશલ્યવર્ધક કામ મળી શકતું ન હોવાથી તેમની આવક ખૂબ જ નીચી રહે છે. આમ, આર્થિક અસમાનતા શહેરોમાં ઉડીને આંખે વળગે છે.

(2) સામાજિક અસમાનતા : 

  • આર્થિક અસમાનતાની સાથે સામાજિક અસમાનતા પણ જોવા મળે છે. શહેરી સમાજનો ધનિક અને શિક્ષિત વર્ગ આધુનિક વિચારસરણી ધરાવે છે.

જયારે અશિક્ષિત ગરીબ વર્ગ રૂઢિચુસ્ત, કુંઠિત વિચારસરણીનો ભોગ બનેલા જોવા મળે છે.

(3) ગંદા વસવાટોનો પ્રશ્ન :

  • ગામડાંમાંથી શહેરોમાં આવતા શહેરી સમાજનો મજૂરવર્ગ ગરીબાઈને કારણે પાકાં મકાનમાં રહેવાની આર્થિક-ક્ષમતા ધરાવતો ન હોવાથી તેઓને ફરજિયાતપણે દૂરના વિસ્તારોમાં ના છૂટકે ગંદા, ઝૂપટપટ્ટીવાળા વસવાટમાં વસવું પડે છે.

(4) કાયદો-વ્યવસ્થાની સમસ્યા : 

  • અનિયંત્રિત શહેરીકરણને લીધે શહેરમાં વસ્તી-વિસ્ફોટ ગંભીર સ્વરૂપ ધારણ કરે છે.
  • દા.ત., માથાદીઠ વાહનની સંખ્યામાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થતા ટ્રાફિકની સમસ્યા સતત વધતી જોવા મળે છે.

ઉપરાંત રોજગારીની પૂરતી તકો ન મળતા કે પૂરતી આવક ન મેળવી શકતા ચોરી, લૂંટફાટ જેવી ઘટનાઓ શહેરોમાં રોજિંદી બનતા કાયદો વ્યવસ્થા તેને પહોંચી વળવા માટે અપુરતા સાબિત થતા પરિસ્થિતિ કથળતી જોવા મળે છે.

(5) આંતર માળખાકીય સુવિધાના પ્રશ્નો : 

આંતરમાળખાકીય સુવિધાઓ જેવી કે પરિવહન, આરોગ્ય અને રસ્તાના અપૂરતી સેવાઓ, દુષિત પીવાના પાણીની સમસ્યા જેથી પાણીજન્ય રોગચાળાની સમસ્યા, વીજળીની  અપુરતી સુવિધાઓ, સ્વછતાના પ્રશ્નો, રસ્તાની અપૂરતી સુવિધા વગેરે જેવી આંતરમાળખાકીય સુવિધાઓ પૂરતા પ્રમાણમાં પૂરી પાડવામાં સ્થાનિક વહીવટીતંત્ર નિષ્ફળ રહે છે.

(6) પર્યાવરણ પ્રદૂષણના પ્રશ્નો:

  • શહેરીકરણે એ ઔધોગિકરણનું પરિણામ હોવાથી શહેરોમા અનેકવિધ ઉધોગો સ્થપાયા હોવાથી દરેક પ્રકારના પ્રદૂષણ અનિયંત્રિત રીતે વધે છે.

ઉપરાંત ગંદકીની ગંભીર સમસ્યા પણ માનવીના સ્વાસ્થ્ય પર થતી જોવા મળે છે અને દા.ત., અડધાથી વધુ ગરીબ વસ્તી ચામડી અને નિવસનતંત્રના રોગોથી પીડાતી જોવા મળે છે.


શહેરીકરણની સમસ્યા હળવી કરવાના ઉપાયો:

અનિયંત્રિત શહેરીકરણને લીધે તેની હકારાત્મક અસર કરતાં નકારાત્મક અસરોને લીધે જે સમસ્યાઓ સર્જાઈ ૨હી છે અને તે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરે તે પહેલા જો તે સમસ્યાને હળવી કરવામાં આવે, તો નકારાત્મક અસરો ઘટતાં શહેરીકરણના સારા ફળ સમાજના ગરીબમાં ગરીબ વર્ગ સુધી પહોંચાડી શકાશે.

શહેરીક૨ણની સમસ્યા હળવી કરવા માટેના ઉપાયો નીચે મુજબ વર્ણવી શકાય:

(1) નીતિવિષયક પગલાં: નીતિ વિષયક પગલાંમાં ભારત સરકારે શહેરીકરણની સમસ્યા હળવી કરવા માટે જે ઉપાયો હાથ ધર્યા છે તેનો અભ્યાસ કરીએ.

(a) 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નવા ઉધોગોની સ્થાપના પર નિયંત્રણ મૂકીને અનિયંત્રિત રીતે થતા શહેરીકરણને મર્યાદિત બનાવ્યું છે.

(b) મધ્યમ કદના નાના નગરોના વિકાસને પ્રોત્સાહન આપી મોટાં શહેરોમાં થતું અસામાન્ય શહેરીકરણ ઓછું થશે.

(c) ભારત સરકારે શહેરીકરણની  એવી નીતિ અપનાવી છે કે જેથી મોટાં શહેરો વધુ મોટા ન બને અને નાના તેમજ મધ્યમ કદના નગરો મોટા ભાગનાં રાજ્યો કે પ્રદેશોમાં વિકસે.

(d) ભારત સરકારની નીતિ મુજબ મોટા શહેરોની આસપાસ સેટેલાઇટ ટાઉનના વિકાસની નીતિ અપનાવવામાં આવી.

(2) રોજગારીની તકો વધારવી : 

  • શહેરીકરણની નકારાત્મક અસરો  ઘટાડવા અને શહેરીકરણની સમસ્યા હળવી કરવા માટે શહેરોમાં સ્વરોજગારીની તકો વધે એવા રોજગારલક્ષી કાર્યક્રમો સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવ્યા છે.

તેનો વ્યાપ અને વિસ્તાર વધારી આવા કાર્યક્રમોનો વધુ ને વધુ લાભ શહેરી ગરીબો લેતા થાય કે જેથી તેની આવક વધતા તેઓ વધુ સારું જીવનધોરણ  જીવી શકે જેને પરિણામે શહેરીકરણની નકારાત્મક અસરોમા ઘટાડો થાય.

(3) માળખાકીય સુવિધાઓ સુદૃઢ કરવી : 

  • શહેરોમાં માળખાકીય સુવિધાઓ છે જેવી કે પાણી, રસ્તા, વાહન- વ્યવહાર, સંદેશાવ્યવહા૨, ડ્રેનેજ, સેનિટેશન વગેરેની સુવિધાઓ શહેરના છેવાડાના  લોકોને પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી માળખાકીય વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવી જોઈએ.
  • કેન્દ્ર સરકારે સ્માર્ટ સીટીની યોજના પણ અમલમાં મૂકી છે.
  • ઉપરાંત ઝૂંપડપટ્ટીમાં વસતા ગરીબો માટે પણ મકાન વધુ ને વધુ વિકસાવી તેઓને તેમાં વસાવવા જોઈએ.

જોકે  સરકારે આ દિશામાં ઉપાયો શરૂ કર્યા છે અને નબળા વર્ગો માટે રહેઠાણ ની સુવિધાઓ ઉભી કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.


શિક્ષણ અને આરોગ્યની શહેરની સુવિધાઓ:

  • શહેરની  સાધનસંપન્ન વર્ગ શિક્ષણ અને આરોગ્યની અત્યાધુનિક સવલતો ખુબ જ સરળતાથી મેળવી શકે છે.
  • પરંતુ શહેરનો ગરીબ વર્ગ હજુ આ સુવિધા પૂરતા પ્રમાણમાં અને ઉચ્ચ કક્ષાની મેળવી શકતા નથી જેને પરિણામે શહેરીકરણની સમસ્યા હળવી બની શકતી નથી. 

(5) ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ : 

શહેરોમાં મોટા પાયાના ઉદ્યોગોની સાથે-સાથે તેમને પુરક એવા ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોને વધુ ને વધુ વિકસાવવા જેથી આર્થિક અસમાનતામાં ધટાડો થતાં શહેરીકરણની આર્થિક-સામાજિક અસમાનતાની અસરો હળવી બનશે.

(6) ગામડામાં પાયાની સુવિધાઓનો વિકાસ : 

ગામડાઓને શિક્ષણ, આરોગ્ય, વાહન-વ્યવહાર, સંદેશા – વ્યવહાર, રસ્તા, વીજળી, સિંચાઈ વગેરે સુવિધાઓથી વધુ ને વધુ સજજ કરવા  કે જેથી શહેરીકરણની પ્રક્રિયા હળવી બનતાં શહેરો પરનું ભારણ ઘટશે અને નકારાત્મક અસરોનું પ્રમાણ નિયંત્રિત થશે.

(7) વહીવટી વ્યવસ્થા સુદૃઢ કરવી :

આપણે શહેરીકરણની નકારાત્મક અસરમાં જોયું કે શહેરીકરણને કારણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનું ધોરણ જે કથળતું ગયું છે જેણે શહેરોમાં અનેકવિધ પ્રશ્નો  ઊભા કર્યા છે.

શહેરોમાં કાયદો અને વ્યવસ્થાનું કડક રીતે પાલન થાય અને તે માટે પ્રજાને પણ વધુમાં વધુ જાગૃત કરવામાં આવે તો સમસ્યા હળવી બની શકે.





આંતર માળખાકીય સેવા (Infrastructure services) :

 

દેશની સમૃદ્ધિનો આધારે કૃષિ અને ઉદ્યોગોના વિકાસ પર આધારીત છે અને કૃષિ તેમજ ઉધોગોનો વિકાસ આંતરમાળખાકીય સુવિધાઓ વગર સંભવિત નથી. આમ આંતર માળખાકીય સુવિધાઓનો વિકાસ અને કૃષિ અને ઔદ્યોગિક વિકાસની પૂર્વશરત ગણાવી શકાય.

 

   તેથી જ કહેવાય છે કે આંતર માળખાકીય સેવાઓ એ આર્થિક વિકાસનું એન્જિન છે. આ આંતરમાળખાકીય સેવાઓમાંની કેટલીક સેવાઓનો અભ્યાસ કરીએ.




શિક્ષણ :

(1) શિક્ષણનો અર્થ – મહત્વ : શિક્ષણ એટલે શીખવા કે શીખવાની પ્રક્રિયા છે.

 

   માનવું મૂડીરોકાણ એટલે માનવીમાં રહેલી શારીરિક અને માનસિક શક્તિઓના વિકાસ માટે જે મૂડીરોકાણ કરવામાં આવે છે તે. આમ કેળવણી, શિક્ષણ, તાલીમ, સંશોધન વગેરે સેવાઓ માટે કરેલ મૂડીરોકાણને માનવ મૂડીરોકાણ કહેવામાં

 આવે છે.

 

     માનવ મૂડીરોકાણના મહત્વ વિશે પ્રો. માર્શલ લખે છે કે, પ્રત્યેક પેઢી તેમના પુરોગામી પાસેથી વિચારોનો જે વારસો મેળવે છે તે જ ખરો વારસો છે. દુનિયાની ભૌતિક સંપત્તિનો જો નાશ થઈ જાય, પરંતુ સંપત્તિ પેદા કરવાના વિચારોનો જો નાશ થયો ન હોય તો નાશ પામેલી સંપત્તિ ઝડપથી પાછી મેળવી શકાય છે પરંતુ જો તે માટેના વિચારો જ નાશ પામ્યા હોય અને ભૌતિક સંપત્તિ જેમની તેમ રહે તો વખત જતાં ભૌતિક સંપત્તિ નાશ પામે અને દુનિયા ગરીબીના દ્વારે આવીને ઊભી રહે.

 

  આ સંદર્ભમાં શિક્ષણ, તાલીમ, સંશોધન, ટેક્નોલોજી, જ્ઞાન અને કૌશલ્યની કલા વિકાસને અસર કરે છે.આમ, શિક્ષણ આર્થિક વિકાસને અસર કરતું સૌથી મહત્વનું પરિબળ ગણી શકાય.

 

શિક્ષણ દ્વારા,

 

(1) વ્યક્તિ વધુ જ્ઞાન મેળવે છે જેથી તે ઊંચી કક્ષાની તકો માટે યોગ્ય બને છે પરિણામે તેનું જીવનધોરણ સુધરે છે.

 

(2) શિક્ષણ વ્યક્તિમાં વિચારોના આદાન-પ્રદાનની શક્તિ તથા એક નવો આત્મવિશ્વાસ ઊભો કરે છે.

 

(3) શિક્ષણ દ્વારા વ્યક્તિ પોતાને લાભદાયી હોય તેવા નિર્ણયો લઈ શકે છે જેના દ્વારા તે જીવન જીવવાની સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે.

 

(4) શિક્ષણ દ્વારા સમાજના વિવિધ ક્ષેત્રોમાંથી મળતી વિકાસની અને અન્ય વિવિધ તકોનો ઉપયોગ કરવા માટે સક્ષમ બને છે.

 

(5) કારખાનાના શ્રમિકોની ઉત્પાદકતા વધારી શકાય છે.

 

(6) ટેકનોલોજી અંગેનુ જ્ઞાન આપીને નાણાકીય સહાય અંગેની માહિતી દ્વારા બજારની પદ્ધતિઓનો ઉપયોગ કરી ખેડૂતોની ઉત્પાદકતા વધારી શકાય છે.

 

(7) અસ૨કા૨ક શિક્ષણ દ્વારા વ્યક્તિઓમાં સામાજિક સક્રિયતા વધારી શકાય છે.

 

(8) શિક્ષણ દ્વારા વ્યક્તિને પર્યાવરણના નુકસાનની સાચી સમજ આપવા, પરિસ્થિતિની સમતુલા માટે તથા જમીનની ફળદ્રુપતા ટકાવી રાખવા માટે શિક્ષણનો વધારો અને વ્યાપ અનિવાર્ય છે.

 

(9) શિક્ષણ દ્વારા સ્વચ્છતા અને આરોગ્ય વિષયક સભાનતા લાવી શકાય છે.

 

     આમ, શિક્ષણ દ્વારા કુશળ શ્રમિકો દેશના આર્થિક વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપી શકે જે વિકસિત દેશોના વિકાસને જોતા કહી શકાય.



(2) શિક્ષણની વર્તમાન સ્થિતિ :

 

આપણા દેશમાં શિક્ષણની સુવિધા સરકાર તેમજ ખાનગી ક્ષેત્ર દ્વારા પૂરી પાડવામાં આવે છે. ભારતમાં બાળકની ઉંમરને ધ્યાનમાં લઈને શિક્ષણના તબક્કાઓ નીચે પ્રમાણે પાડવામાં આવ્યા છે.

 

(1) પ્રાથમિક શિક્ષણ – 1 થી 5 ધોરણ

(2) ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ – 6 થી 8 ધોરણ

(3) માધ્યમિક શિક્ષણ – 9 થી 10 ધોરણ

(4) ઉચ્ચ માધ્યમિક શિક્ષણ – 11 થી 12 ધોરણ

(5) કોલેજ કે ઉચ્ચ શિક્ષણ – 12+

(6) ઉપરાંત ધોરણ 8+ પછી ITI શિક્ષણ મેળવી વ્યાવસાયિક કુશળતા મેળવી      શકાય છે.

 

આપણા બંધારણ 6 થી 14 વર્ષની વય સુધીના બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત ધોરણે  પ્રાપ્ત થવું જોઈએ અને આ પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત આપવાની જવાબદારી રાજ્ય સરકારોની છે તેવો આદેશ આપ્યો છે.



આયોજનકાળ દરમિયાન શિશુમંદિરથી શરૂ કરી ઉચ્ચ શિક્ષણ આપતી વિવિધ શૈક્ષણિક સંસ્થાનોની સ્થાપના,તેનો વિકાસ વિસ્તાર થયેલા જોવા મળે છે.

 

2013-14 માં ભારતમાં પ્રાથમિક શાળા ની સંખ્યા 1.4 મિલિયન હતી અને તેમાં 1.7 મિલિયન શિક્ષકો હતા.

 

     ગુજરાતમાં રાજ્ય સરકારના ગુણોત્સવ અને શાળાના પ્રવેશોત્સવ દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપતા  કાર્યક્રમો દ્વારા વધુ ને વધુ બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવે છે. 2013-14માં પ્રાથમિક શિક્ષણમાં નોંધાયેલા બાળકોની સંખ્યા 93 % હતી, સર્વ શિક્ષા અભિયાન, RTE (શિક્ષણ અધિકારનો કાયદો) દ્વારા

શિક્ષણનો વ્યાપ વધારવા પ્રયત્નો થઈ રહ્યા છે.



ગરીબી અને નિરક્ષરતાના કારણે આપણા દેશમાં શિક્ષણનો જોઈએ તેટલો વિકાસ થયો નથી. હજુ નાનાં ગામડાંઓમાં પ્રાથમિક શિક્ષણની સ્થિતિ ચિંતાજનક જોવા મળે છે. 29 % જેટલાં બાળકો 5 ધોરણનો અભ્યાસ પૂરો કર્યા પહેલાં શાળા છોડી જતાં માલૂમ પડ્યાં છે.

 

      ઉપરાંત હજુ આજે પણ તાલીમ પામેલા શિક્ષકોનું પ્રમાણ ઓછું છે.

2013-14માં પ્રાથમિક શિક્ષણમાં 46 વિદ્યાર્થીએ 1 (46:1) શિક્ષક જ્યારે ઉચ્ચ પ્રાથમિક શિક્ષણમાં (34:1) બાળકોએ એક શિક્ષકનું પ્રમાણ હતું. 2013-14માં માધ્યમિક કક્ષાએ 69 % વિદ્યાર્થીઓ નોંધાયેલા હતા જયારે આ જ પ્રમાણ ઉચ્ચત્ત૨ શિક્ષણામાં  25 % હતું.





 આરોગ્ય :

 

(1) આરોગ્યનો અર્થ અને મહત્વ : 

 

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO – World Health Organization) દ્વારા આરોગ્યની વ્યાખ્યા આ પ્રકારે આપવામાં આવી છે :

 

વ્યાખ્યા : 

ફક્ત રોગની ગેરહાજરી કે શારીરિક શક્તિને જ સારું આરોગ્ય કે સ્વાસ્થ્ય કહી શકાય નહિ, પરંતુ  માણસના સંપૂર્ણ ભૌતિક, માનસિક અને સામાજિક કલ્યાણના (well-being) આરોગ્ય કે સ્વાસ્થ્ય કહી શકાય.

 

શ્રમિક કાર્યક્ષમતાનો આધાર તેમના સ્વાસ્થય પર રહેલો છે. અંગ્રેજીમાં કહેવત છે કે, “sound mind in sound body” શિક્ષણ મનની તંદુરસ્તી પૂરી પાડે છે તો સુવિધાઓ આરોગ્ય તનની તંદુરસ્તી પૂરી પાડે છે.

 

રાષ્ટ્રીય આવકનો આધાર જાહેર આરોગ્યની  સુવિધાઓ પર સીધી રીતે સંકળાયેલો છે. જે શ્રમિકોનું સ્વાસ્થ્ય સારું નથી હોતું અને વારંવાર બીમાર પડે તો તેની ઉત્પાદન અને ઉત્પાદકતા પર માઠી અસર પડે છે. શ્રમિકના આરોગ્યમાં સુધારો થતાં આપોઆપ દેશના કુલ ઉત્પાદનમાં વૃદ્ધિ થતી જોવા મળે છે. આરોગ્યમાં સુધારો થતાં આર્થિક વિકાસમાં ત્રણ રીતે મદદરૂપ બની શકે છે:

 

(1) ઉત્પાદકતા વધતાં ઉત્પાદનમા વધારો થાય છે.

(2) કુદરતી સંપત્તિનો વધુમાં વધુ ઉપયોગ કરી શકાય છે અને તેમાં થતો બગાડ  અટકાવી શકાય છે.

(3) શ્રમિકની આવકમાં વૃદ્ધિ થતાં જીવનધોરણ ઊંચું જતું જોવા મળે છે..

સારી તંદુરસ્તી માટે બે બાબતો જરૂરી છે : (1) સમતોલ આહાર (2) સારી દાક્તરી સારવાર.

 

પ્રજાના આરોગ્યની સ્થિતિ જાણવા માટે લોકોનું સરેરાશ આયુષ્ય એક મહત્ત્વનો માપદંડ ગણાય છે. 1951 માં ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય 32 વર્ષ હતું જે સમતોલ અને પોષણક્ષમ આહાર તેમજ દાક્તરી સારવારના વિકાસ અને વિસ્તારને કારણે વધીને 2011માં 63.5 વર્ષ થયું હતું તે જ રીતે 1951માં બાળમૃત્યુનું

પ્રમાણ દર હજારે 146 હતું તે ઘટીને 2012ના દર હજારે 44 થયું હતું.





(2) આરોગ્યની સ્થિતિ : 

 

ભારતની કુલ વસ્તીમાંથી હજુ આજે પણ 70 % વસ્તી ગામ ગામડામાં વસે છે અને કુલ દવાખાનાના પાંચમાં ભાગે જેટલા દવાખાના જ ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળે છે. આમ કહી શકાય કે ગામડાના લોકોને પૂરતી દાક્તરી સારવાર મળી શકતી નથી તેથી ગ્રામ્ય અને શહેરી વસ્તીને મળતી દાક્તરીવસારવારમાં મોટો તફાવત જોવા મળે છે.

 

ગામડામાં વિશિષ્ટ દાક્તરી સારવાર જેવી કે બાળકોના નિષ્ણાત ડોક્ટરો, સ્ત્રીઓના નિષ્ણાત ડોકટરો,એનેસ્થેસિયાના વિશિષ્ટ ડોકટરો, આંખના નિષ્ણાત ડોકટરો કે 

M D., M.S. જેવા ઉચ્ચ લાયકાત ધરાવનાર ડોક્ટરોનો અભાવ હોવાથી આ વસ્તી સારા આરોગ્યની સેવાઓ યોગ્ય સમયે મેળવી શકતી નથી.

 

માતાની તંદુરસ્તી વગર તંદુરસ્ત બાળક જન્મી શકે નહિ, ભારતમાં 15થી 49 વર્ષની વય ધરાવતી સ્ત્રી ઓમાંથી 50 % સ્ત્રીઓ બિનપોષણક્ષમ આહારને કારણે લોહતત્વની ઉણપને લીધે એનિમિયાનો ભોગ બને છે અને તેમાંથી 19 % મૃત્યુનો ભોગ બને છે.

 

     ઉપર્યુક્ત ખામીઓ શિક્ષણના પ્રચાર, પ્રસાર અને આરોગ્યની સુવિધાઓના વિકાસ-વિસ્તારથી શક્ય બની શકે. વિશ્વ બેન્કના  અહેવાલ પ્રમાણે ભારત સરકાર પોતાના કુલ ખર્ચના 4.4 % ખર્ચ જ આરોગ્ય પાછળ ખર્ચે છે. જેની સામે અમેરિકા 20,3 % અને ચીન 12 5 % ખર્ચ કરે છે.

 

સરકાર આરોગ્યની સુવિધા પાછળ વધુ ને વધુ ખર્ચ કરતી રહી છે અને તેમાં ઉત્તરોત્તર વધારો થતો રહ્યો  છે. આરોગ્ય અને દેશનો આર્થિક વિકાસ વચ્ચે ખાસ સંબંધ હોવાથી સરકારે ગામડાઓ સુધી આ સેવાઓનો વિસ્તાર અને વિકાસ કરી તંદુરસ્ત સમાજ અને તંદુરસ્ત રાષ્ટ્રનું  નિર્માણ કરી શકે.



વીજળી :

 

આર્થિક વિકાસ માટેનું સૌથી મહત્વનું ચાલકબળ વીજળીનું ગણાવી શકાય. ગામડાં તથા શહેરોમાં બંનેને વિકાસ માટે વીજળી અનિવાર્ય ચાલક બળ ગણાય છે.




ગામડામાં કૃષિ, સિંચાઈ, ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ વીજળીને જ આભારી ગણાવી શકાય. તે જ રીતે શહેરોને ઔદ્યોગિક વિકાસ તેમજ  સેવા વિભાગના વિકાસ માટે વીજળી ખૂબ જ મહત્ત્વની ગણાય છે. 

 

ભારતમાં વીજળીની ઉત્પાદન ક્ષમતા વર્ષ 1950-51માં 2300 મેગાવોટ હતી જે જુલાઈ, 2009માં વધીને 1,54, 574 MW મેગાવોટ થઈ હતી. આમ 1950-51 થી 2011-12નાં 61 વર્ષોમાં અનેક ગણો વધારો થયેલો જોઈ શકાય છે. આ

ઉત્પાદન વધારાની સીધી અસર કૃષિ, ઉદ્યોગ અને સેવા વિભાગના વિકાસ પર

થયેલી જોઈ શકાય છે.

 

       વીજળીના ઉત્પાદન અને વપરાશકાર દેશ તરીકે ભારત વિશ્વમાં અગ્રેસર છે. ભારતમાં વિશ્વમાં વીજળી ઉપન્ન કરનાર દેશ તરીકે 7મો ક્રમ ધરાવે છે જ્યારે વીજળીના વપરાશકાર તરીકે 5મો ક્રમ ધરાવે છે.

 

ભારતમાં વીજળી 4 રીતે મેળવી શકાય છે ?

(1) થર્મલ પાવર – કોલસા દ્વારા

(2) હાઇડ્રો પાવર – પાણી દ્વારા

(3) ન્યુક્લિયર પાવર – પરમાણુ દ્વારા

(4) અન્ય – પવનચક્કી, બાયોગેસ, સૂર્ય શક્તિ વગેરે,



આ ઉપરાંત સરકારે સુર્યશક્તિ (સોલર પાવ૨)ના ઉપયોગને વધુ ને વધુ લોકભોગ્ય બનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે અને સૂર્યશક્તિનો વિવિધ રીતે ઉપયોગ કરવા માટે સરકાર દ્વારા સૂર્યકુકર અને સુર્ય ગીઝર ખરીદવા  માટે સબસિડી આપવામાં આવે છે. આ ઉપરાંત સોલર પેનલ (Solar Panel) માટે પણ સ૨કા૨

પ્રોત્સાહન આપી રહી છે.

 

વર્ષ  2012-13માં થર્મલ પાવર દ્વારા 70 %. હાઇડ્રોપાવર અને વિન્ડ પાવર દ્વારા 16 %, ન્યૂક્લિઅર પાવર દ્વારા  2%, અન્ય દ્વારા 12% વીજળી મેળવવામાં આવી હતી. ભારત સરકારે હાઈદ્રોપાવ૨ અને વિન્ડ પાવર (પવનચક્કી)ના ઉત્પાદનને વધુ ને વધુ પ્રોત્સાહન આપી રહી છે  જેનું મૂળ કારણ આ બંને દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં કોઈ પણ જાતનું પ્રદુષણ થતું નથી તે છે.

આ બંને સારા ઉત્પાદનમાં પ્રગતિ ઝડપથી થઈ રહી છે.

 

વીજળીનો  વપરાશ (1) કૃષિ (2) ઉધોગો (3) રહેઠાણ (4) વાહન વ્યવહાર 

(5) અન્ય દ્વારા થતો જોવા મળે છે, જે નીચેના કોષ્ટક દ્વારા સ્પષ્ટ થાય છે:



વીજળીનું ઉત્પાદન ભારતમાં (1) કેન્દ્ર સરકાર (2) રાજ્ય સરકાર (3) ખાનગી ક્ષેત્ર દ્વારા થતું જોવા મળે છે.

 

વીજળી ક્ષેત્ર સામેના પડકારો :

 

(1) વીજળી ક્ષેત્ર સામેનો મોટામાં મોટો પડકાર એ છે કે, ઉત્પાદન-ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ થઈ શકતો નથી.

 

 (2) બીજો મોટો પડકાર એ છે કે, આપણા દેશના વાર્ષિક 7 થી 8 ટકાના વિકાસ-દરને પહોંચી વળવા માટેની જેટલી વીજળી ઉપલબ્ધ બનવી જોઈએ તેટલી વીજળી ઉપલબ્ધ બનાવી શકાઈ નથી.

 

(3) ત્રીજો મોટો પડકાર એ છે કે વીજળી ઉત્પાદન-ક્ષમતા કરતાં ઓછું ઉત્પાદન થતું જોવા મળે છે.

 

(4) ઉપરાંત વીજળીની યોગ્ય વહેંચણી, વીજળીની વહન કરવાની પદ્ધતિ તેમજ વીજચોરીનું મોટું પ્રમાણ પણ વીજળી સામેના પડકારો ગણાવી શકાય.

 

(5) વીજળીના ઊંચા દરો, ઘણા બધા વિસ્તારોમાં વારંવાર વીજળીનું આવન-જાવન, થર્મલ પાવર ચલાવવા માટે કોલસાની તંગી જેવા પડકારો પણ વીજળીની ઉત્પાદન-ક્ષમતાને સીધી અસર કરે છે.






રેલવે:

 

વાહન- વ્યવહાર ક્ષેત્રે વિશ્વમાં રેલવેનો વિકાસ ક્રાંતિકારી ગણાય છે. ભારતમાં રેલવેનો વિકાસ બ્રિટિશરોએ તેમના આર્થિક  હિતોને ધ્યાનમાં રાખીને કર્યો હતો. ભારતીય રેલવેનો પ્રારંભ અંગ્રેજોના શાસન દરમિયાન 16 એપ્રિલ, 1853ના

રોજ મુંબઈ અને થાણે વચ્ચેના 22 માઈલ (અત્યારના કિલોમીટર લગભગ)ના અંતરથી થઈ હતી.

 

    સ્વતંત્રતા પછી રેલવેનો વહીવટ ભારત સરકાર હસ્તક આવ્યો અને સરકારે એક અલગ ખાતા દ્વારા રેલવેનો વહીવટ કરવાનું શરૂ કર્યું. આજે એશિયા ખંડમાં પ્રથમ સ્થાને અને વિશ્વમાં  ચોથા નંબરનું સૌથી મોટું નેટવર્ક ભારતીય રેલવે ધરાવે છે. રેલવે ભારત સરકા૨નું સૌથી મોટું જાહેર સાહસ ગણાય છે જે આજે પણ આશરે 14 લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે.

 

2012 માં 8200 મિલિયન પેસેન્જર્સ અને 970 મિલિયન ટન માલનુ વહન કર્યું હતું. રેલવે વિકાસનું ભારતના આર્થિક વિકાસમાં ખૂબ જ મહત્વ રહેલું છે

 જેમાં,

 

(1) ભારે યંત્રસામગ્રીની ઝડપી હેરફેર શક્ય બનતા વ્યાવસાયિક ગતિશિલતામાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો થતાં  ઉદ્યોગધંધાનો વિકાસ ઝડપી બન્યો.

 

 (2) લાંબા અંતરની મુસાફરી સુખદાયક, સલામત અને ઝડપી બનતા શ્રમની ભૌગોલિક ગતિશીલતાને વેગ મળ્યો  છે, જેથી શ્રમનો પુરવઠો સરળતાથી મળી

 રહે છે.

 

(3) રેલવેના વિકાસથી ખેતીના વાણિજયકરણને વેગ મળ્યો છે અને ખેતીને જોઈતા ખાતર, ઓજારો અને ખેત – ઉત્પાદનને  રેલવે દ્વારા દૂર દૂર સુધી પહોંચાડી

 શકાય છે.

 

(4) રેલવેના  વિકાસથી ભારતના વિદેશવેપારને  મોટા પ્રમાણમાં પ્રોત્સાહન

 મળ્યું છે.

 

(5) રેલવેના  વિકાસથી પ્રવાસના ઉદ્યોગ ના વિકાસને પ્રોત્સાહન મળતા પ્રવાસન ઉદ્યોગ તરીકે વધુ ને વધુ વિકસતા જતા રોજગારીનું નવું ક્ષેત્ર વિકસેલું જોવા મળે છે.








(6)રેલવેનો વિકાસ દેશની રાષ્ટ્રીય એકતામાં કડીરૂપ સાબિત થયો છે.

 

    આમ, આંતર માળખાકીય સુવિધાઓમાં રેલવેએ જે ફાળો આપ્યો છે તેને કારણે દેશના ખેતી, ઉધોગ અને સેવા વિભાગ સમગ્ર દેશમાં વિકાસ પામી રહ્યો છે અને તેથી જ દરેક પંચવર્ષીય યોજનાઓમાં રેલવેના વિકાસ તેમજ

 આધુનીકી કરણ ને  સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેમાં,

 

(1) દરેક યોજનામાં ગેજ રૂપાંતરનું કાર્યું ઝડપી બનાવી રેલવેનું આધુનિકીકરણ કરવામાં આવી ૨હ્યું છે.



(2) રેલવે મુસાફરી વધુ ને વધુ સલામત બને તે માટે ની વધુ ને વધુ સવલતો ઊભી કરવામાં આવી રહી છે.

 

(3) રેલવે સ્ટેશનોને પણ આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યા છે.

 

(4) રેલવેના ડબાઓને પણ આધુનિક સવલતોથી સુસજ્જ કરવામાં આવી રહ્યા છે જેથી મુસાફરી આરામદાયક બની શકે.

 

(5) વધુ ને વધુ રેલવેનું વીજકરણ થઈ રહ્યું છે જેથી મુસાફરી ઝડપી બની શકે.

 

(6) રેલવે એ ટ્રેનોનું વર્તમાન ઝડપીમાં આધુનિકીકરણ દ્વારા વધારો કરવાની કામગીરી શરૂ કરી છે. જેથી એક સ્થળેથી બીજા સ્થળ વચ્ચેનું અંતર ઘટતા મુસાફરો તેમજ માલવહન કરવાનો સમય બચાવી શકાય.

 

(7) ટેલ્ગો અને બુલેટ ટ્રેન એ રેલવેનુ આધુનીકીકરણનું સ્વરૂપ છે. તેમ છતાં રેલવે સામેના કેટલાક પડકારો પણ જોવા મળે છે. જેમાં,

 

(1) આધુનિક ટેકનોલોજીની અનિવાર્યતા પણ અપુરતી છે.

(2) અર્થતંત્રની જરૂરિયાત પ્રમાણે રેલવેની સવલતો ઘણી અપૂરતી છે.

(3) નાણાંની તંગી, સંચાલનની સમસ્યા

(4) મુસાફરોને અપુરતી સવલતોની સમસ્યા

(5) પ્રાદેશિક અસમતોલ રેલવેનો વિકાસ વગેરે ગણાવી શકાય.



પેટ્રોલિયમ :

 

ઊર્જાના મહત્ત્વના સ્ત્રોત તરીકે પેટ્રોલિયમ પેદાશને ગણાવી શકાય. ઉપરાંત 

વાહનન ચાલક બળ તરીકે પણ તેનું મહત્ત્વ ઘણું જ છે. અધતન ટેકનોલોજી ઉત્પાદન માટે મોટે ભાગે પેટ્રોલિયમ પેદાશ પર આધાર રાખે છે. જો કે ભારતમાં પેટ્રોલિયમ પેદાશનો જથ્થો ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં હોવાથી આપણે તેની આયાતો પર જ મોટો  આધાર રાખવો પડે છે.

 

 ઔદ્યોગિકીકરણની ઝડપ વધતાં પેટ્રોલિયમ પેદાશની માંગ મોટા પ્રમાણમાં

વધતી ગઈ છે અને સાથે-સાથે વાહન વ્યવહારનો ઝડપી વિકાસ થતા માલની હેરફેર કરતાં વાહનો તથા ખાનગી વાહનોની સંખ્યામાં વધારો થતાં પેટ્રોલિયમ પેદાશોની માંગ ઉત્તરોત્તર વધતી જ ગઈ છે.

 

ભારતમાં સૌપ્રથમ અસમમાં તેલના ભંડાર પ્રાપ્ત થયા હતા. સરકારને પેટ્રોલિયમ પેદાશોની દેશના આર્થિક વિકાસમાં અનિવાર્યતા જણાતા દેશમાં ખનિજ તેલ મેળવવાના પ્રયાસો ઘનિષ્ઠ બનાવ્યા અને 1959 (ONGC Oil and Natural Gas Commission Limited) ની સ્થાપના કરી પછીથી સરકારે તેને નિગમ

બનાવી (Commission – Corporation) કમિશનનું કોર્પોરેશન કર્યું છે.

 

ONGCદ્વારા સરકારે પેટ્રોલિયમ પેદાશો મેળવવાના સઘન પ્રયાસો કર્યા છે. ગુજરાતમાં પણ કડી, કલોલ, અંકલેશ્વર વગેરે જગ્યાએ તેલનો ભંડારો શોધી કાઢ્યા અને મુંબઈના (Bombay High) દરિયામાં ખનીજ મેળવવા માટેનું પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે છતાં હાલમાં વિશ્વના કુલ  જથ્થામાં ભારતનો

હિસ્સો માત્ર 0.4 % જ છે.

 

વિશ્વના હાલના ઉત્પાદન અને સતત વધતી જતી માંગને કારણે કહી શકાય કે પેટ્રોલિયમનો જથ્થો મર્યાદિત વર્ષો જ ચાલે તેટલો છે. તેથી વિશ્વના દેશો ઊર્જાના 

 વૈકલ્પિક સોતો વિશે ગંભીરતા પૂર્વક વિચારતા થયા છે અને એ દિશામાં સતત સંશોધનો-કાર્યક્રમો અપનાવતા ગયા છે. ભારત પણ આ દિશામાં સંશોધનોને સતત પ્રોત્સાહનો આપી રહ્યું છે.

 

કુદરતી ગેસને પણ પેટ્રોલિયમ સ્રોતોમાં જ ગણવામાં આવે છે જેનો મુખ્યત્વે ઉપયોગ થર્મલ વિદ્યુત મથકોમાં રાંધણ  ગેસમાં કે વાહનન ચાલક બળ તરીકે કરવામાં આવે છે. ભારતનો ગેસના. કુલ જથ્થો પણ હાલમાં વિશ્વના ગેસના કુલ જથ્થામાં માત્ર 0.5 % જ છે. 

 

કુદરતી ગેસના વધુ ઉપયોગને પરિણામે પર્યાવરણીય પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે તેવું માનવામાં આવતું હોવાથી તેનો વધુ ને વધુ ઉપયોગ વીજળી

ઉત્પાદનમાં તેમજ વાહન વ્યવહારમાં કરવો જોઈએ. ગેસ ઉપયોગને પર્યાવરણ મિત્ર (Environment friendly) ગણાવાય છે.











LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here